બીકોમના વિદ્યાર્થીઓને સાથે રાખી પરિણામ પરત ખેંચવા કુલપતિ સમક્ષ કોંગ્રેસની રજૂઆત
નવેસરથી રિઝલ્ટ જાહેર નહીં થાય તો રોહિતસિંહ રાજપૂતની ભૂખ હડતાળની ચીમકી
- Advertisement -
કુલપતિ જ્ઞાતિવાદ અને પક્ષવાદમા રચ્યાપચ્યાનો આક્ષેપ
બિઝનેસ એકાઉન્ટીંગ, ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.21થી 30 એપ્રિલ દરમિયાન બી.કોમ. સેમેસ્ટર-2ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 17,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ ગઈકાલે 18 ઓગસ્ટના સાડા ત્રણ માસ બાદ
જાહેર થયું અને તેમાં પણ પેપર ચેકીંગમાં છબરડાં સામે આવ્યા છે. બી.કોમ. સેમેસ્ટર-2માં બિઝનેસ એકાઉન્ટીંગ અને ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગ એમ 2 વિષયમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેમાં કેટલાક ટોપર્સ
વિદ્યાર્થીઓ પણ છે કે જેઓને અન્ય વિષયમાં 70 થી વધુ માર્ક્સ છે. જેથી અધ્યાપકો દ્વારા પેપર ચેકીંગમાં ગંભીર બેદરકારી દાખવી વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી કોંગ્રેસના ઝોનલ
પ્રવક્તાએ વિદ્યાર્થીઓનું હાલ જાહેર થયેલું પરિણામ તાત્કાલિક રદ કરી નવી સખી પરિણામ જાહેર કરવામાં આવે અને પેપર ચેકીંગમાં ગોટાળા કરતા અધ્યાપકો સામે કડક દંડ અને સજા સહિતની કાર્યવાહી થાય તેવી માંગ કરી
છે અન્યથા અચોક્કસ મુદ્દત પર ભૂખ હડતાલની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
- Advertisement -
વિદ્યાર્થી નેતા અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, બી.કોમ.સેમ-2ના પરિણામમાં બિઝનેસ એકાઉન્ટીંગ અને ફાઈનાન્સિયલ એકાઉન્ટીંગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. જેથી તાકીદે
પરિણામ પરત ખેંચીને ફરીથી પેપર મૂલ્યાંકન થવું જોઈએ અને પેપર મૂલ્યાંકનમાં ગરબડ કરનારા અધ્યાપકોને કડક દંડ અને સજા કરવામાં આવે તેવી માંગ છે. વિદ્યાર્થીઓને પરીક્ષામા પોતે જે રીતે લખ્યું એ રીતે માર્ક મળવા
જોઈએ અને તે સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં અચોક્કસ મુદત પર ભૂખ હડતાલ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા નિમણૂક પામેલા પરીક્ષા નિયામક માત્ર સિદ્ધાંતોની વાતો કરે છે પણ વાસ્તવમા હજુ કોઈ પરીક્ષા વિભાગમા ફેર નથી પડ્યો. વિદ્યાર્થીઓ દિવસ – રાત મહેનત કરી પરિક્ષાઓ
આપે છે અને તે બાદ બાદ ઉત્તરવહીનું મૂલ્યાંકન આડેધડ જ થાય છે. અમને મળેલી માહિતી પ્રમાણે ઉત્તરવહીનું મૂલ્યાંકન કરતા અધ્યાપકોનુ આપવામાં આવતું ભથ્થું છેલ્લા ઘણા સમયથી બાકી છે એટલે કોઈ પેપર મૂલ્યાંકન
કરવા આવતા નથી તે શરમજનક છે.
વહીવટી આવડત વગરના કો-ઓર્ડિનેટરની નિમણૂક કર્યાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીને સંઘના અને ભાજપના કાર્યક્રમો પાછળ તાયફાઓ કરવાના પૈસા છે પણ વિદ્યાર્થીઓના
પરિણામો સાથે સંકળાયેલ ગંભીર મુદ્દે પૈસા નથી આપતા તે કેટલું વ્યાજબી? પરીક્ષાઓના પેપર મૂલ્યાંકન માટે જે 10 કો – ઓર્ડિનેટરો નિમ્યા છે તે બધા કુલપતિના મળતિયાઓ અને ચોક્કસ જ્ઞાતિના છે જેની પાસે વહીવટી
આવડત નથી એટલે પરીક્ષાઓમાં પરિણામોમાં લાલીયાવાડી ચાલે છે.કુલપતિશ્રીએ જ્ઞાતિવાદ અને પક્ષવાદ માંથી ઉપર આવી વિદ્યાર્થીલક્ષી કાર્યોમા ગંભીરતા દાખવવી જોઈએ.
બીજો એક ગંભીર મુદ્દો એ ધ્યાન દોર્યો કે વિદ્યાર્થીઓ પરીક્ષાઓમા હાજર હોવા છતાં પરિણામમા ગેરહાજર દર્શાવાની વર્ષોથી આવતી સમસ્યાનું કાયમી સમાધાન કેમ નથી આવતું ? વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવ્યા બાદ તેમને
યુનિવર્સિટીએ કોલેજના – પરીક્ષા કેન્દ્રોમાં લેટરપેડ સાથે અરજી કર્યા બાદ પાંચ છ ધક્કાઓ ખાવા પડે છે. રોહિતસિંહ રાજપૂત, રોનક રવૈયા અને તેની ટીમ દ્વારા આજે બીકોમના વિદ્યાર્થીઓને સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે
કુલપતિને ઉગ્ર રજુઆત કરી હતી અને આ પરિણામ પરત ખેંચવાની માંગ કરી હતી.




