વિશ્વ સ્તનપાન સપ્તાહ – 1થી 7 ઓગસ્ટ
વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારત સહિત વિશ્વભરમાં તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવાપી પ્રારંભ કરાવ્યો હતો.
આજે રાજ્યભરની હોસ્પિટલોમાં પદાધિકારીઓ તથા અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ થયો છે.
મંત્રી ભાનુબેને માતાઓને સ્તનપાનનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, જન્મ બાદનું પ્રથમ દૂઘ-માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે. જેથી આપણે ગળથુથી જેવા પારંપરિક રિવાજો બંધ કરી જન્મના પ્રથમ કલાકમાં માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ.
વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે અને બાળકોના સ્વાસ્થ્યને વધુને વધુ સુદ્રઢ બને તે માટે જાગૃતિ લાવવા વર્ષ 1992થી વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. બાળકના જન્મ પછી તરતજ માતાનું ઘટ્ટ પીળુ દૂધ નવજાત શિશુને આપવું જોઈએ. આ દૂધ બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ મહત્વનું છે. બાળકોને જન્મથી પ્રથમ છ મહિના સુધી માત્ર માતાના દૂધ પર જ રાખવું જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.