ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મીડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ખાતરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત એક જ ટેન્ડરમાં રેકોર્ડ 25 લાખ મેટ્રિક ટન યુરિયા આયાત કરવા જઈ રહ્યું છે. જોકે, ચિંતાની વાત એ છે કે માત્ર બે મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઈન્ડિયન પોટાશ લિમિટેડ (ઈંઙક)એ આ ખરીદી માટેની ડીલ ફાઈનલ કરી છે. અગાઉના ટેન્ડરમાં પશ્ચિમ કિનારા માટે યુરિયા અંદાજે 508 ડોલર પ્રતિ ટન હતું, જે હવે વધીને 935 ડોલર પ્રતિ ટન થઈ ગયું છે. તેવી જ રીતે, પૂર્વ કિનારા માટે જે ભાવ 512 ડોલર હતો, તે હવે 959 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગયો છે. આમ, વૈશ્વિક તંગદિલીને કારણે ભારતે લગભગ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ છે. વર્ષ 2025માં ભારતને અંદાજે 1 કરોડ ટન યુરિયાની જરૂરિયાત રહેવાની છે, જેની સામે આ 25 લાખ ટનનો જથ્થો કુલ જરૂરિયાતનો ચોથો ભાગ પૂર્ણ કરશે. જોકે, આયાત મોંઘી થવાથી ભારત સરકાર પર સબસિડીનો બોજ અસહ્ય બનશે. સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર પૂરું પાડવા માટે કંપનીઓને સબસિડી આપે છે, જેનો ખર્ચ હવે આસમાને પહોંચશે. નિષ્ણાતોના મતે, ભારત દ્વારા કરવામાં આવેલી આટલી મોટી ખરીદીને કારણે વૈશ્વિક બજારમાં અન્ય દેશો માટે યુરિયાની અછત સર્જાઈ શકે છે. સપ્લાયર્સ પાસે મર્યાદિત સ્ટોક હોવાથી અને મોટાભાગનો જથ્થો ભારત તરફ આવવાનો હોવાથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.



