અમદાવાદના સીતાપુર અને સુરત કીમ નદીમાં 3-3 ડૂબ્યાં
મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5 અને માલપુરમાં 2 માસૂમ તણાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર દેશ અને રાજ્ય જ્યારે હોળી-ધૂળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં માતમના દૃશ્યો સર્જાયા છે. મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5, સુરતના બારડોલીમાં 4, સુરતના માંગરોળ અને અમદાવાદના માંડલમાં 3-3, અરવલ્લીના માલપુર અને ધનસુરામાં તથા મહેસાણાના મોટીદઉમાં 2-2. કડી અને અમરેલીમાં એક-એક એમ ધૂળેટી રમીને નહાવા પડેલા કુલ 23 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાઓને પગલે જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજે આક્રંદ જોવા મળ્યો હતો. અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગરના ચાર યુવકોનું ડુબી જવાથી મોત નિપજ્યું છે.
મહીસાગરમાં કંતાર ગામના વતની 4 યુવકો ધૂળેટી રમ્યા બાદ કોઠંબા તાલુકાના ધામણીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રાઘવના મુવાડા નાકા તળાવમાં સ્નાન કરવા ઉતર્યા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી તે પહેલા જ ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. અમિતકુમાર વિનોદભાઈ બારીયા, તુષારકુમાર રુદ્રનાથ બારીયા, જયેશકુમાર જશવંતભાઈ બારીયા, વિપુલકુમાર જશવંતભાઈ બારીયા (જયેશ અને વિપુલ સગા ભાઈઓ હતા) આ પૈકી 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 યુવકોને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક એક અત્યંત દુખદ ઘટના બની હતી. અહીંની એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી ધૂળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા માટે આ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા. નહાતી વખતે ત્રણ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે રહેલા મિત્રોની બૂમાબૂમ સાંભળી સ્થાનિકો અને તરવૈયાઓ દોડી આવ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. આ ત્રણેય યુવાનો ધૂળેટીના દિવસે નદીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. કોસંબા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં બે પરપ્રાંતિય અને એક સ્થાનિક ગુજરાતી યુવાનનો સમાવેશ થાય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બારડોલીના ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિઢોળા નદીમાં ધૂળેટીનો દિવસ હોય 5 યુવકો નાહવા પડ્યા હતા. જે પેકી ઊંડા પાણીમાં યુવકો ડૂબ્યા હતાં. પાંચમાંથી એકનો બચાવ થયો હતો, 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. મૃતક યુવકો બાબેન તેમજ બારડોલીના રહેવાસી છે. બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ડૂબી જવાની ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે પણ ધૂળેટીની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. અહીં ગામના તળાવમાં નહાવા પડેલા બે માસૂમ બાળકના મોત નિપજ્યા છે. ધનસુરા તાલુકાના જાલમપુર નજીકથી પસાર થતી માઝુમ નદીમાં નહાવા પડેલા બે મિત્રોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે પિતરાઈ ભાઈઓ ધૂળેટી રમીને શરીર સાફ કરવા ગામના તળાવે ગયા હતા. આ બંને બાળકો ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હતા. નહાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળક ડૂબવા લાગ્યા હતા. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈઇંઈ ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ધનસુરા તાલુકાના જાલમપુરા અને બુટાલ ગામના બે યુવાનો માઝુમ નદીમાં નાહવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણીમાં નહાતી વખતે અચાનક બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ધનસુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી બંને ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધૂળેટી પર્વના દિવસે એક ગંભીર દુર્ઘટના બની હતી. ગામના ત્રણ બાળકો ઝોલાસર તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતાં તેમના કરૂણ મોત થયા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. પાર્થ મહેશભાઈ રાઠોડ, કૌશિક લાલભાઈ રાઠોડ અને સૌરભ અશોકભાઈ રાઠોડ આ ત્રણેય બાળકોની ઉંમર આશરે 9 વર્ષ છે અને ત્રણેય સીતાપુર ગામના જ રહેવાસી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ધૂળેટીના પર્વની ઉજવણી બાદ આ ત્રણેય બાળકો રંગો ઉતારવા માટે ઝોલાસર તળાવમાં ન્હાવા ગયા હતા. તળાવમાં ન્હાતી વખતે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. બાળકો ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મહેસાણાના મોટીદઉ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ધૂળેટી રમીને બપોરના સમયે કેનાલમાં નાહવા પડેલા ચારેય યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, જેમાં આસપાસના લોકોએ બે યુવકોને તો હેમખેમ બચાવી લીધા હતા, પરંતુ 14 વર્ષીય જયરાજ ઠાકોર અને 23 વર્ષીય વિજયજી ઠાકોર પાણીમાં લાપતા થયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
કડીના થોળ રોડ પર આવેલી માઇનોર કેનાલમાં ધૂળેટીના તહેવાર નિમિત્તે નહાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. મૃતક યુવકની ઓળખ કડીના હાઇવે ચાર રસ્તા પાસે રામાપીર મંદિર પાછળ આવેલા સલાણીયા વાસમાં રહેતા 35 વર્ષીય શેરૂભાઈ હરચંદભાઈ સરાણીયા તરીકે થઈ છે. શેરૂભાઈ પોતાના મિત્રો સાથે ધૂળેટીના તહેવારની ઉજવણીના ભાગરૂપે કેનાલમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક જ શેરૂભાઈ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. ઘટના સ્થળે હાજર અન્ય લોકો પણ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શેરૂભાઈનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકના આકસ્મિક મૃત્યુથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અમરેલી તાલુકાના ખંભાળિયાથી વિઠ્ઠલપુર જતા માર્ગ પર આવેલી શેત્રુંજી નદીમાં ધૂળેટી રમ્યા બાદ નહાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર ટીમે પોતાની કુશળતા અને અનુભવના આધારે માત્ર 30 મિનિટમાં જ ડૂબી ગયેલા યુવકના મૃતદેહને શોધી કાઢી પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવકની ઓળખ સમીર મહેશ સોલંકી (ઉંમર 20 વર્ષ), રહેવાસી બહારપરા, અમરેલી તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



