કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં
આવતીકાલે ગુજરાતના 24 તીર્થ સ્થાનોમાં સફાઈ અભિયાન
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી તે અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આવતીકાલથી 24 તીર્થસ્થાનોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ અભિયાનની શરૂઆત રાજકોટથી કરાવવાના છે. રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે અને આ પછી મહિનાના દર ત્રીજા રવિવારના રોજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા આ સફાઈ અભિયાનને આગળ વધારવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 22 એપ્રિલ એટલે કે શનિવારથી રાજ્યના 24 તીર્થસ્થાનોને પ્રથમ તબક્કામાં સફાઇ કરવાની શરૂઆત કરવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ શહેરના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવશે જયારે ગૃહમંત્રી અમદાવાદ ભદ્રકાળી મંદિર ખાતેથી સફાઈ અભિયાનમાં જોડાવવાના છે. આમ અલગ અલગ મંત્રીઓ અલગ અલગ તીર્થસ્થાનેથી આ સફાઈ અભિયાનમાં જોડાવવાના છે.
પ્રથમ તબક્કામાં 24 તીર્થસ્થાનોમાં સફાઇ અભિયાન
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ખાલી સફાઈ અભિયાન એ લક્ષ્ય નથી પરંતુ સફાઈ અભિયાન દરમિયાન નીકળતા ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવો, આસપાસની દુકાનોમાં વેપારીઓને કચરાપેટી આપી સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવશે. આ એક દિવસીય સફાઈ અભિયાન નથી પરંતુ આ કાયમી સફાઈ જળવાઈ રહે તે માટે રાજ્યની સરકાર, રાજ્યની સામાજિક સંસ્થાઓ અને જનતા સાથે મળી તીર્થસ્થાનો તેમજ આખા ગુજરાતને સ્વચ્છ રાખે તે માટેનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 24 તીર્થસ્થાનો ઉપરાંત પછીથી આગળના સમયમાં મહિનામાં દર ત્રીજા રવિવારના રોજ અલગ અલગ સ્થળો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.