ભાડા કરાર વગર અને સામાન્ય ભાડું ચૂકવી વર્કરો બરોબર રૂપિયા કટકટાવતા હોવાનો ઘટસ્ફોટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોના ભણતર અને વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ વપરાશ થાય છે. જેમાં ગર્ભાવસ્થાથી લઈને બાળક આંગણવાડી સુધીની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્ય કરવા માટેના પણ આયોજન છે પરંતુ સરકારી યોજના ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચે તે પૂર્વે જ ચવાઈ જાય છે. જેમાં સૌથી મોટો અને નારી આંખે દેખાતું કૌભાંડ ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીમાં નજરે પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 1355 જેટલી આંગણવાડીઓ ચાલી રહી છે જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જુદા જુદા તાલુકાઓમાં ભાડાના મકાનોમાં આંગણવાડીઓ ચાલતી હોય છે.
આ ભાડાપટ્ટી પર ચાલતી આંગણવાડીઓમાં સરકારી પરિપત્ર મુજબ મકાન માલિક સાથે ભાડા કરાર કરવાનો ફરજિયાત હોય છે સાથે જ દરેક જે આંગણવાડી કેન્દ્ર ભાડે રાખવામાં આવી હોય તે મકાન માલિકને ચેકથી અથવા બેંકમાં ભાડું ચુકવણું કરવાનું હોય છે પરંતુ અહી તો આ પ્રક્રિયામાં જ મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ધ્રાંગધ્રા પંથકની દરેક ભાડા પેટે ચાલતી આંગણવાડીમાં કોઈ ભાડ કરાર કર્યા વગર જ ચાલતી હોય છે સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ભાડે ચાલતી પ્રતિ આંગણવાડીના રૂપિયા બે હજારના બદલે 500થી 700 રૂપિયાનું ચુકવણું કરવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમાં પ્રતિ આંગણવાડીના છ હજારના બદલે માત્ર 2000થી 3000 હાજર ચૂકવી ખંડેર હાલતમાં પતરા અથવા નળિયા વાળા મકાનમાં કોઈપણ લાઈટ કે પંખાની સુવિધા વગર માત્ર એક રૂમ રાખી કામ ચલાવતું હોય છે. જ્યારે ભાડાની આંગણવાડી ચાલતા મકાન માલિકના બેંક ખાતામાં ભાડું જમાં કરવાના બદલે વર્કરના ખાતામાં જમા કરાવી બરોબર રૂપિયા કટકટાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવે છે. સુરેન્દ્રનગરના ખારાઘોડા ગામે તો ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી તો સાવ મફત ચાલતી હોવા છતાં દર મહિને સરકારમાંથી આવતા 6000 રૂપિયા બરોબર સગેવગે થવાની વાત પણ સામે આવી છે. ત્યારે આ આંગણવાડીમાં ચાલતું કૌભાંડ અહીથી જ અટકતું નથી અહી બાળકો માટે પીવાના પાણીમાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જેમાં સામાન્ય રીતે બજારમાં 15 રૂપિયામાં વેચાણ થતાં પીવા માટે પાણીના જગ આંગણવાડીમાં 25 રૂપિયા પ્રતિ જગ માંગવાના બિલો બનાવામાં આવે છે. જોકે ભાડા પેટે ચાલતી આંગણવાડીનું કૌભાંડ ગત બે મહિના પહેલા પાટડી ખાતે ઉજાગર થયું હતું જે બાદ તપાસોના માત્ર આદેશ આપી બાદમાં મામલો ઠંડો પડી જતાં ફરીથી બધું જ યથાવત સ્થિતિમાં ચાલતું રહ્યું છે.
રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ પરિપત્ર મુજબ ભાડાની આંગણવાડીઓના નિયમો
(1) દરેક ભાડા પેટે ચાલતી આંગણવાડીઓમાં મકાન માલિક સાથે ફરજિયાત ભાડા કરાર કરવો જરૂરી છે.
(2) ગ્રામ્ય અથવા આદિજાતિ વિસ્તાર માટે 2000 રૂપિયા પ્રતિ મહિના લેખે ભાડે આપેલ મકાન માલિકને ચુકવણું કરવાનું હોય છે.
(3) શહેર એટલે કે નગરપાલિકા સંચાલિત વિસ્તારોમાં દર મહિને 6000 રૂપિયા મકાન માલિકને ચુકવણું કરવાનું રહે છે.
(4) દરેક ભાડેથી ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં મકાન માલિકને દર મહિને બેંક ખાતા અથવા તો ચેકથી ભાડું ચુકવણું હોય છે.