તાલાલા યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા,કિસાન સંઘ પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકના ખેડૂતો વારંવાર એક યા બીજા કારણોસર તેમની ફસલ લેવા અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય ખેડૂતોને સહાય નહીં પાક ધિરાણ માફ કરવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા તથા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયા એ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.
મુખ્યમંત્રી ને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે તાલાલા પંથકમાં છેલ્લા ત્રણ થી ચાર સિઝનથી ખેડૂતો પોતાની ખેત ઉત્પાદન સારી રીતે લઈ શકતા નથી.ક્યારેક રોગચાળો તો ક્યારેક કુદરતી આપત્તિનો ભોગ બને છે.આ ઉપરાંત છેલ્લા ચાર થી પાંચ વર્ષથી કેસર કેરીનો પાક પણ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદનો ભોગ બને છે તે પણ સૌ જાણે છે.બાગાયતી અને ખુલ્લા ખેતરની ફસલ લેતા બંને ખેડૂતો કુદરત સામે ઝઝુમી રહ્યા છે જેને કારણે ખેડૂતો ખૂબ જ આર્થિક નુકસાની નો સામનો કરી રહ્યા છે.અત્યારે પણ ખેડૂતોનાં મગફળી,સોયાબીન,અડદ,મગ જેવા ખરીફ પાકો સંપૂર્ણ નાશ થવાને આરે છે ત્યારે તાલાલા પંથકના ખેડૂતોને સહાયને બદલે પાક ધિરાણ માફ કરી ખેડૂતોની સાચી કદર કરવી જોઈએ
- Advertisement -
તાલાલા પંથકના ખેડૂતોની વેદના રજૂ કરતાં મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં બંને કિસાન અગ્રણીઓએ જણાવ્યું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની છે તેમાં પણ અત્યારની ડેમેજ થયેલ મગફળી ચાલશે નહીં અને મંડળીઓ મગફળી રિજેક્શન કરી ખેડૂતોને ખાલી દોડાવવા અને એમનો સમય બરબાદ કરવા સિવાય કશું થવાનું નથી…સરકારે સર્વેનો આદેશ આપ્યો છે જેમાં પણ ખેડૂતોને અનેક સમસ્યા અને અવરોધનો સામનો કરવો પડશે અને દર વખતની જેમ અન્યાય થશે પરિણામે ખેડૂત નોંધારો જ રહેશે.સહાયથી ખેડૂતોના જીવનમાં કોઈ ફરક પડશે નહીં.સહાયથી માંડ માંડ માત્ર મજુરીનું ચુકવણું થશે પરંતુ ખેડૂતોની આખા વર્ષની કમાણી અને મહેનતનું કોઈ વળતર મળશે નહીં માટે ખેડૂતોને પગભર કરવા સહાયને બદલે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરી ખેડૂતોને યોગ્ય રીતે મદદરૂપ થવા તાલાલા પંથકના કિસાનો વતી તાલાલા માર્કેટીંગ યાર્ડ નાં ચેરમેન સંજયભાઈ શિંગાળા,ભારતિય કિસાન સંઘ પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયા એ સરકાર સમક્ષ માંગણી કરી છે.



