એક ગુરુએ એના શિષ્યને આદેશ આપ્યો, “સામે ઊંચી પહાડી દેખાય છે, તું ત્યાં જા અને જાણી લાવ કે ત્યાં જે લોકો રહે છે એ કેવાં છે?”
ટેકરી કરતાં સહેજ ઊંચો પર્વત ચઢીને શિષ્ય ત્યાં પહોંચ્યો. ઉપર સપાટ જગ્યા હતી, જ્યાં ઝૂંપડાંઓમાં દોઢસો બસ્સો જેટલાં લોકો રહેતાં હતાં. શિષ્ય બોલવામાં સ્પષ્ટવક્તા હતો. એ લોકોનું વર્તન અને વાણી જોઈને એણે ત્યાં જ જાહેર કરી દીધું, “તમે લોકો અસભ્ય છો, જંગલી છો, ગંદાં છો, તમારી ભાષામાં શુદ્ધિ નથી, વિવેક નથી, તમારું વર્તન પણ ખૂબ જ પ્રાથમિક કક્ષાનું છે.” સામે પેલાં લોકોએ પણ એને ખૂબ જ ગાળો ભાંડી.
શિષ્ય પર્વત ઊતરીને નીચે આવ્યો. એટલે ગુરુએ પૂછ્યું કે તને કેવો અનુભવ થયો? શિષ્યએ કહ્યું કે એ લોકોએ મને ખૂબ ગાળો ભાંડી.
ગુરુએ આદેશ આપ્યો, “તું ફરીથી ત્યાં જા. આ વખતે તેમની ટીકા કરવાને બદલે તેમની પ્રશંસા કરજે, પછી તને જે અનુભવ થાય તે પાછો આવીને મને જણાવજે.”
શિષ્ય ફરી પાછો પહાડ પર રહેતાં લોકોની વચ્ચે પહોંચ્યો અને એમને કહેવા લાગ્યો, “તમે લોકો કેટલાં નિર્દોષ અને ભોળાં છો, તમે પ્રકૃતિના સાંનિધ્યમાં રહો છો એટલે તમારામાં શહેરની દૂષિત હવા પહોંચી નથી, તમે ઘણાબધા અવગુણોથી મુક્ત રહી શક્યા છો વગેરે વગેરે..” પછી ગામ લોકોએ જે કહ્યું તે સાંભળીને તે ગુરુ પાસે પાછો આવ્યો.
આ વખતે શિષ્યના અવાજમાં આનંદ છલકાતો હતો, “ગુરુદેવ, ખૂબ મોટા આશ્ચર્યની વાત છે. એ લોકોએ મને પ્રેમપૂર્વક વધાવી લીધો, મને દૂધ અને ફળો આપ્યાં અને મારાં ખૂબ જ વખાણ કર્યાં, એ લોકોએ મને ઊંચકી લીધો અને નાચ્યાં, આવું કેમ થયું?”
ગુરુએ એને જ્ઞાન આપ્યું, “આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે. તમે જગતને જે આપશો એ જ વસ્તુ જગત તમને બમણું કરી પાછું આપશે. તમારે જે જોઈતું હોય તે તમે લોકોને આપવા માંડો. ’લેના બેંક’ બનતા પહેલાં ’દેના બેંક’ બનતા શીખો.”
ગુરુ જ્ઞાન : આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે



