પરિવારજનોએ યુવાન એક્ટિવા લઇ ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવાન મહેશભાઈ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા, પ્લેન દુર્ઘટના થતા દિવસે શાહીબાગ નજીકથી ગુમ થયા હતા. તેમના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ હતી. ટેકનિકલ એનાલિસિસથી તેમનો મોબાઈલ પ્લેન ક્રેશ સાઇટ નજીક બંધ થયો હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં પરિવારજનો આ દુર્ઘટનાને કારણે મહેશભાઈના મૃત્યુમાં વિશ્વાસ રાખતા ન હતા, પરંતુ ડીએનએ ટેસ્ટમાં મૃતદેહ સાથે મળતાં તેમનું મોત પુરવાર થયું. મહેશભાઈ એકટીવા લઈને નીકળ્યા હોવાની વિગતોથી લઈને મળેલી એકટીવા અને એન્જિન-ચેસીસ નંબર માળખા પછી પરિવારજનો ગભરાઇ ગયા હતા. શાહીબાગ, નરોડા પોલીસ અને ફોરેન્સિક ટીમે સંવેદનશીલ કામગીરી કરી, તમામ પૂરાવા સાથે પાર્થિવ દેહ પરિવારજનોને સોંપ્યો હતો. આ ઘટના શહેરમાં શોકની લાગણી ઊભી કરી ગઈ છે.
અમદાવાદ ખાતે જે દિવસે બનાવ બન્યો તે દિવસે નરોડો વિસ્તારમાં આવેલા મુરલીધર હાઇટ્સ પાસે રહેતા યુવાન મહેશભાઇ ગીરધરભાઇ કાલાવડીયા ઉર્ફે જીરાવાલા (ઉ.વ.34) કે જેઓ એક ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર પણ હતા. તેઓ પોતાનું સ્કૂટર લઇ ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયા હોવાનું જાણવા મળ્યુ હતું. તેમના ભાઇ કાર્તિકભાઇ ગીરધરભાઇ કાલાવડીયાએ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઇ ગુમ થવા બાબતની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટાફને જેવી આ ફરિયાદ મળી કે તરત જ હરકતમાં આવી હતી અને તપાસ કરતા આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. ગોહિલ, શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા, હે.કો. કિરીટભાઇ તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ આધારે ગુમ થનાર મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયેલ હોવાની વિગતો મળી હતી. જેના આધારે ગુમ થનાર એર ક્રેશના બનાવમાં ભોગ બનેલા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા જતા, તેના પરિવારજનોને જણાવતા, તેના પરિવારજનો આ વાત માનવા તૈયાર થયા ના હતા. પરંતુ અમદાવાદ શહેરના સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ મોહન સૈની દ્વારા આ ગુમ થનાર મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી, ડીએનએ લેવા જરૂરી હોવાની સમજણ આપી, શંકા દૂર કરવા પણ ડીએનએ ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા, મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના ડીએનએ નમૂના લેવડાવવામાં આવ્યા હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાત્રી હતી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતા, આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલા ડેડબોડી સાથે ડીએનએ નમૂના મેચ થતા, પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી.
વધુમાં, અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી, સળગી ગયેલા વાહનો બાબતે મેઘાણીનગર પીએસઆઈ ચાવડા તથા સ્ટાફ મારફતે તપાસ કરવામાં આવતા, બનાવવાળી જગ્યાએ એક એકટીવા સળગી ગયેલ હાલતમાં જણાઈ આવ્યુ હતું, જેના એન્જિન અને ચેસીસ નંબર આધારે ચેક કરવામાં આવતા, આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયુ હતું. આ એકટીવા બાબતની હકીકત પરિવારજનોને જણાવતા, પરિવારજનો ભાંગી પડ્યા હતા અને પોતાના દીકરાને પ્લેન ક્રેશ થયેલ તે બાબતે જવાની કોઈ શક્યતા નહીં હોવાથી, પોતે ડેડબોડી કોઈ અન્યની હોવાની અને પોતાનો દીકરો જીવીત હોવાની શક્યતા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરવાનું જણાવી રડી પડ્યા હતા. બંદોબસ્તમાં રહેલ એસીપી કૃણાલ દેસાઈ, એસીપી રીના રાઠવા, શાહીબાગ પીઆઈ જે.ડી.ઝાલા, નરોડા પીઆઈ પી.વી.ગોહિલ, સહિતના સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી, સમજાવી ઇશ્વર ઈચ્છા બળવાન હોવાનું અને નસીબની વાત હોવાનું જણાવી શાંત કરી ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશભાઈ જીરાવાલાના પાર્થિવ દેહનો કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં
આવી હતી.