સંઘનું યોગદાન અમૂલ્ય છે, અતૂલ્ય અને અદ્ભૂત છે
મહેશ પુરોહિત
- Advertisement -
કોઈપણ સંગઠનના ભવિષ્ય અને વર્તમાનને નિરપેક્ષ રીતે સમજવું હોય તો સૌ પ્રથમ તેના ઉદ્ભવ સમયનાં ત્રણ બિંદુઓ સમજવાં જરૂરી છે: 1. સ્થાપનાનો ઉદ્દેશ્ય 2. કાર્ય પદ્ધતિ 3. સંગઠનનું લક્ષ્ય. આજે જ્યારે વિશ્ર્વના સૌથી મોટા સેવાભાવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે તેના યોગદાન બાબતે આપણે પોસ્ટમોર્ટમ કરીએ છીએ તો ઉપર જણાવ્યાં તે મુજબનાં ત્રણ બિંદુઓ સમજવાં પડે.
સંઘના સ્થાપક સરસંઘચાલક પૂજ્ય ડૉ. હેડગેવારજી બાળપણથી જ દેશદાઝથી ઓતપ્રોત હતા. ત્યારથી લઈને યુવાની સુધીમાં તેમણે સતત એવાં સંગઠનો સાથે કામ કર્યાં, જેઓ દેશહિત માટે કાર્ય કરી રહ્યાં હતાં. ત્યાં સુધી કે તેમણે કોંગ્રેસ સાથે પણ કામ કર્યું અને જવાબદારી નિભાવી હતી.
આ તમામ સંગઠનોનો તત્કાલીન ઉદ્દેશ્ય એ હતો કે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થાય. પરંતુ એક પણ સંગઠન એ બાબતે ચિંતિત નહોતું કે આપણો સમાજ લઘુતાગ્રંથિથી ગ્રસ્ત છે, તેમનામાં પુન: સ્વાભિમાન જાગૃત કોણ કરશે? અર્થાત આઝાદી મળી ગયા બાદ ચારિત્ર્યવાન નેતૃત્વકર્તા નહીં હોય તો?
જોકે સંઘ સ્પષ્ટ કહે છે કે તે કોઈ પ્રતિક્રિયાવાદી સંગઠન નથી. અર્થાત કોઈના વિરોધમાં કે કોઈ વિચારધારાના વિરોધમાં ઉભું કરવામાં આવેલું સંગઠન નથી. તે સ્પષ્ટ અને પવિત્રભાવ સાથેનું રાષ્ટ્રનિર્માણ માટે કામ કરવા તૈયાર થયેલું સંગઠન છે. પણ મારૂં માનવું છે કે સંઘની સ્થાપના પૂર્વે અર્થાત ઈ.સ. 1925 પહેલાં એવી ઘણી ઘટનાઓ બની, જેમાં હિંદુઓને પ્રતાડિત કરવામાં આવ્યા અને અમાનુષી અત્યાચાર થયા. ખિલાફત આંદોલન બાદ થયેલ મોપલા હત્યાકાંડ તેનું ઉદાહરણ છે. સૌથી દુ:ખની વાત એ હતી કે હિંદુ નરસંહાર પર અહિંસાના પૂજારીઓએ મૌન ધારણ કર્યું. જે દેશનું અસ્તિત્વ જ હિંદુઓના કારણે છે, તેના પર થતા અત્યાચાર પર નેતૃત્વ મૌન કેવી રીતે રહી શકે? અને આવી જ રીતે મૌન રહે તો હિંદુઓનું અસ્તિત્વ ખતમ થાય અને હિંદુઓનું અસ્તિત્વ પૂર્ણ થાય એટલે આ દેશનો આત્મા મરી જાય. અહીંથી જ હિંદુઓને સંગઠિત કરીને સશક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવો જોઈએ, આ મારો અંગત મત છે. આ હતું પ્રથમ બિંદુ, સ્થાપનાનો ઉદ્દેશ્ય.
- Advertisement -
બીજું છે કાર્ય પદ્ધતિ. સંઘનું કાર્ય છે સમાજ પાસેથી વ્યક્તિ મેળવવા અને તેનું ઘડતર કરીને પરત સમાજકાર્ય માટે સમાજને જ સોંપી દેવા. સંઘની પાઠશાળામાં ઘડતર પામેલ સ્વયંસેવક સમાજનું નેતૃત્વ કરે. આમ તમે જુઓ તો કોમ્પ્યુટરની બાયનરી ભાષાની જેમ સંઘ શૂન્યને (વ્યક્તિ) એક (ચારિત્ર્ય) સાથે જોડે છે. જે તે વ્યક્તિ આગળ જઈને સોફ્ટવેર બનાવ્યે રાખે છે. ત્રીજું છે સંઘનો લાંબાગાળાનો ઉદ્દેશ્ય. સંઘ વિભિન્ન માધ્યમો દ્વારા સ્પષ્ટ કહેતો રહ્યો છે કે તેમનો ઉદ્દેશ્ય છે ભારત વિશ્ર્વગુરૂ બને અને મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઇ જઈએ. આમ આપણે આ ત્રણેય બિંદુઓ સમજીએ તો ખ્યાલ આવે છે કે આ સંગઠન રાષ્ટ્રની ચિંતા કરવા કાર્યરત છે. જેનો કોઈ જ છૂપો એજન્ડા નથી.
ત્રીજું છે સંઘનો લાંબાગાળાનો ઉદ્દેશ્ય. સંઘ વિભિન્ન માધ્યમો દ્વારા સ્પષ્ટ કહેતો રહ્યો છે કે તેમનો ઉદ્દેશ્ય છે ભારત વિશ્ર્વગુરૂ બને અને મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઇ જઈએ. આમ આપણે આ ત્રણેય બિંદુઓ સમજીએ તો ખ્યાલ આવે છે કે આ સંગઠન રાષ્ટ્રની ચિંતા કરવા કાર્યરત છે. જેનો કોઈ જ છૂપો એજન્ડા નથી.
એમ તો મારે આર્ટિકલ લખવાનો છે, સંઘનું ભારતીય રાજનીતિમાં યોગદાન, પરંતુ જો સંઘની બેઝિક પૃષ્ઠભૂમિ ન સમજીએ તો રાજનીતિમાં યોગદાન પણ સ્પષ્ટ રીતે સમજાવી શકાય નહીં. હું આગળ વાત કરૂં એ પહેલાં એક વાત સ્પષ્ટ કરવી રહી કે સંઘ ક્યારેય સક્રિય રાજનીતિમાં આવતું નથી અને આગળ જતાં આવશે પણ નહીં. કારણ કે રાજનીતિ સમાજનો એક નાનકડો ભાગ છે સંપૂર્ણ સમાજ નથી. જ્યારે સંઘ સમાજ નિર્માણમાં લાગ્યું છે, નહીં કે સત્તા પ્રાપ્ત કરવા માટે.
સંઘનું સ્પષ્ટ માનવું છે કે રાજનીતિથી સમાજનિર્માણ થતું નથી, પણ સમાજ નિર્માણ દ્વારા રાજનીતિ જરૂર બદલી શકાય છે. સંઘ રાજનૈતિક પક્ષઓને સ્વયંસેવક અર્પણ કરે છે. ઉદાહરણ તરીકે જયારે જનસંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ ગુરૂજી સાથે ચર્ચા કરીને પ્રસ્તાવ મૂક્યો જ હતો કે સંઘ સક્રિય રાજનીતિ કરે. પણ ગુરૂજીએ સ્પષ્ટ ના પાડી હતી. જોકે સાથે પાંચ સ્વયંસેવકો જનસંઘને આપ્યા, તેમાંથી જ પંડિત દિનદયાળજી આગળ જતાં જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા. આપણે આઝાદી બાદની રાજકીય સ્થિતિ જોઈએ તો ત્યારે સક્રિય પક્ષમાં તમામ પક્ષ એવા જ હતા જેમનું ઉદ્ભવબિંદુ વિદેશ સાથે હતું, એ પછી કોંગ્રેસ હોય, કોમ્યુનિસ્ટ હોય કે મુસ્લિમ લીગ, એક પણ રાજકીય પક્ષ એવો નહોતો કે જે ભારતીય પરંપરાને કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરે. એના માટે એક રાષ્ટ્રકેન્દ્રી પક્ષની જરૂર હતી જ. માટે જ આરએસએસ જનસંઘની પડખે આવ્યો અને એ જ જનસંઘ આગળ જતા ભાજપમાં પરિવર્તિત થયો.
એ જ ભાજપ આગળ જતાં સત્તામાં આવ્યો તો બંને વડા પ્રધાનો સંઘની પૃષ્ઠભૂમિવાળા રહ્યા. સ્વ.અટલ બિહારીજી અને વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદીજી. આનાથી મોટું શું યોગદાન હોય શકે કે એક સંગઠનમાં ચારિત્ર્ય નિર્માણ પામેલા બે-બે વ્યક્તિ વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીના વડા બને. આ સિવાય અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ હોય કે કોવિંદજી જેવા મહાનુભાવો, જેઓ રાષ્ટ્રપતિ પદ પણ શોભાવી ચૂક્યા છે. જે રીતે જનસંઘની સ્થાપના વખતે સંઘ તરફથી સ્વયંસેવકો આપવામાં આવ્યા હતા, એ જ રીતે ભાજપને પણ નેતૃત્વ માટે સ્વયંસેવકો આપવામાં આવ્યા, અને જરૂર પડે ત્યારે આજે પણ આપવામાં આવે છે. ભાજપનું એક મોટું નેતૃત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં તૈયાર થયું છે.
ભાજપના સંગઠનાત્મક માળખામાં રાષ્ટ્રીય સ્તરે અને પ્રદેશ સ્તરે એક જવાબદારી હોય છે ‘સંગઠન મહામંત્રી’, જેમનું કાર્ય સંગઠન, સરકાર અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે સંકલનનું હોય છે. આ જવાબદારી એવી વ્યક્તિને જ આપવામાં આવે છે, જે સંઘની પૃષ્ઠભૂમિમાંથી જ આવેલી હોય. આ અપ્રત્યક્ષ રીતે રાજકીય મૂલ્યો જળવાઈ રહે તે માટે સંઘ પૃષ્ઠભૂમિવાળા લોકો ભાજપને નીતિગત માર્ગદર્શન પૂરૂં પાડે જ છે. ભારતની રાજનીતિમાં દરેક પક્ષની સ્થાપના બાદ તેના વિભાજન થયાં છે, કોંગ્રેસ પોતે અસંખ્ય વાર તૂટી છે. જ્યારે ભાજપ બન્યા બાદ એકવાર પણ ખંડિત નથી થયો, તેનું કારણ જ છે સંઘની પૃષ્ઠભૂમિવાળું નેતૃત્વ. કારણ કે અહીં વ્યક્તિગત હિતને કોઈ સ્થાન નથી દેશહિત જ કેન્દ્રમાં છે.
દેશમાં જ્યારે કોઈ એક પક્ષ નૈતિકતા સાથે રાજનીતિ કરે અને તે પવિત્ર માર્ગે સત્તામાં આવે, તેની અસર અન્ય પક્ષમાં પણ પડે અને એ લોકોએ પણ મધ્યમ માર્ગ અપનાવવો પડતો હોય છે. આમ અપ્રત્યક્ષ રીતે સંઘના વિચારોનો પ્રભાવ ભાજપ સિવાયના રાજકીય દળો પર પણ પડતો હોય છે. આ અસર ફક્ત સંગઠનાત્મક બાબત પૂરતી નથી. પણ સરકારના વહીવટમાં પણ અસર જોવા મળે છે.
વર્તમાનની મોદી સરકારનું જ ઉદાહરણ લઈએ તો જનકલ્યાણની તમામ યોજનાઓ, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજનાનાં કેન્દ્રમાં અંત્યોદય કલ્યાણનો મંત્ર છે. અર્થાત દેશનાં છેવાડાના માનવીનું કલ્યાણ થાય, અને આ મંત્ર પંડિત દિન દયાળજીએ આપ્યો હતો. આપણે સંગઠનાત્મક અને વહીવટી બાબતની રૂટિન વાત કરી, પરંતુ લાંબાગાળાના નિર્ણયોમાં પણ સંઘનો ખૂબ પ્રભાવ રહ્યો છે. જેમાં રામમંદિર નિર્માણ અને 370 કલમ હટાવવી એ મુખ્ય છે. ઘણીવાર પ્રશ્ર્ન એ પણ થાય કે સંઘ ફક્ત ભાજપને જ મદદ કેમ કરે છે? જ્યારે હકીકત એ છે કે સંઘ એવું ઈચ્છે છે કે દરેક પક્ષમાં સંઘના સ્વયંસેવકો હોય અને જે તે પક્ષમાં જઈને સંઘની વિચારધારા અનુસારનું નેતૃત્વ પૂરૂં પાડે. પણ અન્ય પક્ષમાં રાજકીય બાબતે સ્વીકૃતિ ન આવવાથી હજુ સુધી અન્ય પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી નથી. આ બાબતના જ સવાલ પર મોહન ભાગવતજીએ કહ્યું જ હતું કે અન્ય પક્ષ જ્યારે માંગશે તો અમે તેમને સ્વયંસેવકો આપીશું. ઉપર આપણે જે વૈચારિક કસરત કરી છે, તેના પરથી એ સાબિત થાય છે કે સંઘ ભાજપની રાજનીતિનો લાભાર્થી નથી, પણ ભાજપને સંઘનો જરૂર લાભ મળે છે. આમ સંઘ માટે દેશ અને સમાજનિર્માણ માટે શરૂ કરેલા અનેક ‘આયામો’માંનો એક આયામ રાજનીતિ છે. વનવાસી કલ્યાણ આશ્રમ, ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સ્વદેશી જાગરણ મંચ આવા અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ આયામો છે. જેમાંથી એક ભાજપ છે. અંતે સંઘે ભારતીય રાજનીતિને ભારતીય મૂલ્યોને કેન્દ્રમાં રાખવા, નીતિમતા, લોકશાહીનાં મૂલ્યોનું જતન, દેશના છેવાડાના માનવીને લાભ મળે અને દેશને સબળ નેતૃત્વ મળે જેવી અનેક મૂલ્યવાન બાબતો અંગે ભરપૂર યોગદાન આપ્યું છે. જેનો એક લાભાર્થી હું પોતે પણ છું.



