કાર્યક્રમ રવિવારે યોજાશે: કઠપૂતળી, ચિત્રકલા, સંગીત આધારિત પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની આગવી ઓળખ બની રહેલી તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આવતા રવિવારે તા. 4 જાન્યુ. 26ના રોજ એક અનોખુ, વિચારપ્રેરક અને મૂલ્ય આધારિત શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે શાળાના પ્રાંગણમાં સ્ટુડન્ટ-લેડ કોન્ફરન્સ તેમજ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારને ઉજાગર કરતું માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ સવારે 8-00થી 9-00 યોજાશે, સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ સવારે 9-30થી બપોરે 1-30 વાગ્યે નવા 150 ફૂટ રીંગ રોડ, અટલ સરોવર સામે, વાજડીગઢ, રાજકોટ ખાતે યોજાશે.
આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકજ્ઞાનની બહાર લઈ જઈ અનુભવમુખી શિક્ષણ, આત્મવિશ્ર્વાસ, સંવાદક્ષમતા, રાષ્ટ્રીય ભાવના અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો છે. વિદ્યાર્થીઓ પોતે જ માર્ગદર્શક બની પોતાના વિચારો, અભ્યાસ, સંશોધન અને સર્જનાત્મકતા માતા-પિતા તથા શહેરના નાગરિકો સમક્ષ રજૂ કરશે, જે આધુનિક શિક્ષણ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ બનશે. સ્વદેશી વિષયમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી, દેશી ઉત્પાદનો અને હસ્તકલા પર વિશેષ પ્રકાશ પાડશે. બ્લોક પ્રિન્ટિંગ જેવા લાઈવ કાઉન્ટર્સ દ્વારા ભારતીય કારીગરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે. ભારતીય તથા વિદેશી મહાન વ્યક્તિઓએ સ્વદેશી વિચારધારાને કેવી રીતે અપનાવી અને પ્રોત્સાહન આપ્યું છે તે અંગેના પ્રદર્શન પણ દર્શાવવામાં આવશે. સ્વદેશી અપનાવવાથી દેશની અર્થવ્યવસ્થાને થતો લાભ સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવશે. સમૃદ્ધ ભારત વિષય હેઠળ વિદ્યાર્થીઓ સ્વસ્થ સમાજ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, મજબૂત અર્થતંત્ર, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી જેવા મુદ્દાઓ પર વિચાર રજૂ કરશે. આ વિષયને વધુ જીવંત બનાવવા માટે ભારતીય નૃત્ય શૈલીઓ, ભારતીય સંગીત શૈલીઓ, ભારતીય ચિત્રકળા અને લોકકલા, મંડાલા આર્ટના લાઈવ કાઉન્ટર્સ, કઠપૂતળી શો, ભારતીય સંસ્કૃતિ આધારિત પ્રદર્શન રજૂ કરવામાં આવશે, જે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને સ્પષ્ટ રીતે દર્શાવશે. આ સમગ્ર શૈક્ષણિક આયોજન સાથે-સાથે શાળા દ્વારા માતૃ-પિતૃવંદના કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારને ઉજાગર કરશે.



