રાજ્યની 53000 શાળાઓના 1.04 કરોડ વિદ્યાર્થીઓને ઑનલાઈન એજ્યુકેશનથી નુકસાન: 8 જૂનથી જ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા રાજ્ય સરકારને રજૂઆત
જો સત્ર મોડું શરૂ થશે તો કોર્સ પૂર્ણ કરવા અને રિવિઝન માટે સમય નહીં મળે: જતીન ભરાડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાના બદલે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ નિયમિત સમયસર એટલે કે આગામી 8 જૂનથી જ કરવા માટે રાજકોટના શાળા સંચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને ઓનલાઇન એજ્યુકેશનના બદલે વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ આપવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ઉગ્ર માગ કરવામાં આવી છે. સંચાલકોનું સ્પષ્ટ માનવું છે કે કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણથી ભણતર પર જે નકારાત્મક અસરો પડી હતી, તેમાંથી વિદ્યાર્થીઓ હજુ પણ સંપૂર્ણ બહાર આવી શક્યા નથી. રાજ્યની 53,000 શાળાઓના આશરે 1.04 કરોડ વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશનથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જતીન ભરાડ અને રાજકોટ મંડળના પ્રમુખ અવધેશ કાનગડે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ સીબીએસઈ (ઈઇજઊ) બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2027માં લેવાનારી પરીક્ષાઓ માટે શાળાઓ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવો એક મોટો પડકાર છે. જો શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં વિલંબ થશે, તો અભ્યાસક્રમ પૂર્ણ કરવા સાથે રિવિઝન અને પ્રેક્ટિકલ તાલીમ માટે પૂરતો સમય મળશે નહીં, જેનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના પરિણામો પર પડશે. શૈક્ષણિક સત્રનો દરેક દિવસ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વનો છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ અને ભાવેશભાઇ વેકરીયા વધુમાં જણાવે છે કે પ્રત્યક્ષ શિક્ષણ વિદ્યાર્થીઓના માનસિક વિકાસ અને સામાજિક ઘડતર માટે અનિવાર્ય છે. વર્ગખંડનું વાતાવરણ, શિક્ષકો સાથેનો સીધો સંપર્ક અને મિત્રો સાથેનો શૈક્ષણિક સંવાદ વિદ્યાર્થીઓને વધુ સક્રિય અને આત્મવિશ્વાસી બનાવે છે. તેથી શિક્ષણ વ્યવસ્થામાં સમયબદ્ધતા જાળવી સમયસર શાળાઓ શરૂ કરવી આજની આવશ્યકતા છે. આ તમામ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખી રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતા, પ્રમુખ અવધેશભાઈ કાનગડ, મહામંત્રી ઉર્વિશભાઇ પટેલ, ભાવેશભાઇ વેકરીયા સહિત મંડળના તમામ હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા તથા શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓના સર્વાંગી હિત માટે સમયસર અને હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.
શાળા શિસ્ત અને સામાજિક મૂલ્યોનું માધ્યમ છે: ડી.વી.મહેતા
- Advertisement -
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતાએ વર્ગખંડના શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “શાળા માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતી સંસ્થા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંવાદક્ષમતા, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યો વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.”તેમણે ઉમેર્યું કે કોરોના દરમિયાન લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ વર્ગખંડથી દૂર રહ્યા હોવાથી તેમના અભ્યાસ પ્રત્યેના લગાવ અને નિયમિતતામાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેથી હવે સત્ર સમયસર શરૂ થાય તે જ વિદ્યાર્થીઓના હિતમાં છે.



