ભાજપે ખૂબ કાળજીપૂર્વક સર્વગ્રાહી હિન્દુ રાજનીતિનું રાજનૈતિક મોડેલ આપ્યું જેમાં ‘બધા હિન્દુ એક’ની ભાવના ઉદભવી, પ્રસરી અને ધીરે ધીરે ભાજપના મૂળિયા છેક ગ્રામ્ય સ્તર સુધી ઊંડા ઊતર્યાં
સૌજન્ય ડૉ. શિરીષ કાશીકર
- Advertisement -
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ યાને કે મહાનગરપાલિકાઓ, નગરપાલીકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ રંગેચંગે સંપન્ન થઈ અને અપેક્ષિત પરિણામો પણ આવ્યા.અત્ર તત્ર સર્વત્ર કેસરિયો લહેરાયો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એમની અપેક્ષા કરતા પણ વધારે બુરી વલે થઈ.આ બધું જોયા પછી ઘણા લોકોના મનમાં અહીં મથાળાંમાં જે પ્રશ્ર્ન કર્યો છે એ પ્રશ્ર્ન ચોક્કસ ઉઠ્યો હશે પણ એનો જવાબ શોધવા રોકેટ વિજ્ઞાની બનવાની જરૂર નથી,ઉત્તર સરળ છે.તમામ પ્રકારના રાજકીય કાવાદાવાઓ (સામ, દામ, દંડ, ભેદ)ની સાથે બે મહત્વના પરિબળો છે જે ભાજપના સઢમાં હંમેશા હવા ભરેલી રાખે છે.એ પરિબળો છે તેનો ‘કમિટેડ વોટર’ અને ‘દેવદૂર્લભ કાર્યકર્તા’. ભાજપની આ બે અસ્ક્યામતો એને હંમેશા હૂંફ અને સલામતી પૂરા પાડે છે. કઈ રીતે? આવો જોઈએ..
આ બન્ને પરિબળોના મહત્વને સમજવા થોડું નજીકના રાજકીય ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે.બહુ દૂર નહીં,હમણાં હમણાં નેવુંના દાયકા સુધી આ રાજ્ય પર કોંગ્રેસે શાસન કર્યું અને કોઈપણ રાજકીય પક્ષને ઇર્ષા આવે એવી બહુમતી સાથે કર્યું. આશરે ત્રણ દાયકા જેવો (થોડો સમય ખંડિત) જનાદેશ અને સત્તાસુખ એણે ભોગવ્યા.કોંગ્રેસે સંગઠનને મજબૂત રાખવા એક સમયે સેવાદળ સહિતના સારા,સઘન પ્રયોગો પણ કરેલા પણ તેની સરકારોએ એંસીના દાયકામાં લીધેલા એક પછી એક આત્મઘાતી નિર્ણયોએ કોંગ્રેસની શાસન પરની પકડ ઢીલી કરી નાખી.એક સમયે તો એક ટર્મમાં કોંગ્રેસે ચાર ચાર મુખ્યમંત્રી બદલ્યા અને તેના પતનની શરૂઆત થઈ. કોંગ્રેસના ગુજરાતમાં જનાધાર ગુમાવવા પાછળનું એક મહત્વનું પરિબળ હતું “ખામ” (ક્ષત્રિય+હરિજન+આદિવાસી+મુસ્લિમ) થિયરી. આ થિયરી એક સમયે કોંગ્રેસ માટે જીતનું અમોધ શાસ્ત્ર ગણાતી હતી. એ જ થિયરી તેના ગળાનો ફંદો બની ગઈ જ્યારે રાજ્યમાં જનસંઘ( ભાજપ)નો આક્રમક ઉદ્ભવ થયો.
ગુજરાતમાં સૌથી પહેલી અમદાવાદ મહાનગરપાલિકા જીતીને ભાજપે કોંગ્રેસ અજેય નથી એ સાબિત કરી દીધું. સાથે સાથે એ સમયે થયેલા જનઆંદોલનોના પરિપાક સ્વરૂપે જનતાએ કોંગ્રેસની ખામ થિયરીને નકારી કાઢી અને હિંદુત્વ આધારિત રાજનીતિને ધીરે ધીરે સ્વીકારી.અહીંથી કોંગ્રેસની પડતી શરૂ થઈ અને તેના કોફિનમાં છેલ્લો ખીલો સ્વ.ચીમનભાઈ પટેલની મહત્વાકાંક્ષા એ માર્યો. ભાજપે ખૂબ કાળજીપૂર્વક સર્વગ્રાહી હિન્દુ રાજનીતિનું રાજનૈતિક મોડેલ આપ્યું જેમાં “બધા હિન્દુ એક” ભાવના ઉદભવી, પ્રસરી અને ધીરે ધીરે ભાજપના મૂળિયા છેક ગ્રામ્ય સ્તર સુધી ઊંડા ઊતર્યા. ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુબાપાના શાસન પછી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીપદે આવીને આ મૂળિયાને વધુ મજબૂત કર્યા. લોકપ્રિય રાજકારણ અને વહીવટની સાથે ખૂબ કાળજીપૂર્વક હિન્દુત્વની ભાવનાને જનતામાં પ્રસરાવી જેના કારણે જનસામાન્યમાં ભાજપ માટે એક શ્રદ્ધા ઊભી થઈ કે આ એક એવી પાર્ટી છે જે બહુમતીના હિતોની જાત-પાતનાં ભેદભાવ વગર રક્ષા કરશે, એની પડખે ઊભી રહેશે, અને એવું જ થયું. સદભાગ્યે “નરેન્દ્ર” શરૂ થયેલી આ પરંપરા “ભૂપેન્દ્ર” સુધીના તમામ શાસકોએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ચાલુ રાખી છે. પરિણામે લોકોએ હંમેશા દરેક સ્તરની ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા અને હજુ આપી રહ્યા છે, આપતા રહેશે. આ રીતે ભાજપે પોતાનો “કમિટેડ વોટરબેસ” પેઢી દર પેઢી ઊભો કર્યો જે લઘુમતી તુષ્ટિકરણ અને આંતરિક ઝગડાઓમાં અટવાયેલી, સત્તાવિહીન કોંગ્રેસ માટે અસંભવ કાર્ય હતું. ભાજપ અને તેના મતદારોના કિસ્સામાં “કમિટેડ વોટરનું” પાર્ટી માટે અને પાર્ટીનું તેના “વોટર” માટેનું આ એક વણલખ્યું પરસ્પર કમિટમેન્ટ છે અને જ્યાં સુધી ભાજપ “સંઘ શક્તિ કલૌયુગે” દૃઢીભૂત છે ત્યાં સુધી રાષ્ટ્ર અને જનસામાન્ય માટે સબ સલામત છે.
હવે બીજું પરિબળ “દેવદુર્લભ કાર્યકર્તા” અત્યંત ધીરજપૂર્વક ભાજપે છેક જનસંઘના સમયથી કાર્યકર્તાઓની એક કેડર ઊભી કરી જે કોઈ વધારે પડતી અપેક્ષા વગર માત્ર રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ ધપાવવા અને તેને સત્તા પર ટકાવી રાખવા માટે અવિરત મહેનત કરતી રહી. જો કે આના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ક્રેડિટ આપવી પડે કારણ કે રાજકીય ગતિવિધિઓથી દૂર રહીને પણ એના સ્વયંસેવકોનું જે વિચારધારા પ્રત્યેનું કમિટમેન્ટ છે એ તેણે ભાજપના કાર્યકરોમાં ઉતારવામાં (અને તેના થકી જનસામાન્યમાં રાજકીય ચેતના જગાવવામાં) ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે ભાજપ માટે મુફલિસીના સમયમાં સાચવી લેનારા કુટુંબોથી માંડીને તમામ સુવિધાઓ યુક્ત કાર્યાલયો સુધીની લાંબી સંઘર્ષમય સફર સહજ અને સરળ બની. આ કાર્યકર્તાએ ભાજપની વિચારધારા માટે રાતદિવસ એક કર્યા છે.સભાઓમાં પાથરણા પાથરવાના નાનામાં નાના કામથી માંડીને લાખો લોકો સુધી આંગળીના ટેરવે વિચારધારાને પહોંચાડતા “ડિજિટલ યોદ્ધા” સુધીના બધા જ દેવદુર્લભ કાર્યકરોના બળે ભાજપ આટલા આત્મવિશ્ર્વાસથી આગળ વધે છે. અને ભવિષ્યમાં પણ વધતો જ રહેશે. આ કાર્યકર્તા ચૂંટણી ટાણે કમિટેડ મતદારોને પણ જરૂર પડ્યે ભાઈબાપા કરીને વોટિંગ બુથ સુધી લઈ જાય છે અને ચૂંટણી ના હોય ત્યારે સતર્ક રહીને પાર્ટીના નાના મોટા કામો કરતો રહે છે.આ કાર્યકરો પણ રાજકીય કારકિર્દી ઘડવા આવેલા લોકો જ છે પણ એ ધીરજ નથી ગુમાવતા, એ સમયની રાહ જુએ છે અને આગળ વધે છે.ભાજપના નાનકડા જિલ્લા કાર્યાલયમાં ચા પીરસનારો કાર્યકર્તા એટલે જ નગરસેવક બને છે અને ખરા ઉનાળે મોટરસાઇકલ પર ફરીને, ગામડાની ધૂળ ખાઈને પાર્ટીના મૂળિયા ઊંડા ઉતારનારો કાર્યકર દેશનો પ્રધાન સેવક બને છે. બોલો, હવે આ ભાજપવાળાઓને હવા તો રહે જ ને…કે નહીં…?



