ભેંસાણના ખજૂરી હડમતીયામાં કૃષિ સહાય પેકેજમાં મસમોટાં કૌભાંડની કોશિષ
મૃત ખેડૂતોના અંગૂઠા મરાવ્યા, કૌભાંડી ટઈઊ સામે ભેંસાણમાં ગુનો દાખલ
- Advertisement -
તપાસ રિપોર્ટમાં 30 ખેડૂતોની ડબલ નોંધણી અને બોગસ સહીઓનો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી કૃષિ રાહત સહાયમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ઓક્ટોબર 2025માં પડેલા ભારે વરસાદ બાદ ખેડૂતોના પાક નુકસાનીના વળતર તરીકે જાહેર કરાયેલા રાહત પેકેજમાં સ્થાનિક વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (ટઈઊ) એ સત્તાનો દુરુપયોગ કરી, મૃત ખેડૂતોના નામે અરજીઓ કરી અને દસ્તાવેજોમાં ચેડાં કરી અંદાજે 9.49 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગ્રામ સેવકની ફરિયાદના આધારે ભેસાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓક્ટોબર 2025માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ ખેડૂત રૂ. 44,000 ની સહાય આપવાની જોગવાઈ હતી. ખજૂરી હડમતીયા ગામમાં તા. 14-11-2025 થી 05-12-2025 દરમિયાન થયેલી અરજીઓની જ્યારે તાલુકા કક્ષાએ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી, ત્યારે તંત્રને કેટલીક ગંભીર વિસંગતતાઓ જોવા મળી હતી. તંત્રને શંકા જતાં આ મામલે તાત્કાલિક અસરથી એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ જ્યારે સ્થળ પર જઈને દસ્તાવેજો અને ખેડૂતોની વિગતો તપાસી, ત્યારે ભ્રષ્ટાચારનું મસમોટું જાળું બહાર આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે 30 જેટલા ખેડૂતોની અરજીઓમાં ડબલ નોંધણી કરવામાં આવી હતી, તેમજ અનેક જગ્યાએ ખેડૂતોની બનાવટી સહીઓ અને બોગસ દસ્તાવેજો જોડવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે, જે ખેડૂતો વર્ષો પહેલા અવસાન પામ્યા છે તેમના નામે પણ સહાયની અરજીઓ કરવામાં આવી હતી. તપાસ કમિટીના રિપોર્ટ મુજબ, કુલ 6 મૃત ખેડૂતોના નામે અરજીઓ થઈ હતી. દાખલા તરીકે, ખાતેદાર ખેડૂત જીવરાજભાઈ રામજીભાઈ સતાસીયાનું અવસાન થયું હોવા છતાં, અરજીમાં તેમને જીવતા બતાવી અંગૂઠો મારીને તેમની ઓળખ આપવામાં આવી હતી. ખજૂરી હડમતીયા ગામના ટઈઊ જયેશ રામજીભાઈ ખંખાળીયાએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી ખેડૂતોના અસલ આધારકાર્ડ નંબરો એડિટ કર્યા હતા અને તેની જગ્યાએ પોતાના અથવા મળતિયાઓના નંબર નાખી દીધા હતા. આ ઉપરાંત, 12 જેટલી અરજીઓ એવી હતી જે બે વખત કરવામાં આવી હતી. અનેક કિસ્સાઓમાં અન્ય વ્યક્તિઓના બેંક પાસબુક અને આધારકાર્ડ જોડીને સરકારી નાણાં અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. તપાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અહેવાલ જિલ્લા કક્ષાએ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે ટઈઊ જયેશ ખંખાળીયાએ કુલ રૂ. 9,49,370ની રકમ પચાવી પાડવાના ઈરાદે સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ મામલે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી અને ગ્રામ સેવકને પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને, ભેસાણ તાલુકા પંચાયતના ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવિણભાઈ કથિીરિયાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ટઈઊ જયેશ રામજીભાઈ ખંખાળીયા વિરુદ્ધ વિવિધ કલમો જેવી કે 316(5) (વિશ્વાસઘાત), 318 (છેતરપિંડી), 336(2) (બનાવટી દસ્તાવેજ), 338 (ખોટો રેકોર્ડ બનાવવો) અને 62 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ હાઈપ્રોફાઈલ છેતરપિંડીના કેસની તપાસ ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર આર.પી. વણઝારા ચલાવી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડમાં માત્ર ટઈઊ એકલો જ સામેલ છે કે પછી તાલુકા કે જિલ્લા કક્ષાના અન્ય કોઈ કર્મચારીઓની પણ સંડોવણી છે. સરકારી સહાયમાં થયેલા આ ભ્રષ્ટાચારના પગલે ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે આવા લેભાગુ તત્વો સામે કડકમાં કડક દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ સરકારી નાણાં કે ખેડૂતોના હક પર તરાપ મારવાની હિંમત ન કરે. હાલમાં પોલીસે આરોપીને ઝડપી પાડવા અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
અનેક ખેડૂતના નામની અરજીમાં ગોલમાલ કરી શું કર્યું
જીવરાજભાઈ રામજીભાઈ સતાસીયાનું મોત થયું છતાં તેનો અંગુઠો ઓળખાવ્યો અને આધારકાર્ડ નંબર વીસીઈએ પોતાના નાખી નામ એડીટ કર્યું. રતુભાઈ પાચાભાઈ પટોળીયાની અરજીમાં પિયુષ રતીલાલ પટોળીયાનું નામ નાખ્યું. નાથાભાઈ મનજીભાઈ પટોળીયાની અરજીમાં આધારકાર્ડના નામ એડિટ કરી અન્ય વ્યક્તિનું આધારકાર્ડ નાખ્યું. લાલજી ડાયા વઘાસીયાના બદલે મયુર સખવાડાના નામનું આધારકાર્ડ નાખ્યું. લાભુબેન નારણભાઈ પાઘડારના બદલે ગોરધનભાઈ ઋતીકાબેન મોવલિયાનું આધારકાર્ડ નાખ્યું ભગવાનજીભાઈ લવાભાઈ વઘાસીયાના બદલે હરેશભાઈ ભગવાનજીભાઈ વઘાસીયાના નામની અરજી કરી. આવી રીતે 30 અરજીઓમાં વિસંગતતા ઉભી કરી હતી. તપાસ કમિટીએ મૃત ખેડૂતોના સગા-સબંધી સહિત 20 અરજદારોના નિવેદન લીધા હતા. 10 અરજદાર નિવેદન આપવા આવ્યા ન હતા.



