શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાની ગંભીર ભૂલે ભાજપ શાસિત બોર્ડની આબરૂ ના ધજાગરાં ઉડાવ્યા
નિયમ મુજબ શાસનાધિકારીએ ઠરાવને આધીન રહીને ‘હુકમ’ કરવાનો હોય પરંતુ રમેશ જેઠવા અને ક્લાર્ક વિજય જોષીએ બોર્ડનો ખાનગી ઠરાવ જ જાહેર કરી દીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શાસનાધિકારી રમેશ જેઠવા દ્વારા બોર્ડ કમિટીના ઠરાવમાં વહીવટી શિથિલતાના કારણે ભાજપ શાસિત આખી બોર્ડ કમિટી અને પક્ષની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સસ્પેન્ડેડ શિક્ષક અને માન્યતા રદ્દ થઈ ગયેલા શિક્ષક મંડળના બની બેઠેલા પ્રમુખ દિનેશ સદાદિયા અને તેમની ટોળકીને અનેક તકો આપવા છતાં શિસ્તનું પાલન ન થતા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા, વા.ચેરમેન પ્રવીણ નિમાવત અને બોર્ડ કમિટી સભ્યોએ તા. 09/03/2026ના રોજ એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ દ્વારા ’રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ’ની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, અમુક વ્યક્તિઓની ભૂલની સજા સામાન્ય શિક્ષકોએ ભોગવવી પડી રહી છે.
બોર્ડના સભ્ય સચિવ તરીકે શાસનાધિકારી રમેશ જેઠવાએ આ ઠરાવનો અમલ કરવાનો હતો, પરંતુ આક્ષેપ છે કે તેમણે શિક્ષક મંડળના હોદ્દેદારો સાથે સાંઠગાંઠ કરી અમલવારી લંબાવી હતી. ચૂંટણી આચારસંહિતાનું બહાનું ધરી સમય પસાર કર્યા બાદ જ્યારે બોર્ડ સભ્યોએ કડક ઉઘરાણી કરી ત્યારે શાસનાધિકારીએ મોટો છબરડો વાળ્યો હતો. નિયમ મુજબ શાસનાધિકારીએ ઠરાવને આધીન રહીને ‘હુકમ’ કરવાનો હોય છે, પરંતુ રમેશ જેઠવા અને તેમના વિશ્વાસુ ગણાતા જુનિયર ક્લાર્ક વિજય જોષીએ બોર્ડનો ખાનગી ઠરાવ જ જાહેર કરી દીધો હતો. નિયમ વિરુદ્ધ જઈને ઠરાવ સાર્વજનિક કરવાની આ ગંભીર ભૂલે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.
વહીવટી તંત્રની નિષ્ફળતા અહીં જ અટકતી નથી. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાની અઢી વર્ષની મુદત ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થઈ ચૂકી છે તેમ છતાં નવી ચૂંટણીની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. આક્ષેપ થઈ રહ્યો છે કે, શાસનાધિકારી રમેશ જેઠવા પોતાની સત્તા જાળવી રાખવા અને ચેરમેન સાથે મળીને ‘એકહથ્થુ’ વહીવટ ચલાવવા માટે ચૂંટણીમાં વિલંબ કરી રહ્યા છે. હાલ તો શિક્ષણ જગતમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા બોર્ડ સભ્યોમાંથી પણ માંગ ઉઠી રહી છે.



