રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સાથે મારે નાનપણનો નાતો છે.
મારા જન્મદિને સંતો મહંતોના આશીર્વાદથી હું ધન્યતા અનુભવું છું: સંતોનો હું ઋણી છું, ગુજરાતની સેવા કરવાનું નવું બળ મળશે.
ભારતીય સંસ્કૃતિની પરંપરા, વેદો, ઉપનિષદો થકી ભારત વિશ્વ જનની બનશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ૬૫માં જન્મદિને મુખ્યમંત્રીનું અભિવાદન. મુખ્યમંત્રીએ બોરડી પ્રસાદીના દર્શન કરી મહાપૂજામાં સહભાગી થઈ હિંડોળાનું ઉદઘાટન કર્યું.

- Advertisement -
રાજકોટ:- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે બોરડી પ્રસાદીના દર્શન કરી અને મહાપુજામાં સહભાગી થઈ ૬૫મા જન્મદિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શનનું ઉદઘાટન કરી હરિભક્તોને સંબોધતાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. સંતો મહંતોના આશીર્વાદથી ગુજરાત આગળ વધ્યું છે, તેમ જણાવીને મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે જન્મદિને સંતોના આશીર્વાદ મળતા મને ગુજરાતની સેવા કરવાનું નવું બળ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી એ સંતોના ઋણી હોવાનું જણાવીને વડતાલ-જુનાગઢ-રાજકોટ-ગઢડા સ્વામિનારાયણ મંદિરના શાખાના સંતોના આશીર્વાદ જનસેવામાં ઉપયોગી બનશે તેમ કહ્યું હતું.
- Advertisement -

ભારતીય સંસ્કૃતિની પરંપરા, સનાતન ધર્મ, વિશ્વ કલ્યાણની ભાવના, ઋષિમુનિઓ અને ચરિત્ર નિર્માણ સાથે આદર્શ જીવન માટેની પરંપરા થકી ભારતમાતા વિશ્વ જનની બનશે, તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.

આ પ્રસંગે માધવપ્રિયદાસ સ્વામી, મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, ગઢડાના હરિજીવનદાસજી સ્વામી અને નૌતમ સ્વામી સહિતના સંતોએ આશિર્વચન પાઠવી મુખ્યમંત્રી ને સંવેદનશીલતાની સાથે-સાથે સેવાપ્રિય અને પ્રજાની સેવામાં સતત કાર્યરત ગણાવી ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય આપે અને સતત ગુજરાતની સેવા કરતા રહે, તેવી શુભકામના પાઠવી હતી. સંતોએ ગુજરાત સરકારની સેવાકીય કામગીરી અને યોજનાઓને આવકારી સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીનું સંતોએ વિશિષ્ટ અભિવાદન કર્યું હતું. બાલાજી દાદાની મૂર્તિ પણ અર્પણ કરી હતી.

આ પ્રસંગે દેવ સ્વામી, દેવનંદન સ્વામી, હરજીવન સ્વામી, વિવેક સાગર સ્વામી, બાલમુકુન્દ સ્વામી તેમજ ત્રણ બોર્ડના ચેરમેન, ટ્રસ્ટીઓ, ગુરુકુળના સંતો, ચેતનભાઈ રામાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય, મેયર પ્રદિપભાઈ ડવ, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, રાજુભાઇ ધ્રુવ, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપરાંત કલેકટર અરુણ મહેશ બાબુ ,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને સંગઠનના પદાધિકારીઓ, હરીભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



