ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા સ્વનિર્ભર શાળાઓ માટે ફી નિર્ધારણ માટેની અને તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ખાસ જોગવાઈઓ કરવા માટે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) વિધેયક 2017 અમલમાં લાવવામાં આવેલું છે જેમાં ગુજરાતમાં અલગ-અલગ ચાર ઝોનમાં કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાંથી હાલમાં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન પી. જે. અગ્રાવત દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજીનામુ આપી દેવામાં આવ્યા બાદ છેલ્લા 3 માસ એટલે કે માર્ચથી મે મહિના સુધી ચેરમેનની નિમણુંક ન થતાં સૌરાષ્ટ્રની 5000માંથી 400 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટકી
પડ્યું છે. ટૂંક સમયમાં શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને ત્યાં સુધીમાં જો તે શાળાઓની ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલ દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવશે જેથી વધુ ફી વિદ્યાર્થીઓએ ભરવી પડશે તો આ અંગે ઘટતું કરી અને એફ.આર.સી. ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.
- Advertisement -
જો ફી નક્કી કરવામાં નહીં આવે તો ખાનગી શાળાઓને બેફામ ફી ઉઘરાવવાનો પરવાનો મળી જશે જેથી સરકારને રજૂઆત કરાઈ છે કે તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેનની નિમણુંક કરવામાં આવે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ફી નક્કી કરી શાળાઓને આદેશ આપી દેવો જોઈએ કે તેનાથી વધારે ફી ઉઘરાવવામાં ન આવે. ખાનગી શાળા સંચાલકો અને રાજ્ય સરકાર વચ્ચે મોટી સાંઠગાંઠ છે અને તેના કારણે ફી નિયમન સમિતિ શોભાના ગાંઠીયા સમાન બની ગઈ છે.