મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈઝરાયલની વાયુસેનાએ ગઈકાલે મધરાતે ઈરાનની અંદર પ્રવેશીને અનેક ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ ઓપરેશનમાં ઈરાનના અત્યંત શક્તિશાળી ગણાતા બાસિજ દળના કમાન્ડર ગુલામ રઝા સુલેમાની માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાની પણ આ હુમલાનો નિશાન બન્યા છે.
સચોટ ઇન્ટેલિજન્સ અને ટાર્ગેટેડ સ્ટ્રાઇક
- Advertisement -
IDF (ઈઝરાયલ સંરક્ષણ દળ)ના જણાવ્યા અનુસાર, મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે વાયુસેનાએ તેહરાનના મધ્ય ભાગમાં આક્રમણ કર્યું હતું. છેલ્લા છ વર્ષથી બાસિજ યુનિટના કમાન્ડર તરીકે કાર્યરત ગુલામ રઝા સુલેમાનીને આ ટાર્ગેટેડ હુમલામાં ઠાર કરવામાં આવ્યા છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે મંગળવારે જણાવ્યું હતું કે ઈરાનના ટોચના સુરક્ષા પ્રમુખ અલી લારિજાની માર્યા ગયા છે. તેમની ઓફિસ દ્વારા મળેલી જાણકારી મુજબ, આજે સવારે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કાત્ઝે કહ્યું હતું કે, ‘લારિજાની અને બાસિજ કમાન્ડર ગઈકાલે રાત્રે ખતમ થઈ ગયા છે. તેઓ હવે વિનાશના કાર્યક્રમના વડા ખામેનેઈ અને ‘એક્સિસ ઓફ એવિલ’ના તમામ સભ્યોની જેમ નરકમાં પહોંચી ગયા છે.’
કોણ હતા ગુલામ રઝા સુલેમાની?
- Advertisement -
ઈઝરાયલના દાવા મુજબ, ઈરાનના આંતરિક સુરક્ષા માળખામાં બાસિજ દળ એક અત્યંત શક્તિશાળી અને નિર્ણાયક હિસ્સો છે, જે સીધું જ રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) હેઠળ કાર્યરત રહીને ઈરાની શાસનના મજબૂત સ્તંભ તરીકે ઓળખાય છે. તાજેતરમાં ઈરાનમાં ફાટી નીકળેલા આંતરિક વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે કમાન્ડર સુલેમાનીની આગેવાનીમાં આ દળે આક્રમક ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ લોકશાહી ઢબે પ્રદર્શનો તેજ થયા, ત્યારે સુલેમાનીની કમાન હેઠળ જ સામાન્ય નાગરિકો પર ભારે હિંસા આચરવામાં આવી હતી અને મોટા પાયે સામૂહિક ધરપકડના અભિયાનો ચલાવીને જનતાના અવાજને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તેહરાનના ‘સેફ હાઉસ’ પર પણ હુમલો
ઈઝરાયલી સેનાએ માત્ર ઈરાની અધિકારીઓ જ નહીં, પરંતુ તેહરાનમાં છુપાયેલા પેલેસ્ટાઈની ઇસ્લામિક જેહાદના નેતા અક્રમ અલ-અજૌરી અને અન્ય ટોચના આતંકી અધિકારીઓના ઠેકાણાઓ પર પણ સ્ટ્રાઇક કરી હોવાનો દાવો કર્યો છે. આ હુમલા દ્વારા ઈઝરાયલે સાબિત કર્યું છે કે તે ઈરાનની સરહદની અંદર ગમે ત્યાં ઘૂસીને હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
IDF ચીફનું નિવેદન
IDF ચીફ ઑફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે આજે સવારે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ હુમલાઓની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘રાતભરની આ કાર્યવાહીમાં મહત્ત્વના ડેવલપમેન્ટ્સ થયા છે, જેની અસર ભવિષ્યના મિશન પર પડશે.’ આ ઇશારો સીધો જ ઈરાનના ટોચના સૈન્ય અને રાજકીય ચહેરાઓને નિશાન બનાવવાની રણનીતિ તરફ હતો. ઈઝરાયલના આ આક્રમક વલણ બાદ હવે ઈરાન શું વળતો પ્રહાર કરશે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે.




