ડૉ. નિદત બારોટ : મહેતાનો જૂની તારીખમાં સંશોધન પત્રો પ્રસિદ્ધ કરાવી પ્રમોશનનો પ્રયાસ
કમલ મહેતા : બારોટ પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે
- Advertisement -
જૂની તારીખમાં સંશોધન પત્રો પ્રકાશિત થયાની ફરિયાદ બાદ જર્નલમાંથી પેપર્સ દૂર
એડિટોરિયલ બોર્ડ બદલાયું અને યુનિવર્સિટીના સત્તામંડળોમાં પણ ફેરફાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ કમલ મેહતા સામે સંશોધન પત્રો સંબંધિત ગંભીર કૌભાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. નિદત બારોટે કમલ મેહતા દ્વારા જૂની તારીખમાં સંશોધન પત્રો પ્રસિદ્ધ કરાવી પ્રમોશન મેળવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. ડો. નિદત બારોટે અગાઉ રજૂ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કમલ મેહતાએ સંશોધન જર્નલમાં પાછલી તારીખ દાખવીને સંશોધન પત્રો પ્રકાશિત કરાવ્યા હતા. જોકે તે સમયે કમલ મેહતાએ આ તમામ આક્ષેપોને ખોટા ગણાવી જાહેર નિવેદન આપ્યું હતું અને ડો. બારોટ દ્વારા પ્રસિદ્ધિ મેળવવા માટે આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે મીડિયા સમક્ષ આપવામાં આવેલા નિવેદનમાં ‘ફ્યુરિસ્ટીક એપ્રોચ’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને પોતાને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને હવે લગભગ એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન બનેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓથી સમગ્ર મામલે નવી દિશા મળી હોવાનું ડો. બારોટનો દાવો છે.
સૌપ્રથમ, જે સંશોધન પત્રો જૂની તારીખમાં પ્રકાશિત થયા હોવાનું કહેવાતું હતું તે હવે સંબંધિત જર્નલમાંથી દૂર કરવામાં આવ્યા છે. ડો. બારોટના જણાવ્યા મુજબ, જો કમલ મેહતા સંપૂર્ણપણે સાચા હતા તો તે સંશોધન પત્રો જર્નલમાંથી દૂર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ તે પ્રશ્ન હવે ઉભો થયો છે. બીજું મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે જર્નલના તમામ એડિટરોને હટાવી દેવામાં આવ્યા છે અને હવે નવું એડિટોરિયલ બોર્ડ રચવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગેની માહિતી જર્નલની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પગલાંથી સમગ્ર સંપાદકીય માળખામાં ફેરફાર થયો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોમાં સભ્ય બનવા માટે ચોક્કસ સંખ્યામાં સંશોધન પત્રો હોવા જરૂરી હોય છે. કમલ મેહતા દ્વારા રજૂ કરાયેલા સંશોધન પત્રો જર્નલમાંથી દૂર થતાં હવે જરૂરી માપદંડ પૂર્ણ થતા નથી. પરિણામે તેઓ બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ અને સર્વોચ્ચ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેવી સંસ્થાઓમાંથી દૂર થયા હોવાનું ડો. બારોટે જણાવ્યું છે. ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મની નહોતી અને તેઓ કોઈ અધ્યાપકને કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડે તેવી પરિસ્થિતિ સર્જવા માંગતા નહોતા, તેથી અત્યાર સુધી તેમણે સાઇબર ક્રાઇમમાં કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે પાછલી તારીખમાં સંશોધન પત્રો પ્રકાશિત કરાવવું અને તેના આધારે સત્તામંડળમાં સ્થાન મેળવવાનો અથવા પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરવો એ અત્યંત ગંભીર ફોજદારી ગુનો ગણાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે અંતે સત્ય બહાર આવશે અને હવે જર્નલમાંથી સંશોધન પત્રો દૂર થવાની ઘટના એ વાતને સમર્થન આપે છે. તેમની રજૂઆત કોઈ ખોટી ફરિયાદ કે પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ નહોતો, પરંતુ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે કરવામાં આવી હતી. ડો. બારોટે અંતમાં જણાવ્યું કે સત્યમેવ જયતે. આ મુદ્દે હંગામો ઊભો કરવો તેમનો હેતુ નહોતો, પરંતુ યુનિવર્સિટીની વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત હતી અને આ સમગ્ર પ્રકરણથી એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનું તેમણે જણાવ્યું.



