બુધવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે કે.એલ. રાહુલની શાનદાર અણનમ 112 રનની સેન્ચુરી(વન-ડે કરિયરની આઠમી સેન્ચુરી)ની મદદથી 7 વિકેટે 284 રન બનાવ્યા હતા.
આ લક્ષ્યાંક ન્યૂઝીલેન્ડ સામે નાનો સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે અણનમ 131 રનની તોફાની ઇનિંગ રમી મેચ એકતરફી બનાવી દીધી હતી. મિચેલ અને વિલ યંગ (87 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે થયેલી 162 રનની ભાગીદારી ભારતની હારનું મુખ્ય કારણ બની હતી.
- Advertisement -
કેપ્ટન શુભમન ગિલનો ખુલાસો
મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે સ્વીકાર્યું હતું કે, ભારતની હારનું સૌથી મોટું કારણ વચ્ચેની ઓવરોમાં વિકેટ ન ઝડપી શકવી તે હતું. ગિલે જણાવ્યું કે, ‘જ્યારે પાંચ ફિલ્ડર અંદર હોય અને તમે વચ્ચેની ઓવરોમાં વિકેટ ન લઈ શકો, ત્યારે મેચ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બને છે. જો આપણે વધુ 15-20 રન બનાવ્યા હોત તો પણ વિકેટ લીધા વગર આ ટાર્ગેટ બચાવવો અઘરો હતો. શરૂઆતના 10 ઓવરમાં બોલિંગ સારી હતી, પરંતુ 20-25 ઓવર પછી પિચ સ્થિર થઈ ગઈ હતી અને ત્યાં ન્યૂઝીલેન્ડના બેટર્સએ બાજી મારી લીધી હતી.’
ફિલ્ડિંગ અને તકની નબળાઈ
- Advertisement -
શુભમન ગિલે ફિલ્ડિંગ પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમે સતત ફિલ્ડિંગ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ જો તમે મેચમાં મળતી તકો કે કેચ ઝડપી શકતા નથી, તો આ ફોર્મેટમાં મેચ હાથમાંથી નીકળી જાય છે.’ બીજી તરફ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલે પોતાની ટીમના ઓલરાઉન્ડ પ્રદર્શનના વખાણ કર્યા હતા અને ડેબ્યૂ કરનાર બોલર જેડન લેનોક્સની કામગીરીને પણ બિરદાવી હતી.




