સંસદનું શિયાળુ સત્ર સંપૂર્ણ ધોવાઈ ગયું, પ્રજામાં સંસદની કાર્યવાહી પ્રત્યે આક્રોશ
સમગ્ર શિયાળુ સત્ર દરમ્યાન દેશની સામાન્ય પ્રજાના જીવનને સ્પર્શતા એક પણ મુદ્દાને અત્યાર સુધી ચર્ચામાં લીધો નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગૌતમ અદાણી અને અમેરિકાના જ્યોર્જ સોરોસ જેવા બે દિગ્ગજ અબજોપતિના મુદ્દે સરકાર અને વિપક્ષો વચ્ચે જે ઘર્ષણ ચાલી રહયું છે, જે લડાઇ ચાલી રહી છે તેના કારણે સંસદના સમગ્ર શિયાળુસત્રની તમામ કામગીરી ખોરવાઇ ગઇ છે. એટલું જ નહીં, આ બે અબજોપતિઓની ચર્ચામાં દર મહિને કરદાતાના અંદાજે 2.5 લાખનો ધુમાડો થઈ રહયો છે.
શિયાળુ સત્રને પુરૂં થવામાં હવે ફક્ત નવ દિવસ બાકી રહ્યા જેમાં શનિ-રવિનો પણ સમાવેશ થઇ જાય છે. સત્તાધારી પક્ષ હોય કે વિરોધપક્ષ, તમામ રાજકીય પક્ષોના સાંસદોએ જાણે નક્કી જ કરી રાખ્યું છે કે દેશના કરદાતાઓના પરસેવાની કમાણીથી ભરાયેલા ટેક્સના નાણાંનો ધૂમાડો જ કરી નાંખવો, કેમ કે તેઓ સમગ્ર શિયાળુ સત્ર દરમ્યાન દેશની સામાન્ય પ્રજાના જીવનને સ્પર્શતા એક પણ મુદ્દાને અત્યાર સુધી ચર્ચામાં લીધો નથી. દેશના તમામ નાગરિકોએ યાદ રાખવું જોઇએ કે હાલ આપણે મોટા મોટા શહેરોમાં ઝેરી હવા શ્ર્વાસમાં લઇ રહ્યા છીએ અને જીવનજરૂરી તમામ ચીજવસ્તોના ભાવો રોકેટ ગતિએ આસમાન તરફ વધી રહયા છે, જેખરેખર ચિંતાનો વિષય છે. જેમના પરસેવાની કમાણીમાંથી ભરાતા કરવેરાની રકમથી સંસદની કાર્યવાહી ચાલે છે તે દેશના નિર્દોષ લોકો ખરેખર ભોગ બની રહ્યા છે. દેશમાં હજુ કરોડો લોકો ગરીબ છે જેઓ સરકારની કલ્યાણકારી નીતિઓનો લાભ મળે તેની રાહ જોઇ રહ્યા છે.
- Advertisement -
સંસદની કાર્યવાહી ચલાવવા માટે પ્રતિ મિનિટ 2.5 લાખનો ખર્ચ થાય છે અને આ રકમ દેશના કરદાતાઓ ચૂકવે છે. દેશના લોકો તેમના પ્રતિનિધિઓ પાસેથી એવી અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા મુદ્દાઓ ચર્ચા માટે સંસદમાં ઉઠાવે. શિયાળુ સત્ર દરમ્યાન અત્યાર સુધી પ્રજાના જીવનને સ્પર્શતા એકપણ મુદ્દાની ચર્ચા હાથ ધરાઇ નથી જેના પગલે પ્રજામાં સંસદની કાર્યવાહી પ્રત્યે પણ આક્રોશ ભભૂકી ઉઠયો છે. હાલના સંજોગોમાં એક વાત તદ્દન સ્પષ્ટ થઇ ગઇ છે કે સંસદનું સમગ્ર શિયાળુ સત્ર ધોવાઇ ગયું છે. આપણી પાસે હાલ ઢગલાબંધ કાયદા છે, હવે પ્રજાને પરેશાન કરવા બીજા કોઇ કાયદાની જરૂર નથી એમ વ્યંગકાર અને કોમેન્ટેટર કમલેશ સિંઘે પોતાના એક્સ એકાઉન્ટ ઉપર મૂકેલી એક પોસ્ટમાં કહયું છે.
એક રેડિયો કાર્યક્રમ પર તાઉ તરીકે જાણીતા કમલેશકુમાર સિંઘે ફક્ત પ્રજાના નાણાં વેડફાઇ રહ્યા છે તેનો મુદ્દો જ ઉઠાવ્યો હોય તેમ નથી, તેમણે તો સંસદ અને વિધાનસભાની કાર્યવાહીઓનું પણ હવે કોઇ મહત્વ રહયું ન હોવાની વાત ઉપર ભાર મૂકયો છે. સમયના અભાવે ઉતાવળે કરાયેલી ચર્ચા બાદ અમલમાં આવેલાં કાયદાઓની પણ તેમણે આકરી ટીકા કરી છે. સંસદમાં હાલ સરકાર અને વિપક્ષો વચ્ચે ચાલી રહેલી ધાંધલ-ધમાલ અને શોરબકોરના કારણે દેશની પ્રજાની સમસ્યાઓ માટે સરકારને જવાબદાર ઠેરવવાની તક પણ ગુમાવી દેવાઇ છે એમ સિંઘે કહ્યું હતું. સંસદની કાર્યવાહી ખોરવાઇ જવા બદલ કેટલાંક રાજકીય પક્ષોએ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેને જવાબદાર ઠેરવ્યા હતા.



