સાંયોગિક પુરાવાના આધારે આરોપીને મહત્તમ સજા સુધી દોરી જતાં સરકારી વકીલ કમલેશભાઈ ડોડિયાની મહેનત રંગ લાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં સંત કબીર રોડ, ત્રિવેણી સોસા., શેરી નં. 1 ખાતે રહેતા મહેશભાઈ ઉર્ફે ગોરધનભાઈ બચુભાઈ મકવાણાના પત્ની ગુમ થઈ ગયેલ હતા જે અંગે તેઓએ પોલીસ સ્ટેશનમાં પોતાના પત્ની ગુમ થઈ ગયા અંગેની જાણ કરેલી હતી. ત્યાર બાદ થોડા દિવસ પછી આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-ભાવનગર હાઈવે રોડ વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ, આવડ માતાજીની ધારના પેટાળમાંથી માનવ અવયવ (પગ) તથા સ્ત્રીના કપડાં તથા અન્ય મુદ્દામાલ મળી આવેલો હતો, જેના આધારે સૌ પ્રથમ અમોતના આધારે તપાસ કરવામાં આવેલી ત્યાર બાદ બી ડીવી. પોલીસ સ્ટેશનમાં શકદાર આરોપી સામે ગુજરનારના પતિએ ફરિયાદ આપતાં બી ડીવી. પોલીસ સ્ટેશન દ્વારા સદરહુ ગુન્હાની તપાસ કરવામાં આવેલી હતી અને આરોપી પ્રભાતભાઈ આપાભાઈ અવાડીયાની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી તેમજ માનવ અવયવ પગનું પી.એમ. કરવામાં આવેલું તેમજ ફરિયાદી તેમજ ગુજરનારના દીકરીનું ડી.એન.એ. ટેસ્ટ લઈ માનવ અવયવ પગ સાથે મેચ કરવામાં આવેલું હતું અને ખૂબ જ મજબૂત સાંયોગિક પુરાવાઓ તપાસ કરનાર અમલદાર દ્વારા મેળવવામાં આવેલા હતા તેમજ બનાવવાળી જગ્યાએથી ગુજરનારની અન્ય ચીજવસ્તુઓ જેવી કે એક મેંદી કલરનું સ્વેટર, બ્લાઉઝ, ધાતુના પગમાં પહેરવાના સાંકડા તેમજ ગુજરનારની અન્ય ચીજવસ્તુઓ ફરિયાદીએ તથા તેમના દીકરા સાહેદ દ્વારા ઓળખી બતાવવામાં આવેલા હતા.
- Advertisement -
આ બનાવમાં વધુ વિગત જોઈએ તો આરોપી દ્વારા ગુજરનાર પાસેથી તેઓના સોના-ચાંદીના ઘરેણા સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી મેળવી લીધેલા હતા અને પોતાના મો.સા. પર બેસાડી ગુજરનારને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ- ભાવનગર હાઈવે રોડ વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ, આવડ માતાજીની ધાર પાસે લઈ જઈ તેઓએ પહેરેલ ઘરેણાં લૂંટી લઈ દોરડા વડે ગુજરનારને ગળેટૂંપો આપી તેમજ માથામાં પથ્થરના ઘા મારી તેનું મોત નિપજાવેલ હતું. પોલીસ દ્વારા બનાવમાં ઉપયોગમાં લેવાયેલું દોરડું તેમજ માથામાં મારવામાં આવેલો પથ્થર વગેરે કબજે કરી લીધેલા હતા અને સરકાર તરફે આ સંપૂર્ણ કેસ ચલાવતા એડિશનલ પી.પી. કમલેશ ડોડીયા દ્વારા કુલ 18 સાહેદો તપાસવામાં આવેલા હતા તેમજ કુલ 51 દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી તે સાબિત કરવામાં આવેલા હતા. જેમાં મુખ્યત્વે જોઈએ તો ગુજરનારના ઘરેણા વેચી આરોપી દ્વારા પોતે જે જે લોકો પાસેથી વ્યાજેથી રકમ મેળવેલી હતી તે વ્યાજે લીધેલી રકમ ઘરેણા વેચી તેમાંથી આવેલી રકમમાંથી દેણુ ચૂકવવામાં આવેલું હતું તે રકમ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી તેમજ આરોપીને રકમ આપનાર લોકોને પણ સાક્ષી તરીકે તપાસવામાં આવેલા હતા.
આમ સંપૂર્ણ સાંયોગિક પુરાવા આધારિત કેસમાં એડિશનલ પી.પી. કમલેશ ડોડીયાની મહેનત રંગ લાવેલ અને તે કેસમાં રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા વિક્રમસિંહ બી. ગોહિલ દ્વારા આઈ.પી.સી. કલમ 302 સાબિત માની આરોપી પ્રભાતભાઈ આપાભાઈ અવાડીયાને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા તેમજ રૂા. 10,000નો દંડ ફરમાવવામાં આવેલો છે અને આઈ.પી.સી. કલમ 365 સાબિત માની 7 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂા. 5,000નો દંડ ફરમાવતો હુકમ કરેલો છે.
આ કામે સરકાર તરફે સંપૂર્ણ કેસ એડિશનલ પી.પી. કમલેશ ડોડીયા દ્વારા ચલાવવામાં આવેલો હતો તેમજ સહાયક એડવોકેટ તરીકે ઉર્વી આચાર્ય તેમજ ફરિયાદી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એસોસિએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહિત રોકાયેલા હતા.