સમગ્ર રાજકોટ ધર્મમય બનશે, ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં દરેક સમાજનાં લોકો જોડાશે: સત્સંગ મંડળીઓ દ્રારા ધુન-ભજન
આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ મનોરથમાં દરેક સમાજને પધારવા ઉકાણી પરિવારનું નિમંત્રણ
ધર્મયાત્રામાં ઘોડાં, બગીઓ, વિન્ટેજકાર ના કાફલા સાથે સાફાધારી યુવાનો, નિતનવા ફલોટસ
- Advertisement -
વૈષ્ણવ સંપ્રદાયમાં રાજકોટના આંગણે લાંબા સમય બાદ શ્રી નાથદ્રારાની ધ્વજાજીનું આરોહણ થશે
શોભાયાત્રાના રાજમાર્ગ પર 8 સ્ટેજ, 60 થી વધુ કમાનો મનમોહક રંગોળી, રંગ-બેરંગી ધ્વજા પતાકાથી સુશોભન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજસ્થાનના નાથદ્રારામાં વૈષ્ણવોના આરાધ્ય જગતગુરૂ શ્રીકૃષ્ણના 7 વર્ષના બાળ સ્વરૂપને કૃષ્ણ ભકતો શ્રી નાથજીના નામે ઓળખે છે. 4 ફુટ ઉંચી રંગે શ્યામ, જેનો ડાબો હાથ ઉંચો છે જાણે ભકતોને પોતાની પાસે બોલાવી રહયા હોય તેવુ મનમોહક શ્રી નાથજીનું સ્વરૂપ લાખો વૈષ્ણવોના હદયકમલમાં અંકિત છે. આવા પવિત્રધામ શ્રીનાથદ્રારા ની ‘ધ્વજાજી’ નું આરોહણ રાજકોટના આંગણે જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીની આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવ ભાગરૂપે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ પૂર્વ તા. 6 ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે.
- Advertisement -
તા. 6 જાન્યુઆરીના રોજ શ્રીનાથદ્રારાથી ચાર્ટર પ્લેન મારફતે શ્રીનાથદ્રારાની ‘ધ્વજાજી’ રાજકોટ ખાતે લાવવામાં આવશે. રાજકોટના આંગણે ડુંગર દરબારથી ન્યુ 150 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે લઇ જવાશે. રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વૈષ્ણવ સંપ્રદાયમાં ‘ધ્વજાજી’ સાથેની ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા યોજાશે. 1 કી.મી. લાંબી વિશાળ શોભાયાત્રામાં અલગ-અલગ સમાજના શ્રેષ્ઠીઓ, વૈષ્ણવો તથા જાહેર જનતા બહોળી સંખ્યામાં જોડાશે. એરપોર્ટ થી શ્રી નાથદ્વારાની ‘ધ્વજાજી’ ની શોભાયાત્રા કાલાવડ રોડ ઉપર બાનલેબની ઓફિસ ખાતે થઇ અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી વિન્ટેજ કાર, 51 ગાડીઓનો કાફલો, 100 થી વધુ સાફાધારી યુવાનો બાઇક પર, ધોડા, બગીઓ સાથે નીકળશે. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર વિવિધ 8 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 60 થી વધુ સુશોભીત કમાનો, રંગબેરંગી ધ્વજા પતાકાથી સમગ્ર રસ્તાને આકર્ષક બનાવવામાં આવ્યો છે. ધર્મયાત્રાના માર્ગ પર વિવિધ કલાકૃતી દર્શાવતી મનોરમ્ય રંગોળીઓ બનાવવામાં આવશે. નિતનવા આકર્ષક ફલોટસ્ તૈયાર કરવામાં આવશે. બહોળી સંખ્યામાં સાફાધારી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. વિવિધ સંસ્થાના શ્રેષ્ઠીઓ, આગેવાનો, દરેક સમાજના ધર્મપ્રેમી વૈષ્ણવો બહોળી સંખ્યામાં જોડાશે. વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ સત્સંગ મંડળીઓ, ધુન-ભજન મંડળીઓ આ શોભાયાત્રામાં જોડાય સત્સંગ કરશે. રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આવી ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે યાદગાર સંભારણું બની રહેશે. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં માનવ મેદની સુચારૂ ઢબે વ્યવસ્થા જાળવવા તથા ધર્મયાત્રાને સફળ બનાવવા સર્વે સમાજના 51 અગ્રણીઓ દ્રારા આયોજન થઇ રહયુ છે. જેમના માર્ગદર્શન હેઠળ 250 જેટલા સ્વયંસેવકોની ટીમ ખડે પગે રહેશે. વૈષ્ણવભકતો માં આ શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ‘દ્રારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે. મૌલેશભાઇ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. 7 જાન્યુ. એ છપ્પન ભોગ મનોરથ, 8 જાન્યુ. એ ગૌચરણ મનોરથ અને 9 જાન્યુ. એ દિપદાન મનોરથ ની રંગે ચંગે ઉજવણી થશે. આ ત્રિદિવસીય મનોરથ મહોત્સવનો લ્હાવો લેવા મૌલેશભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા બાન-ઉકાણી પરિવાર દ્રારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 8:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે. ત્રિદિવસીય મનોરથ ઉત્સવ દરમ્યાન એક લાખ થી વધુ ભાવીકો દર્શન, મનોરથ તથા ભવ્યાતિભવ્ય વૃંદાવનધામને નિહાળવાનો નો લ્હાવો લેશે. ઇશ્વરીયા ખાતે નિર્મિત ભવ્ય અને અલૌકિક વૃંદાવનધામ માં ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ઉભી કરવામાં આવી છે. જે જાહેર જનતાનું આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. ઉકાણી પરિવારના આંગણે યોજાનાર શાહી લગ્નોત્સવ પૂર્વ આયોજીત આ ધર્મયાત્રા, ધ્વજાજી આરોહણ, તથા ત્રિદિવસીય મનોરથ મહોત્સવ ના ભવ્ય અને દિવ્ય પ્રસંગો વૈષ્ણવો માટે જીવનનું એક સોનેરી સંભારણું બની રહેશે. રાજકોટ ના ઇતિહાસમાં પ્રથમ વાર આટલી વિશાળ અને ભવ્ય ધર્મયાત્રા નો લ્હાવો રાજકોટવાસીઓ લેશે.



