ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રની તમામ બેઠકો અંકે કરવા ભાજપ, કોંગ્રેસ અને અઅઙના હાઇ કમાન્ડ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસના સ્ટારપ્રચારક રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધિત કરશે. તેમના આગમન પૂર્વે જ રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાની પેનલમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયાની આગેવાનીમાં 150 જેટલા સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા હતા. આ મુદે પુરુષોત્તમ સગપરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે ’રાહુલથી કંઈ નહીં થાય’ તેમણે વધુમાં મીડિયાને જણાવ્યું હતું કે મૂળ તો હું ભાજપનો જ કાર્યકર છું અને પાયાનો કાર્ય કરતો હતો. હું કોંગ્રેસમાં લોકોની સેવા કરવા ગયો હતો, પરંતુ એમાં કોઈ કામ થતાં નથી, જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે તો તેમનાથી કંઈ નહીં થાય, તેમની સભામાં માણસો પણ નહીં થાય. કોંગ્રેસમાં 12 વર્ષ સુધી વનવાસમાં જ રહ્યા છીએ, વનવાસ પૂરો, હવે કામ કરીશું’ નોંધનીય છે કે આ પક્ષપલટામાં કોંગ્રેસના સિનિયર આગેવાન વોર્ડ નં.17ના અગ્રણી પુરુષોત્તમ સગપરિયા, વોર્ડ નં.18ના આગેવાન હસુભાઈ સોજીત્રા, શહેર કોંગ્રેસ મંત્રીચંદુભાઇ ટીલાળા, વોર્ડ નં.18ના આગેવાન પરેશભાઈ સભાયા, વોર્ડ નં.18ના આગેવાન અક્ષયભાઈ મહીધરિયા, વોર્ડ નં.13ના આગેવાન પ્રતાપભાઇ રામોલિયા, વોર્ડ નં. 18ના ઉપપ્રમુખ કોંગ્રેસ જિજ્ઞેશભાઈ માધાણી, વોર્ડ નં.18ના આગેવાન હંસરાજભાઈ વાછાણી, વોર્ડ નં.18ના આગેવાન દિલીપભાઈ બુસા અને વોર્ડ નં.18ના આગેવાન નિલેશભાઈ વીરડિયા સહિત 150 કાર્યકર ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસ છોડી કાર્યકરો ફટાકડા ફોડી વાજતેગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, નેતા ધનસુખ ભંડેરી અને દક્ષિણ બેઠકના ઇન્ચાર્જ જિતુ કોઠારી સહિતનાએ કાર્યકરોને આવકાર્યા હતા.