ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અયોધ્યા નગરી રામલલ્લાના સ્વાગત માટે તૈયાર થઈ ગઈ છે. ત્યારે હવે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. વારાણસીથી આવેલા વૈદિક આચાર્ય પૂજા કરાવશે. ટઇંઙના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ અશોક તિવારીએ જણાવ્યું હતું કે, આચાર્ય ગણેશ્ર્વર શાસ્ત્રી દ્રવિડ, મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિત, અરુણ દીક્ષિત, સુનિલ દીક્ષિત, દત્તાત્રેય નારાયણ રટાટે, ગજાનન જોતકર, અનુપમ દીક્ષિત વગેરે પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન સંપન્ન કરાવશે.જેમાં 11 યજમાન પણ હશે.
22 જાન્યુઆરીએ ઘરે જ ઉત્સવ ઉજવો, પછી દર્શન માટે આવો
ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરી એ 500 વર્ષના સંઘર્ષનું પરિણામ છે. દરેક રામભક્તે આ ઉત્સવનો આનંદ માણવો જોઈએ અને પોતાના ઘરે તેને ઊજવવો જોઈએ. આ પછી રામલલ્લાનાં દર્શન કરવા આવો. આ દિવસ આપણા જીવનમાં ઠીક એવો છે જેવો હિંદુસ્તાનના જીવનમાં 15 ઓગસ્ટ, 1947 છે. 22મીએ તમારાં ગામ અને મંદિરમાં એવો તહેવાર ઊજવો જેવો અયોધ્યામાં હશે. જો ભારતનાં 5 લાખ મંદિરો અને કરોડો ઘરોમાં દરેક ઘરમાં 5 દીવા પ્રગટાવવામાં આવે, એક દિવાળી તમે રાવણના વિજય પછી ઊજવો છો. આ બીજી એક દિવાળી હશે, જેનાથી આખો દેશ રામમય બની જશે.