પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરવામાં આવી, જેમાં કેટલાય લોકોના મોત થયા છે. ત્યારે આ પછી તાલિબાનના રક્ષા મંત્રાલયે બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
સ્થાનિક સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાની લડાકુ વિમાનોએ બોમ્બમારો કર્યો, જેમાં બરમાલના મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું. અફઘાન મીડિયા અનુસાર, આ હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટાપાયે વિનાશ થયો છે. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. અહેવાલ અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ હુમલાઓની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
- Advertisement -
તાલિબાને જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે બરમાલ પર પાકિસ્તાની હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તાલિબાને એક નિવેદનમાં કહ્યું કે અફઘાનિસ્તાનને તેની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હુમલાની નિંદા કરતા, તાલિબાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે પાકિસ્તાની ફાઇટર જેટ દ્વારા જે ટાર્ગેટ પર બોમ્બમારો કરવામાં આવ્યો, તેમાં વઝીરિસ્તાનના શરણાર્થીઓ પણ હતા. જો કે પાકિસ્તાની અધિકારીઓએ આ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ પાકિસ્તાની સેનાના નજીકના સૂત્રોએ કહ્યું છે કે આ હવાઈ હુમલાઓ સરહદ નજીક તાલિબાનના ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટના પ્રકાશમાં આવી છે. પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનમાં તેના હુમલા વધારી દીધા છે. પાકિસ્તાને તાલિબાન પર આ આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. તાલિબાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખાવરજામીએ પાકિસ્તાની દાવાઓને રદિયો આપીને એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ હવાઈ હુમલાઓમાં નિર્દોષ નાગરિકો અને બાળકો, એમાં પણ મોટાભાગે વઝીરિસ્તાનના શરણાર્થીઓ મૃત્યુ પામ્યા છે.
હુમલામાં મૃત્યુઆંક વધવાની આશંકા
માહિતી અનુસાર, હુમલાના સ્થળેથી મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 મૃતદેહો મળી આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અહેવાલ વઝીરિસ્તાનના શરણાર્થીઓ અફઘાન મૂળના નાગરિકો છે, જેઓ પાકિસ્તાનના આ કબાયલી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સૈન્ય ઓપરેશનને કારણે વિસ્થાપિત થયા હતા. જો કે, પાકિસ્તાનનું કહેવું છે કે ઘણા TTP કમાન્ડરો અને લડાકો અફઘાનિસ્તાન ભાગી ગયા છે, જ્યાં તેમને કથિત રીતે સરહદી પ્રાંતોમાં તાલિબાન દ્વારા આશ્રય આપવામાં આવી રહ્યો છે.