બે દિવસ પુર્વે અંકુશરેખાએ વિસ્ફોટક બે જવાન શહીદ થયા બાદ નવો બનાવ
ભારતીય જવાનોએ એક પાક સૈનિકને ઠાર માર્યો; અનેક ચોકીઓનો ખુરદો બોલાવી દીધો
- Advertisement -
પાકિસ્તાની સરહદે વાસ્તવિક અંકુશ રેખા નજીક વિસ્ફોટમાં બે ભારતીય જવાનો શહીદ થયાના ઘટનાના તીવ્ર પ્રત્યાઘાતો વચ્ચે પાકિસ્તાની જવાનોએ ભારતીય સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કરતા સનસનાટી મચી છે. બન્ને દેશો વચ્ચે ફરી તનાવ સર્જાવાની ભીતિ છે. ભારતીય સૈનિકોએ પણ વળતો જવાબ આપીને એક પાક જવાનને ઠાર કરી દીધો હતો.
જમ્મુ-કાશ્મીરના પૂંછના બાલાકોટ સેકટરમાં કરકુંડી અંકુશરેખા પર પાકિસ્તાની સૈન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. 12થી15 મીનીટ સુધી પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીઓ પર ગોળી વરસાવી હતી. આ તકે એલર્ટ ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને તેમાં એક પાકિસ્તાની સૈનિક ઠાર થયાના અહેવાલ છે. પાક સૈન્ય દ્વારા ગોળીબાર ઉપરાંત સ્નાઈપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારતના વળતા પ્રહારમાં પાકિસ્તાનની અનેક ચોકીઓનો ખુરદો બોલી ગયો હતો. આ દરમ્યાન સૂરંગ ફાટતા એક જવાન ઘાયલ પણ થયો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સરહદે લાંબાવખતથી શાંતિ પ્રવર્તતી હતી તે દરમ્યાન આ ઘટનાથી ફરી તણાવની સ્થિતિ સર્જાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. બે દિવસ પુર્વે કાશ્મીરમાં જ વાસ્તવિક અંકુશરેખાએ વિસ્ફોટ થયો હતો અને તેમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા. એકને ઈજા થઈ હતી. આ ઘટના બાદ ગોળીબારના બનાવથી સરકાર પણ ચોંકી છે.
- Advertisement -