ગેરરીતિ રોકવા નવી CCTV પોલિસી: 240 પરીક્ષાર્થી વચ્ચે એક CCTV મોનિટરિંગ ઓફિસર ફરજિયાત
પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી સ્કૂલે રેકોર્ડિંગ રાખવું પડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
15 ફેબ્રુઆરીને શનિવારથી દેશભરમાં CBSE બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે તેમાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપવાના છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ અને 2 એપ્રિલ સુધી ચાલશે. જેનો સમય સવારે 10.30થી 1.30 વાગ્યાનો છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા નવી સીસીટીવી પોલિસી અમલમાં લાવવામાં આવી છે.
આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી તો ફરજિયાત છે જ, પરંતુ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. આ ઓફિસર ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખશે. આ ઉપરાંત તેના પર દિલ્હી ખાતેના કંટ્રોલરૂમની પણ નજર રહેશે. પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી એટલે કે, અંદાજે બે મહિનાથી વધુ સમય સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રોએ ફરજિયાત રાખવું પડશે.
રાજકોટ રિજિયનમાં એટલે કે, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો ઉપરથી ગતરોજથી સીબીએસઈની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ એમ બન્ને મળીને 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમ રાજકોટ રિજિયન CBSE એક્ઝામ કોઓર્ડિનેટર અને RKCના પ્રિન્સિપલ યશ સક્સેનાનુ કહેવું છે.
- Advertisement -
રાજકોટની જિનિયસ સ્કૂલમાં છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવતા અને RKCમાં પ્રિન્સિપાલ અને CBSEમાં વાઈસ પ્રિન્સિપાલ કાજલ શુક્લાએ જણાવ્યું હતું કે, 15મી ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, જે 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવે તે માટે સીસીટીવી પોલિસીમાં ચેન્જ કર્યો છે. જેમાં આ વખતે નવો નિયમ એ છે કે, સીબીએસઈની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે, તેમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવાની રહેશે. જેમને ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખવાની રહેશે. તેમના મોનિટરિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાશે તો તુરંત CBSE બોર્ડને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત CBSE બોર્ડને જરૂર લાગે તો સીસીટીવીના ક્લિપિંગ સાથે સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને બોલાવી ખુલાસો પણ પૂછી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની સીબીએસઈની પરીક્ષામાં એક સ્કૂલના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં પરીક્ષા આપવા જવાનું હોય છે. પરંતુ તેઓની સ્કૂલ બદલાતી નથી, જેને લીધે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડતી નથી. જેમ કે, જિનિયસ સ્કૂલમાંCBSEનું સેન્ટર શરૂ થયુ ત્યારથી એટલે કે, 3 વર્ષથી મોદી અને ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે. જ્યારે જિનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જાય છે. જેનાથી વિદ્યાર્થીઓને મેન્ટલ સપોર્ટ એ મળે છે કે પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પણ તેમની સાથે જ હોય છે.
પરીક્ષા દરમિયાન આટલી વસ્તુઓ લઈ જઈ શકાશે
રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ અને સ્કૂલ ઓળખપત્ર
રિપીટર વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ અને ફોટો ઓળખ પત્ર
સ્ટેશનરીમાં ટ્રાન્સપરન્ટ પાઉચ, પેન્સિલ બોક્સ, બ્લૂ પેન, સ્કેલ, રાઈટિંગ પેડ, ઇરેઝર
એનાલોગ વોચ, ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, મેટ્રો કાર્ડ, બસ પાસ, પૈસા
પરીક્ષા દરમિયાન આટલી વસ્તુઓ લઈ જવાની મનાઈ
મોબાઈલ, બ્લૂ ટૂથ, ઈયર ફોન, માઈક્રોફોન, પેજર, હેલ્થ બેન્ડ, સ્માર્ટ વોચ, કેમેરા
પાકીટ, ગોગલ્સ, હેન્ડ બેગ, પાઉચ
ડાયાબિટીસ ધરાવતા વિદ્યાર્થીઓ સિવાયના ખુલ્લું કે પેક ફૂડ નહીં લઈ જઈ શકે