ગુજરાતે અનુભવી અને નિષ્ઠાવાન નેતા ગુમાવ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ છે, આ હૃદયદ્રાવક ઘટનામાં મૃત્યુ પામનાર અને ઈજા પામેલા પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. દુર્ઘટનામાં અકાળે અવસાન પામનાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુ:ખદ અવસાનના સમાચારથી શોકની લાગણી અનુભવુ છું. ગુજરાતની જનતાની અનન્ય સેવા કરી વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરનાર એક જાગૃત મુખ્યમંત્રી વિજયભાઈની ખોટ ક્યારેય પૂર્ણ ન થઈ શકે. સંઘ અને સંગઠન સાથે રહી ગુજરાતની વિકાસ સફરમાં તેઓનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
- Advertisement -
જનસેવક અને મુખ્યમંત્રી તરીકે કાયમ નાગરિકોની સુખાકારીની ખેવના કરનાર નિખાલસ એવા વિજયભાઈનું જીવન રાષ્ટ્રસેવાને સમર્પિત રહ્યું. તેઓના અવસાનથી સમગ્ર ગુજરાતે એક અનુભવી અને નિષ્ઠાવાન નેતા ગુમાવ્યા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ હતભાગી મૃતકોના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અને તેમની કરુણા પરિવારજનોને આ કઠિન પરિસ્થિતિને સહન કરવાનું બળ આપે તેવી પ્રાર્થનાસહ સાંત્વના પાઠવું છું.