રેસ્ટોરાં-લારીના ટોમેટો સોસ, લીલી ચટણી અને ચાઈનીઝ સોસ ધીમે ધીમે શરીરને ખતમ કરી નાંખે છે
સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક આ સોસમાં ટામેટાં અને મરચાંને બદલે સિન્થેટિક કલર, મકાઈનો લોટ તેમજ આરારૂટ ઉમેરાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આપણે સૌ ઘર અને ઘર બહાર પણ દરેક નાસ્તા સાથે સોસનો ઉપયોગ ભરપૂર કરીએ છીએ. પરંતુ આપણે જે સોસ ખાઈએ છે તે અસલી છે કે નકલી એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરા? આજકાલ સોસનો વધુ પડતો ઉપયોગ જંકફૂડ અને ફાસ્ટફૂડ જેવાં કે નૂડલ્સ, ભેળ, મેગી, બર્ગર, સેન્ડવીચ, સમોસા, દાબેલી, વડાપાઉં, ઘૂઘરા, પિત્ઝા, આમલેટ વગેરેમાં વ્યાપકપણે થાય છે. જોકે આ બધી જ ફૂડ આઈટમમાં વપરાતો રેડ એન્ડ ગ્રીન સોસ મોટાભાગે નકલી હોવાનું જાણવા મળે છે. આજકાલ બનાવટી સોસ ઝડપાવવાના સતત સામે આવી રહેલા કિસ્સાઓ દર્શાવે છે કે બજારોમાં મોટાપાયે ભેળસેળયુક્ત સોસનો ઉપયોગ થઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આ સોસમાં ટામેટાં અને મરચાંને બદલે સિન્થેટિક કલર, મકાઈનો લોટ તેમજ આરારૂટ ઉમેરવામાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે બ્રાન્ડેડ અને સારી ગુણવત્તાવાળા સોસની કિંમત 150થી 200 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હોય છે
હાનિકારક કેમિકલ અને અખાદ્ય તત્ત્વોથી ખદબદતાં સોસથી ચેતી જજો
- Advertisement -
જ્યારે નકલી સોસ 20થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ત્યારે પ્રશ્ર્ન થાય કે, ટામેટાં-મરચાંનો ભાવ પ્રતિકિલો રૂપિયા 30થી 40નો હોય છે તો તેમાંથી બનતા રેડ-ગ્રીન સોસ જે ફૂડ આઈટમ સાથે ફ્રીમાં આટલી છૂટથી કઈ રીતે અપાતા હોય છે? ખરેખર તો તે સોસ નામ માત્રના હોય છે. રસ્તાની આસપાસ આવેલા ફાસ્ટફૂડ કોર્નર, રેસ્ટોરન્ટ, ઢાબા અને જથ્થાબંધ દુકાનદારો સસ્તા ભાવે ચટણી ખરીદવા માગે છે. ભેળસેળ કરનારાઓ આનો ફાયદો ઉઠાવે છે અને આવા સ્થળોએ નબળી ગુણવત્તાનો રેડ-ગ્રીન સોસ સપ્લાય કરે છે. ખાસ કરીને ખાણીપીણીની લારીઓ પર સોસનો ઉપાડ વધુ થતો હોવાથી લારીધારકોએ છુટથી વપરાય અને નફો પણ ઘટે નહીં તેવી યુક્તિ અજમાવી બજારમાં ઉપલબ્ધ કલર-કેમિકલ નાખેલા હલકીકક્ષાના સોસનો જથ્થો રાખવો પડે છે. કાયદાની દ્રષ્ટિએ તો સોસ નેચરલ પ્રોડકટ ગણાતી હોવાથી તેમાં કલર નાંખવો એ ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમ ભંગ સમાન છે, તે બદલ દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. આમ છતાં તંત્ર દ્વારા આ બાબતે અસરકારક પગલાં નથી લેવાતા, બનાવટી-નકલી સોસનો વપરાશ પૂરજોશમાં થાય છે અને આપણે સૌ હોંશેહોંશે તેને ખાઈએ પણ છીએ.
રેડ અને ગ્રીન સોસમાં કલર અને કેમિકલ સહિતના ઘણાં હાનિકારક પદાર્થ ઉમેરવામાં આવે છે
રેડ-ગ્રીન સોસમાં ખર્ચ ઘટાડવા અને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ઘણી પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે. જેમ કે આર્ટિફિશિયલ કલર, સિન્થેટિક ફ્લેવર, ખરાબ ગુણવત્તાનો વિનેગર, એસિટિક એસિડ, મેંદો, પ્રિઝર્વેટિવ્સ, આરારોટ (તપકીર), કોર્ન સ્ટાર્ચ, કેમિકલ થીકનર. મોટાભાગે આરારોટ, કોર્ન સ્ટાર્ચ અને કેમિકલ થીકનરની ભેળસેળ સોસને ઘટ્ટ કરવા માટે થાય છે. સાથે જ તેમાં એડેડ સોલ્ટ અને શુગર પણ હોય છે.
લાલ-લીલી ચટણીમાં કલર અને લીંબુના ફૂલનો ભરપૂર ઉપયોગ
ખાણીપીણીવાળાઓ પોતાની વાનગી આકર્ષક, ટકાઉ અને સ્વાદિષ્ટ બનાવવા માટે જે લાલ-લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક કહી શકાય તેવા કલર અને લીંબુના ફૂલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ઘુઘરા, દાળ પકવાન, વડાપાઉં, દાબેલી, પકોડા, સમોસા, કચોરી, સેન્ડવીચ, ભજીયામાં આ પ્રકારની લાલ-લીલી ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ લૂઝ ચટણીની 20થી 25 રૂ. કિલો/લિટર આસપાસ હોય છે.
ભેળસેળયુક્ત સોસ ખાવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે
ભેળસેળયુક્ત સોસમાં ઉપયોગમાં લેવાતા આર્ટિફિશિયલ કલર, કેમિકલ ફ્લેવર અને હેવી પ્રિઝર્વેટિવ્સ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેને રોજ ખાવાથી પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી, ઝાડા-ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત ભેળસેળયુક્ત સોસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી, એલર્જી, સ્કિન રેશ અને હોર્મોનલ અસંતુલનનું જોખમ પણ વધે છે. લાંબા સમય સુધી તેના સેવનથી લીવર-કિડનીને નુકસાન થઈ શકે છે.



