જસદણમાં બીજા દિવસે એક જ મોડસ ઓપરેન્ડીથી બીજી હત્યા
માવજીભાઇ દાઝેલા લોકોને મફતમાં મલમ લગાડવાનું કામ કરતા
તાજેતરમાં જ વીરનગરમાં 70 વર્ષના વૃદ્ધની આ રીતે જ હત્યા થઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
જસદણ તાલુકામાં બે દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. બે-બે હત્યાના બનાવ સામે આવતાં પોલીસનો ડર રહ્યો ન હોય એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. બે દિવસમાં એક જ મોડસ ઓપરેન્ડીથી આજે બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખસોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઇ પતાવી દેતાં નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, જસદણ તાલુકાના દેવપુરા ગામે માવજીભાઇ વાસાણી (ઉં.વ.65)ની ગત રાત્રે અજાણ્યા શખસોએ હત્યા કરી ફરાર થઇ ગયા છે.
સવારે માવજીભાઇનો મૃતદેહ તેમના મકાનની ઓસરીમાં રાખેલા ખાટલામાં નાડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો, આથી પરિવારજનોએ જસદણ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી માવજીભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. માવજીભાઇ દેવપુરા ગામમાં રહેતા હતા તેમજ દાઝેલા લોકોને મલમ લગાડી દેવાનું કામ કરતા હતા. માવજીભાઇની હત્યાથી નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. માવજીભાઇની હત્યા શા માટે અને કોણે કરી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર શખસોને માવજીભાઇ સાથે શું સંબંધ છે એ તપાસના અંતે બહાર આવશે.
- Advertisement -
જસદણના વીરનગર ગામે સીમમાં એકલા રહેતા 70 વર્ષના વૃદ્ધ શંકરભાઈ પોપટભાઈ વેકરિયાનો ગઈકાલે મૃતદેહ મળ્યો હતો.
જોકે પોલીસ તપાસમાં વૃદ્ધની હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે હત્યા કરનાર શખસ સંજય વેરસીની ધરપકડ કરી હતી.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે મારી પત્ની પાસે વૃદ્ધ બીભત્સ માગણી કરતો હોવાથી તેને સાડીથી થાંભલા સાથે બાંધી મોઢે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા.