પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા રંગત જમાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આગામી આગામી 26મી જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ રાજકોટ શહેરમાં તા.25/01/2025 શનિવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે લોક ડાયરો યોજવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા પર્વો તેમજ તહેવારો નિમીતે રાજકોટ શહેરની જનતા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં રાષ્ટ્ર પર્વો પ્રજાસતાક દિન અને સ્વતંત્રતા દિન નિમિતે ધ્વજવંદન સાથે પુર્વ સંધ્યાએ બોલીવુડ નાઇટ, સંગીત સંધ્યા, ધુળેટી નિમીતે હાસ્ય કવિ સંમેલન, દિવાળીના તહેવારો નિમિતે લાઇટીંગ ડેકોરેશન તથા કાર્નિવલ, ધનતેરશ નિમિતે આતશબાજી, જન્માષ્ટમી નિમિતે લાઇટીંગ ડેકોરેશન તથા મટકી ફોડ સ્પર્ધા જેવા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઉપરાંત, ફ્લાવર શો, હેકાથોન, મેરેથોન, સાઇક્લોથોન, રન ફોર યુનિટી, તિરંગા યાત્રા જેવા લોક ભોગ્ય કાર્યક્રમો પણ સહયોગી સંસ્થાઓ સાથે યોજવામાં આવે છે.
- Advertisement -
આ પરંપરાને આગળ વધારતા આગામી પ્રજાસતાક દિનની પુર્વ સંધ્યાએ કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા જેવા પ્રખ્યાત કલાકારો દ્વારા રાજકોટની જનતાને “લોકડાયરો” કાર્યક્રમમાં લોક સાહિત્ય અને હાસ્ય રસમાં તરબોળ કરવામાં આવશે.
દેશ અને દુનિયાના ખૂણે ખૂણામાં વસેલા દરેક ગુજરાતીના હૈયે વસેલુ નામ, કીર્તિદાન ગઢવી એટલે લોકડાયરાથી “લાડકી’ ગીતની સફર થકી ગુજરાતનું યુવાધન લોકસંગીત તરફ વળ્યું એનું આગવું ઉદાહરણ. તળપદી-કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકે ઓળખ ધારાવતા ધીરૂભાઈ સરવૈયાએ ગામ-તાલુકામાં યોજાતા કાર્યક્રમોથી શરૂઆત કરી તેઓ આજે હાસ્ય રસીકોમાં જોક્સ ‘કિંગ’તરીકે જાણીતા બનેલ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.