રમત પ્રત્યેનો અનોખો જુસ્સો, યુવા ખેલાડીઓ માટે પ્રેરણા અને માર્ગદર્શક લખનભાઈનો ખાસ-ખબર કપ ટુર્નામેન્ટમાં ‘ખાસ’ સહયોગ
લખનભાઈ એલ.કે. સ્પોર્ટ્સ, જે.ડી. ઓપ્ટિકલ શૉ-રૂમના માલિક છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં યોજાયેલી ખાસ-ખબર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટને જાણીતા ક્રિકેટપ્રેમી અને એલ.કે. સ્પોર્ટ્સ તથા જે.ડી. ઓપ્ટિકલ શો-રૂમના માલિક લખનભાઈ સોનૈયાના મજબૂત સહયોગથી વિશેષ સફળતા પ્રાપ્ત મળી છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટપ્રેમીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખેલાડીઓમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો હતો. લખનભાઈ સોનૈયા છેલ્લા ઘણા વર્ષોથી ટેનિસ ક્રિકેટ ક્ષેત્રે સક્રિય રહી રમતગમતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેઓ માત્ર પ્રેક્ષક તરીકે નહીં, પરંતુ માર્ગદર્શક, પ્રોત્સાહક અને ટીમ નિર્માતા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવ્યું છે, જે તેમના પ્રયાસોની સફળતા દર્શાવે છે. તેમની એલ.કે. સ્ટાર ટીમ આજે ટેનિસ ક્રિકેટ જગતમાં એક જાણીતી ઓળખ બની ચૂકી છે. મુંબઈ, દિલ્હી, બરોડા સહિત દેશના વિવિધ શહેરોમાં યોજાયેલી પાંચ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં આ ટીમ ચેમ્પિયન રહી છે. આ સિદ્ધિઓ માત્ર ટીમની કુશળતા જ નહીં, પરંતુ લખનભાઈના દ્રષ્ટિકોણ અને આયોજન ક્ષમતાનો પણ પુરાવો આપે છે. લખનભાઈનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ માત્ર સ્પર્ધાઓ સુધી મર્યાદિત નથી. તેઓ દેશભરમાં યોજાતી મોટાભાગની મોટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની ટીમ ઉતારીને ખેલાડીઓને વ્યાપક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. આ સાથે જ તેઓ નવા ખેલાડીઓને તક આપે છે અને તેમને આગળ વધવા માટે માર્ગદર્શન પૂરૂં પાડે છે. ખાસ-ખબર કપ ટુર્નામેન્ટ દરમિયાન તેમણે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રેક્ષકો અને ખાસ કરીને નાના બાળકોને ચશ્માનું વિતરણ કરીને તેમણે રમત પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. બાળકોમાં રમતગમત પ્રત્યે રસ જાગે અને તેઓ શારીરિક તેમજ માનસિક રીતે સશક્ત બને તેવા ઉદ્દેશ સાથે આ પહેલ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોનો ઉત્સાહ પણ નોંધપાત્ર રહ્યો હતો. દરેક મેચ દરમિયાન તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓને પ્રોત્સાહન મળતું રહ્યું હતું. ખાસ કરીને યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત લખનભાઈ સોનૈયા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહે છે. રમત સાથે સમાજસેવાને જોડીને તેઓ એક સકારાત્મક સંદેશ આપતા રહ્યા છે. તેમનાં આવા પ્રયાસો માત્ર ક્રિકેટ ક્ષેત્ર પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. લખનભાઈ સોનૈયાના સહયોગ અને દ્રઢ સંકલ્પના કારણે આ ટુર્નામેન્ટે સફળતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે.



