પેટ્રોલનાં ભાવે સદી ફટકારી દીધી છે. પેટ્રોલ સાથે ડિઝલ, ગેસ અને તેલના ભાવ પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે.
પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલમાં ભાવવધારાની અસર અન્ય જીવનજરૂરી વસ્તુઓ પર પણ પડી છે અને પરિણામસ્વરૂપે કઠોળ, શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ મોંઘી બની છે. મુસાફરી સહિત ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધ્યા છે. ભારતની વસ્તીની જેમ કૂદકેને ભૂસકે દરેક વસ્તુના ભાવમાં વધારો થતો જ થાય છે. મહામારીના સમયમાં મોંઘવારીએ મૂકેલી માઝાનાં કારણે આમ આદમીની આવક ઘટીછે પરંતુ જાવકનું પ્રમાણ વધ્યું છે અને એટલે જ મધ્યમ વર્ગનું બજેટ વેરવિખેર થઈ ગયું છે છતાં મોંઘવારી મામલે જનતા કેમ ચૂપ છે એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. શું જનતાને પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલનો નોનસ્ટોપ ભાવવધારો સહ્ય છે?
થોડા વર્ષો પહેલા જીવનજરૂરી ચીજવસ્તુઓમાં એક કે બે રૂપિયાનો ભાવવધારો નોંધાય તો પણ રાજ્ય કે ભારત બંધનું એલાન થતું હતું. ભાવવધારા અંગે પ્રજાનો રોષ ચૂંટણીઓનાં પરિણામોમાં જોવા મળતો હતો પણ છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રજા કોણ જાણે કેમ ચૂપચાપ મોંઘવારીનો માર સહન કરી છે. મોંઘવારીથી જનતાની સંપત્તિ ઘટવા છતાં, દેણું વધવા છતાં અને બચત શૂન્ય થઈ જવા છતાં સત્તા પક્ષ તરફ અસંતોષ જોવા મળતો નથી જે એક આશ્ચર્યજનક બાબત છે. અને તેનાથી પણ મોટી આશ્ચર્યજનક બાબત એ છે કે, વિપક્ષ પણ મોંઘવારીનાં મુદ્દે મૌન છે. જનતા તો બિચારીબાપડી છે પણ વિપક્ષ પણ નમાલુ બની મોંઘવારી મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન શુદ્ધા કરી શકતું નથી! બોલે એના બોર વહેચાય એ કહેવત વિપક્ષ ભૂલી ગયું લાગે છે તો પ્રજા માંગ્યા વિના મા પણ ના પીરસે એ કહેવત ભૂલી ગઈ લાગે છે.
- Advertisement -
જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા અંગે સૌનું ભેદી મૌન આશ્ચર્યની સાથે અકળાવનારું છે. ખરેખર મહામારીના સમયમાં મોંઘવારીએ માણસોનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. એક રૂપિયાની વસ્તુના પાંચ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. લોકો સોનું ગીરવે મૂકવા અને વ્યાજે પૈસા લેવા મજબૂર બન્યા છે ત્યારે જો ભાવવધારા અંગે જનજાગૃતિ નહીં આવે તો જનતાના ખિસ્સા ખાલી અને સરકારની તિજોરીઓ છલકાતી જ જશે. આ સમયે જરૂરી છે કે, પેટ્રોલ, ડિઝલ, ગેસ, તેલ, કઠોળ, શાકભાજી, દૂધ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા અંગે સામૂહિક વિરોધ નોંધાવવામાં આવે. આપણે આવનારી પેઢી માટે પર્યાવરણ બચાવવાની બહુ મોટી વાત કરીએ છીએ પણ પૈસા બચાવવાનું વિચારતા નથી. અને એટલે જ જો મોંઘવારી પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં નહીં આવે તો બચત શૂન્ય થશે અને આપણા બચ્ચાંઓને આપણે મૂડીમાં માત્ર મોંઘવારી જ આપી જઈશું.



