યોગાનુયોગ : કોઈ વ્યક્તિનું કોઈ સાચી જગ્યાએ, સાચા સમયે હાજર હોવું એને જ નિયતિ
નવરાત્રીનો શુભારંભ થઈ ચૂક્યો છે. વિશ્વમાં વ્યાપ્ત શિવ તત્વની સાથે સાથે શક્તિ તત્વની પણ આરાધના કરવાનો મહિમા કદાચ સનાતન વૈદિક ધર્મમાં જ સ્વીકારાયો છે. થોડા દિવસ પહેલા બનેલી એક સત્ય ઘટના યાદ આવે છે. શ્રુતિબહેન એમના ટુ વ્હીલર ઉપર બેસીને જોબ માટે ઓફિસમાં જઇ રહ્યાં હતાં. અચાનક જોરદાર વરસાદનું ઝાપટું આવ્યું. તેઓ એક દુકાનના છાપરા નીચે ઊભા રહી ગયાં. ત્યાં એક મધ્યમ વર્ગીય પતિ પત્ની પણ વરસાદથી બચવા માટે ઊભાં હતાં. પાંચેક મિનિટમાં વરસાદ બંધ થઈ ગયો પણ આટલા ઓછા સમયમાં શું બન્યું? પેલા અજાણ્યા દંપત્તિમાંથી સ્ત્રીએ શ્રુતિબેહેનને પૂછ્યું, ” તમે ક્યાં ના છો બહેન? શું કરો છો? ” શ્રુતિબહેને જવાબ આપ્યો,” હું અમરેલીની. તમે ક્યાંના? પેલા બહેન પણ અમરેલીના જ નીકળ્યાં.
- Advertisement -
પેલા બહેનને ખબર પડી કે શ્રુતિબેન ખાનગી કંપનીની ઓફિસમાં જોબ કરે છે એટલે એમણે કહ્યું,” મારી દીકરી 25 વર્ષની છે, સારું ભણેલી છે, અમારે પૈસાની ખૂબ જરૂર છે. દીકરી નોકરી માટે અસંખ્ય વાર પ્રયત્નો કરી ચૂકી છે, પરંતુ નોકરી મળતી નથી. બહેન, તમે કંઇક કરી શકો?” “હા, અમારી ઓફિસમાં એક જગ્યા ખાલી પડી જ છે. તમારી દીકરીને સર્ટિફિકેટસ સાથે કાલે મોકલી આપજો. મારી ઓફિસમાં મારું વજન સારું પડે છે, હું એને નોકરીમાં રાખી લઈશ.” શ્રુતિબહેને આટલું કહ્યું ત્યાં વરસાદ થંભી ગયો. મોબાઈલ ફોન નંબરોની આપ-લે કરીને બંને પક્ષો છૂટા પડ્યાં. ક્યાંક તરસ હતી, ક્યાંક બે કાંઠે વહેતી નદી હતી. કોઈ અદ્રશ્ય શક્તિએ આ બન્નેને ભેગા કરવા માટે જ વરસાદનું ઝાપટું મોકલ્યું હશે? દીકરીની નોકરી માટે વલખતા માતા-પિતા અને ત્રણ મિનિટની વાતચીતમાં એમને નોકરીની આશા બંધાવતા શ્રુતિબહેન. આ શું માત્ર યોગાનુયોગ હશે? કે પછી આ બધું પહેલેથી નક્કી જ હશે? કોઈ વ્યક્તિનું કોઈ સાચી જગ્યાએ, સાચા સમયે હાજર હોવું એને જ હું નિયતિ સમજુ છું. આ બધાનું આયોજન કરનાર તત્વ એ જ શક્તિ તત્વ. આ શક્તિ તત્વની આરાધના આપણે નવ દિવસ પૂરા મનથી કરીએ.