રાજકોટ રૂડા સરપંચ એકતા મંડળ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ રૂડામાં સમાવેશ ગામડાઓમાં વર્ષોથી નવા રહેણાંક હેતુના પ્લોટ જરૂરિયાતમંદ અરજદારોને ફાળવેલા નથી. ગામડાઓની પાસે ગામતળ નીમ હોય અથવા ગ્રામ પંચાયત પાસે જરૂરી ખુલ્લી જગ્યા હોવા છતાં રૂડા કે સરકાર દ્વારા જનતા સાથે હળહળતો અન્યાય કર્યો છે. ગામના જ અરજદારને પોતાની જન્મભૂમિમાં સરકાર એક 100 ચોરસ વાર મફત પ્લોટ આપતી નથી નેતાઓ ફક્ત મત માગવા આવે છે. જનતાઓનો બંધારણીય એવા રહેણાંક હેતુના પ્લોટ ન ફાળવવાથી નાછૂટકે પોતાના પરિવાર માટે ગામતળની આજુબાજુમાં અરજદારો કાચા પાકા મકાનો બનાવી રહેવા મજબૂર બન્યા છે જેને સરકાર દબાણ કહે છે એ ગામડાની લોકોની મજબૂરી છે.
સરકારે હજારો એકર જમીન ઉદ્યોગ અને બીજા હેતુ માટે ફાળવે છે ત્યારે જરૂરિયાતમંદ જનતાને પ્લોટ ન ફાળવી એની મુખ્ય જવાબદારમાંથી છટકે છે. આમ આવનાર દિવસોમાં જ્યાં સુધી દરેક રૂડામાં સમાવી ગામડાઓમાં રહેણાંક હેતુના પ્લોટનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી દરેક ગ્રામ પંચાયતો દ્વારા આરોગ્ય અને શિક્ષણ સિવાયના તમામ સરકારના કાર્યક્રમો, મેળાઓ જેવા તમામ કાર્યક્રમનો આજથી બહિષ્કાર કરાશે. આમ વહેલી તકે રહેણાંક હેતુના પ્લોટનો યોગ્ય ઉકેલ લાવવા રૂડા સરપંચ મુન્નાભાઈ આહિર દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ છે.