ખબરદાર, જો કોઈએ તટસ્થ રહેવાનું કહ્યું તો…!
વડાપ્રધાનની ખુરશી પર સાવજ શોભે, છછૂંદર નહીં!
‘…અને તમે કહો છો કે, પત્રકારે તટસ્થ રહેવું જોઈએ! તટસ્થતા એ કઈ બલાનું નામ છે? શું મારે એમ લખવું કે, “થોડાં બહાદુર મનમોહન હતા, થોડાં મોદી છે… મનમોહને પણ મુંબઇ હુમલા પછી પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી, મોદીએ પણ કરી…” પ્લીઝ. તમારી વ્યાખ્યા મુજબ હું તટસ્થ લેખક-પત્રકાર નથી, એ વાસ્તવિકતા મને સહર્ષ કબૂલ છે. હું ડિફેન્સ એક્સપર્ટ નથી. પણ, હું માનું છું કે, પુલવામા હુમલા કરતા પણ મુંબઇ એટેકની તીવ્રતા વધુ હતી. જાનહાની પણ વધુ હતી, શહેર આખું 72 કલાક સુધી બાનમાં લેવાયું અને પ્રાણ ગુમાવનાર મોટાભાગના સિવિલિયન્સ હતા, વિદેશીઓ પણ હતા. એ હુમલા પછી કશું જ ન થયું. કશું જ નહીં. પાકિસ્તાનને ડોઝિયર્સ અપાયા અને દેશવાસીઓને ઠાલા આશ્વાસનો.
- Advertisement -
હું લેખક-પત્રકાર તો બાદમાં છું, સૌપ્રથમ એક સામાન્ય નાગરિક છું. અને એક આમ આદમી તરીકે હું ઈચ્છું છું કે, મારો દેશ બનાના રિપબ્લિક ન બને. કારણ કે, કેળા જેવા પોચટ રાષ્ટ્રની પ્રજાને મેંગો પીપલ જ બનવું પડે છે. અંગત જીવનમાં કોઈ તમાચો મારે અને આપણે બીજો ગાલ ધરીએ તે અંગત પસંદગીનો પ્રશ્ન છે. પણ, મુંબઇ કે પુલવામા જેવા હુમલા થાય ત્યારે તમાચો એકસાથે 130 કરોડ લોકોના ગાલ પર પડતો હોય છે.
આવી થપ્પડો સતત પડતી રહે તો રાષ્ટ્ર ગૌરવ હણાઈ જાય. જગત આખું આપણાં પર અટ્ટહાસ્ય કરે તે અલગ. શું આપણે આપણું રક્ષણ કરવાને સમર્થ નથી? સ્મરણ રહે, કાયર રાષ્ટ્રને જગતમાં કોઈ કોઠું આપતું નથી. સૈન્ય ક્ષમતા, શસ્ત્ર-સરંજામ હોવા એ જ પર્યાપ્ત નથી. જરૂર પડ્યે તેનો ઉપયોગ ન થાય તો તેનું મૂલ્ય ફૂટી ગયેલા તોપગોળા જેટલું જ ગણાય. સુપરપાવર, આર્થિક મહાસત્તા, ગ્લોબલ હબ, બૂમિંગ ઇકોનોમી… આ બધું બેસ્ટમબેસ્ટ જ છે. પણ, પ્રથમ પ્રાયોરિટી સુરક્ષા, સલામતી, સ્વરક્ષણ છે. બાકી બધું પછી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 70,000 હોય અને દેશ પર નિયમિતપણે ટેરર એટેક થતાં હોય તો એવો સેન્સેક્સનો કશો જ અર્થ સરતો નથી.
શાંતિ અને સલામતી મારા માટે પ્રથમથી જ ઉચ્ચત્તમ સ્થાને છે પણ, યુરોપ પ્રવાસ પછી મને તેનું મહાત્મ્ય વધુ સ્પષ્ટ થયું. મહાસત્તા એ છે જે ઉગ્રવાદીઓને તેમના પાપની સજા આપે છે, મહાનત્તમ મહાસત્તા એ છે જ્યાં આતંકીઓ પાપ કરી શકવા સમર્થ જ ન બની શકે. કટ્ટર ઇસ્લામિક વિચારધારાને કચરા ટોપલીનું તેનું સ્થાન દેખાડી દેવાની જરૂરિયાત લાંબા સમયથી હતી. ગજવા-એ-હિન્દના સ્વપ્નો નિહાળતાં લોકોને ઝડપભેર 72 હૂર મળે, એવી સુચારુ વ્યવસ્થા ગોઠવવાની આપણી જવાબદારી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ કટ્ટર ઇસ્લામિક વિચારધારા વિરુદ્ધ ક્યારેય લડે નહીં. કારણ કે, ભારતમાં તેમણે જ તેનું લાલનપાલન કર્યું છે, પોષણ આપ્યું છે અને શિશુ અવસ્થામાંથી ભડભાદર બનાવ્યો છે. વડા પ્રધાન મોદીના ઘણાં પગલાં મને ગમ્યા. તેમના માટે તેમને અભિનંદન. પણ, સર્જિકલ સ્ટ્રાઈક તથા એર સ્ટ્રાઈક માટે તો સલામ મારવી પડે. દ્રઢ ઇચ્છાશક્તિ અને નીડરતા વગર એ બેઉ હુમલા શક્ય ન હતા.
- Advertisement -
પાકિસ્તાન પર એક એર-સ્ટ્રાઈક થઈ અને આખી કેબિનેટ, સૈન્ય, દેશ… બધા હચમચી ગયા. મંત્રીઓને એ સમજાતું ન હતું કે, શું બોલવું. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, અંધારું હતું એટલે તેમને ભારતીય ફાઇટર જેટ દેખાયાં નહીં! ઇમરાન ખાન દર 30 મિનિટે બયાન બદલાવી રહ્યો છે. ક્યારેક કહે છે કે, લડી લેશું! અર્ધો કલાક પછી કહે છે કે, યુદ્ધ તો ખપે જ નહીં! રીતસર બાઘા બની ગયા છે. તેની સામે શું તમે મોદીની સ્વસ્થતા જોઈ? પુલવામા હુમલા પછી તેમણે પ્રથમ જ સ્પીચમાં બહુ સ્પષ્ટ કહી દીધું: “તેઓ બહુ મોટી ભૂલ કરી ગયા છે, તેમણે આકરી કિંમત ચૂકવવી પડશે!” કોઈ જ પ્રકારની ચીસો પાડ્યા વગર, એકદમ દ્રઢ અવાજે તેમણે પોતાનો નિર્ણય જણાવી દીધો. ભૂતકાળના ભારતીય વડા પ્રધાનો માત્ર એક જ ડાયલોગ બોલતા હતા: “દુષ્મનો અમારી ધીરજની પરીક્ષા ન કરે… અમારી સહિષ્ણુતાને કાયરતા સમજવાની જરૂર નથી!” ખતમ. મનમોહન જ્યારે આવું બોલે ત્યારે રીતસર હસવું પણ આવતું અને ક્રોધ પણ. આપણને થાય કે, આટલું બોલતા એમને ક્યાંક કાર્ડિયાક એરેસ્ટ ન થઈ જાય. લેંગ્વેજમાં રણકાર નહીં અને બોડી લેંગ્વેજમાં આત્મવિશ્વાસ નહીં. સવાસો કરોડની જનસંખ્યા ધરાવતી લશ્કરી, આર્થિક મહાસત્તાના વડા શું આવા ઉંદરડાં હોય? આમાં કેમ કરી ને કોઈ તટસ્થ રહી શકે!
બીજી તરફ મોદીનું અવલોકન કરો. પુલવામા હુમલા પછી તેમણે ચૂંટણી સભાઓ કરી, સિઉલ જઈ શાંતિ પારિતોષિક લઈ આવ્યા, કુંભમાં ગંગાસ્નાન કર્યું અને ચહેરા પર ક્યારેય ટેંશન કળાવા ન દીધું. કોઈ જ પ્રકારની અસ્વસ્થતા નહીં. એર-સ્ટ્રાઈક પછી તેઓ ગાંધી શાંતિ પુરસ્કારના સમારોહમાં ઉપસ્થિત રહ્યા, ચુરુંમાં સભા કરી અને સાંજે જગતની સૌથી મોટી ભગવદ ગીતાનું વિમોચન કર્યું. એકદમ કોલ્ડ બ્લડેડ બદલો. ટાઢા કલેજે. આ દિવસો દરમિયાન તેમણે આખી દુનિયાને ભારતના પક્ષે કરી, એકપણ દેશ પાકિસ્તાન સાથે ઉભો ન રહ્યો. ચીન પણ નહીં. આ એક વિરાટ સિદ્ધિ છે. ભારતની વિદેશ નીતિ અને સંરક્ષણ નીતિ ક્યારેય આટલી અસરકારક અને સખ્ત નથી રહી. ક્યારેય નહીં.
સ્મરણ રહે: દુનિયા આપણી પડખે છે અને મોદીએ કહ્યું છે કે, “હજુ અમારું શ્રેષ્ઠ આવવાનું બાકી છે!” વાત અહીં અટકશે નહીં. વધુ નક્કર કાર્યવાહી થશે જ. બેશક, બેઉ પક્ષે થશે, નુકસાન પણ બેય પક્ષે હશે. પરંતુ એક વાત ભૂલાવી ન જોઈએ: આ 2019નું ભારત છે. તેની સૈન્ય ક્ષમતા, આર્થિક સામર્થ્ય, વૈશ્વિક પ્રભાવ સામે પાકિસ્તાનનું કશું જ ગજું નથી. અને સૌથી અગત્યની વાત: દેશની મોટાભાગની પ્રજા સ્વીકારે છે કે, ભારતનું સુકાન એક સક્ષમ, સશક્ત, ચતુર શાસકના હાથમાં છે. એટલે જ મારી જેમ 85 ટકા લોકો તટસ્થ રહી શકતા નથી.