જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસે ચાર ચોક ખાતે કેક કટિંગ અને આતશબાજી
ધારાસભ્ય દેવા માલમ સહિત કાર્યકર્તાઓની હાજરીથી વિવાદ ઉગ્ર બન્યો
- Advertisement -
‘શક્તિ પ્રદર્શન’ જેવી ઉજવણી: શું નેતાઓ માટે અલગ કાયદો હોય? લોકોમાં ઉઠતા સવાલો
વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી મામલો દબાવી દેવાશે ?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
લોકશાહીના પર્વ સમાન ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ હોય ત્યારે કાયદાના પાલનમાં વધુ સાવચેતી અને જવાબદારી અપેક્ષિત રહે છે. તેમ છતાં જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં થયેલી એક ઘટનાએ આ સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવતાં આચારસંહિતાના ભંગની ચર્ચા ઉઠી છે.
મળતી માહિતી મુજબ, કેશોદના વ્યસ્ત ગણાતા ચાર ચોક વિસ્તારમાં આ ઉજવણી યોજાઈ હતી. જાહેર માર્ગની વચ્ચે કેક કાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આતશબાજી પણ કરવામાં આવી હતી. ભીડ અને ફટાકડાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તંત્રની કોઈ દેખીતી કાર્યવાહી ન થતાં, વહીવટી તંત્રની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે. આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવા માલમ તથા સ્થાનિક સ્તરના ઉમેદવારો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓની હાજરી નોંધાઈ હતી. જેના કારણે આ ઉજવણીને એક રાજકીય પ્રદર્શનનું સ્વરૂપ મળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકીય આગેવાનો દ્વારા નિયમોના પાલનમાં ઉદાસીનતા દાખવવામાં આવે તો સામાન્ય નાગરિકો માટે કાયદાની લાગુ પડતી સમાનતા અંગે પ્રશ્નો ઉદ્ભવે છે.
ઘટના બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. લોકોમાં ચર્ચા છે કે, સામાન્ય નાગરિક દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી થાય છે, જ્યારે રાજકીય આગેવાનો સામે તંત્ર કેમ મૌન છે? આ ઘટનાએ ‘સૌ માટે સમાન કાયદો’ના સિદ્ધાંતને પડકાર્યો છે. આગામી 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ આદર્શ વર્તન દાખવવાની જરૂરિયાત છે. જાહેર સ્થળોએ આ પ્રકારની ઉજવણી અને આતશબાજી નાગરિકોને તકલીફ પહોંચાડે છે અને પક્ષની છબીને પણ નુકસાન પહોંચાડી શકે છે. હવે જોવાનું રહ્યું કે જૂનાગઢ જિલ્લાનું વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી મામલો દબાવી દેવાશે.
અમે જાહેર રસ્તા પર ઉજવણી નથી કરી
આ સમગ્ર વિવાદ અંગે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ એક ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, અમે કેશોદમાં આવેલા શ્રીરામ ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે ગયા હતા. જે કંઈ ફટાકડા ફૂટ્યા છે તે મૂર્તિ પાસે જ ફૂટ્યા છે, અમે કોઈ પણ જાતના જાહેર રોડ પર આવી કોઈ ઉજવણી કરી નથી. તેમણે આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે આ બાબતને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.



