ગુજરાતના જાણીતા કવિ સંજુ વાળાનું પુ. મોરારિબાપુના હસ્તે અભિવાદન થશે
રાજકોટના આંગણે રવિવારે અનોખો શબ્દોત્સવ યોજાશે
સંજુ વાળાની ષષ્ટિપૂર્તિની ઉજવણી અને ગુજરાતી કવિતાક્ષેત્રે તદ્દન નવો-નોખો ઉઘાડ આપનાર છ ગ્રંથોનું થશે લોકાર્પણ
તા. 27 માર્ચ, રવિવારે સાંજે ચાર વાગ્યે હેમુ ગઢવી હોલમાં સમારોહ: શહેરમાં ચાર સ્થળે નિમંત્રણ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ શરૂ
ગુજરાતી ભાષાના મોટા ગજાના કવિશ્રી સંજુ વાળાની ષષ્ટિપૂર્તિની ઉજવણી રાજકોટમાં તા. 27મી માર્ચે અત્યંત ગરિમાપૂર્ણ સમારોહમાં થવા જઈ રહી છે. સાવરકુંડલાના બાઢડાના વતની અને વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ-સર્જનભૂમિ બનાવનાર કવિ, વિવેચક સંજુ વાળાનું ભવ્ય અભિવાદન પૂ. મોરારિબાપુના હસ્તે તા. 27મીને રવિવારે સાંજે ચાર વાગ્યે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા સમારોહમાં થશે. આ અવસરે કુલ છ ગ્રંથોનું પણ લોકાર્પણ થશે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા,વરિષ્ઠ સર્જક રઘુવીર ચૌધરી આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. સંજુ વાળા ષષ્ટિપૂર્તિ અભિવાદન સમિતિ આયોજિત આ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક હાસ્ય કલાકાર સાંઈરામ દવેની સંસ્થા સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન છે.
સંજુ વાળા અભિવાદન સમિતિના અધ્યક્ષ સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ પૂ. મોરારિબાપુએ આ સુંદર કાર્યક્રમ માટે સમય-તારીખ આપ્યાં હતા પરંતુ કોરોના માર્ગદર્શિકાને લીધે કાર્યક્રમ પાછળ ઠેલવો પડ્યો હતો પરંતુ હવે બધું સાનુકૂળ છે તેથી અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ.
- Advertisement -
આપણી ભાષાના બહુ મોટા કવિના વધામણાં રાજકોટમાં થાય એ બહુ જ નોંધપાત્ર ઘટના છે અને એમાં વળી પૂ. બાપુના આશીષ અને રઘુવીર ચૌધરીનું સાંનિધ્ય મળે તે વિશેષ ઉપલબ્ધિ છે. સમિતિના ઉપાધ્યક્ષ, યુજીસી એચઆરડીસીના અધ્યક્ષ ડો. કલાધર આર્યે જણાવ્યું હતું કે સંજુ વાળાના આ અભિવાદન સમારોહની ઉજવણી માટે ગુજરાત ભરમાંથી સાહિત્યસર્જકોને નિમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવીરભાઈ રહેશે તે ઉપરાંત પ્રો.સમીર ભટ્ટ સંજુભાઈની કવિતા વિશે વાત કરશે જ્યારે સાંઈરામ દવે પ્રાસંગિક ઉદબોધન કરશે. એ પુર્વે સંજુ વાળાની કવિતાઓની સાંગીતિક પ્રસ્તુતિ હેમંત ચૌહાણ, ડો.ભરત પટેલ, ઉદય મઝુમદાર,ગાર્ગી વ્હોરા દ્વારા થશે. તેનું સંચાલન કવિ મિલિન્દ ગઢવી કરશે જ્યારે અભિવાદન સમારોહનું સંચાલન પ્રણવ પંડ્યા કરશે.
જ્વલંત છાયાએ કહ્યું હતું કે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે રવિવારે પૂ. મોરારિબાપુના હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં છ પુસ્તકોનું લોકાર્પણ થશે. સંજુભાઈ વાળાના ચાર પુસ્તકો ગઝલરસના, વાગ્વસ્તુ, કડી ગોઠડી તથા રસપરિક્રમા ઉપરાંત એમની કવિતાઓ વિશેના આસ્વાદોનું પુસ્તક છેક શિખરની મજા પણ લોકાર્પિત થશે. તે ઉપરાંત સંજુભાઈના જીવન અને કાર્ય વિશે સાહિત્યકારો, મિત્રો, પત્રકારોએ લખેલા અભ્યાસલેખોના પુસ્તક સહજ જડી સરવાણીનું પણ વિમોચન થશે. વર્ષ 2000માં કવિ રમેશ પારેખની ષષ્ટિપૂર્તિ રાજકોટે ધામધૂમથી ઉજવી પછી કવિ સંમેલન કે એવા નાના-મોટા કાર્યક્રમો થતા રહ્યા છે પરંતુ આટલા મોટાપાયે કોઈ એક જ કવિના ઓવારણા લેવાનો અવસર યોજાયો નથી. સંજુભાઈની ષષ્ટિપુર્તિએ આ નિમિત્ત અમને આપ્યું છે. ગુજરાતી સાહિત્ય માટે આ ઘણી નોંધપાત્ર ઘટના છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અભિવાદન સમિતિના જ્વલંત છાયા, આર.પી. જોશી વગેરે સક્રિય છે.સમગ્ર કાર્યક્રમના આયોજનને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત મૌલેશભાઈ ઉકાણી-બાન લેબ્ઝ, જયંતીભાઈ ચાંદ્રા, જ્યોતીન્દ્ર મહેતા, શામજીભાઈ ખૂંટ, હરેશ મહેતા, સાવર કુંડલા,રાજકોટ નાગરિક સહકારી બેન્ક, રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક, નરેન્દ્રસિંહ જાડેજા, દર્શન દાસાણી-ટી પોસ્ટ, ડો. જયપ્રકાશ ભટ્ટનો સહયોગ સાંપડ્યો છે. આ કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓ માટે ખુલ્લો છે. વ્યવસ્થા માટે કાર્ડ રખાયાં છે જે ટી પોસ્ટ, રેસકોર્સ તથા કાલાવડ રોડ-દેશી કાફેમાંથી ઉપરાંત પીપલ્સ બેંક, લોધાવડ ચોક; બાન લેબ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ; ઇંછઉઈ સૌ.યુનિ.રાજકોટ ખાતેથી મળી શકશે.
- Advertisement -
સંજુ વાળા: બહુઆયામી, પ્રતિભા સંપન્ન કવિ
સંજુ વાળાનો જન્મ 11 જુલાઈ 1960ના રોજ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ભજન પરંપરા વાળા એક તદ્દન મધ્યમવર્ગીય ખેડુત પરિવારમાં થયો હતો. એમના દાદીબા ભજનો ગાતા. પિતાજી પણ ભજન-દોહા લખતા એ સંસ્કારો એમણે ઝીલ્યા. આપબળે આગળ આવેલા સંજુ વાળા 18 વર્ષની કાચી વયે તો સરકારી નોકરીમાં જોડાઈ ગયા હત. મહેસુલ વિભાગમાં વિવિધ ફરજો બજાવીને બે વર્ષ પહેલાં મામલતદાર તરીકે નિષ્કલંક કારકિર્દી સાથે નિવૃત્ત થયા છે. એ જ નાની વયથી એમણે કવિતા સર્જનક્ષેત્રે પણ યાત્રા આરંભી હતી. ગુજરાતી કવિતા ક્ષેત્રે એમણે નિભાવેલી પરંપરા અને કરેલા પ્રયોગો નોંધપાત્ર રહ્યા છે, સંજુભાઈના કાવ્ય સંગ્રહ ’કંઈક, કશુંક અથવા તો..’, ’કિલ્લેબંધી’, ’રાગાધીનમ્’ તથા ’કવિતા નામે સંજીવની’ને વિવિધ પુરસ્કારો-પારિતોષીકો મળ્યાં છે તેમણે નોંધપાત્ર સંપાદનો પણ આપ્યાં છે. રાષ્ટ્રીય કક્ષાના કવિ સંમેલનોમાં એમણે કવિતા પાઠ કર્યા છે તો સંખ્યાબંધ નવોદિત કવિઓનું કાઠું એમણે ઘડ્યું છે. કવિનું રાજકોટમાં અભિવાદન એ રાજકોટવાસીઓ માટે પણ ગૌરવની અને યાદગાર ઘટના છે.
રૂા.1500થી વધારેની કિંમતના પુસ્તકો રવિવારે રૂા.600માં અપાશે
સંજુ વાળાના અભિવાદન નિમિત્તે કુલ છ ગ્રંથ પ્રકાશિત થશે. પાંચ પુસ્તકોના પ્રકાશક પ્રવીણ પ્રકાશન છે. જેમાં ‘ગઝલરસના’, ‘કડી ગોઠડી’, ‘ગઝલ પરિક્રમા’, ’વાગ્વસ્તુ’ અને ’છેક શિખરની મજા’ પુસ્તકોનો સમાવેશ છે. પ્રથમ ચાર પુસ્તકોમાં સંજુભાઈએ કરેલા કવિતાઓના આસ્વાદ, એક એક શેર કે કડીના કરેલા આસ્વાદ અને ગઝલની ઊંડી સમજ આપતા લેખો છે. ગઝલો જાણતા લોકોને પણ એમાં રસ પડે અને કવિતા વિશે જ્ઞાન ઓછું હોય તો પણ એમને એમાંથી ખજાનો મળે તેમ છે. પાંચમા પુસ્તક ’છેક શિખરની મજા’માં કવિના કાવ્યસંગ્રહ ’રાગાધીનમ’ની 25 ગીત રચનાઓના વિવિધ અભ્યાસુઓએ કરાવેલ આસ્વાદ અને અન્ય અભ્યાસલેખો છે. ‘સહજ જડી સરવાણી’ તેમનો અભિવાદન ગ્રંથ છે. સંજુ વાળાના આ 6 પુસ્તકનો સેટને જેની કિંમત 1500 આસપાસ છે તે રવિવારે વિમોચનના દિવસે રુ. 600માં ઉપલબ્ધ થશે. પાંચ પુસ્તકનો સેટ રૂ. 500માં અને ફકત અભિવાદન ગ્રંથ જોઈતો હોય તો તે રૂ.250ને બદલે રવિવારે, 27મી તારીખે રૂ. 100માં પ્રાપ્ત થશે. કવિ સંજુ વાળા, વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા, શિક્ષણવિદ્દ ડો. કલાધર આર્ય અને સાહિત્યપ્રેમી આર.પી. ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવી સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.


