રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટમાં રૈયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસનો બાતમી આધારે દરોડો
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે શહેરના યુનિવર્સિટી રોડ પર યુનિવર્સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી આધારે લાલ રંગની i 20 કાર અટકાવી જડતી લેતા તેમાં કારણ દરવાજામાં બનાવેલા ચોરખાનામાંથી 240 બોટલ વિદેશી દારૂ મળી આવતા કારચાલકની ધરપકડ કરી છે શખ્સે કારના ત્રણ દરવાજાના પડદામાં ખાસ ચોરખાના બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનો ચોંકાવનારો વિગતો ખૂલવા પામી છે.
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી આર.એસ.બારીઆની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસ મથકના નવનિયુક્ત પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એન.શ્યૉરાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કે.જાડેજા અને દિવ્યરાજસિંહ ટી.જાડેજાને મળેલી બાતમી આધારે રૈયા ગામ પાસે મેલડીમાના મંદિર નજીક વોચ ગોઠવી હતી ત્યારે અહીંથી પસાર થતી શંકાસ્પદ લાલ રંગની i 20 કાર નંબર GJ-03-HA-0899ને કોર્ડન કરીને અટકાવી હતી. કારની સામાન્ય તલાશી લેતા પ્રાથમિક તબક્કે કાંઈ મળ્યું નહોતું, પરંતુ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતાં, ડ્રાઇવર સિવાયના બાકીના ત્રણ દરવાજામાં ચોરખાના બનાવ્યા હોવાનું માલૂમ પડયું હતું. દરવાજાના પેનલ-પડદા ખોલીને તપાસ કરતા તેમાંથી 180 એમ.એલ.ની 66,000ની કિંમતની 240 બોટલ મળી આવી હતી.પોલીસે રેલનગરમાં રહેતા કારચાલક દિનેશ નરોતમ પરમારની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા કબૂલાત કરી હતી તે પારિવારિક કામથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ગયો હતો ત્યારે લીંબડી ખાતે રહેતા કરણ નરેશ સોલંકી નામના શખ્સે આ દારૂનો જથ્થો ગાડીના ચોરખાનામાં ભરી આપ્યો હતો પોલીસે લીંબડીના શખ્સ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા વધુ 47 જવાનોની બદલી
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગઈકાલે વધુ 42 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે આજે વધુ 45 જવાનોની બદલીનો હુકમ કર્યો છે આજે જાહેર થયેલા બદલીના લિસ્ટમાં ડીસીબીના 9, પીસીબીના 4, સાયબર ક્રાઇમમાં 12 જવાનો પણ સામેલ છે આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ 6 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 224 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલી કર્મીની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ આજે વધુ 45 જવનાઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં હેડ ક્વાટરના 2, ડીસીબીના 9, સાયબર ક્રાઇમના 12 અને પીસીબીના 4 જવાનોનો સમાવેશ થાય છે.
રાજકોટમાં મિલકતમાં ભાગ માંગી વૃદ્ધ દંપતિને વિધવા પુત્રવધુ, બે પૌત્રીની મારી નાખવાની ધમકી
રાજકોટના કાલાવડ રોડ ઉપર ન્યુ કોલેજવાળી મેઈન રોડ પર રહેતા પુષ્પાબેન પ્રવીણચંદ્ર લીલાધર જોશી ઉ.74 નામના વૃદ્ધાએ પુત્રવધુ કિન્નરીબેન સંજયભાઈ લીલાધર, બે પૌત્રી પંછીબેન અને ભાવ્યાબેન સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ પ્રવીણચંદ્ર લીલાધર જોશી ઉ.86 હાલમાં ઘરે જ રહે છે મારે સંતાનમાં બે દિકરા તથા એક દિકરી છે. જેમાં સૌથી મોટો દિકરો નામે સંજયભાઈ આજથી બે વર્ષ અગાઉ 2024માં મરણ પામેલા છે. અને તેની પત્નિનુ નામ કિન્નરીબેન છે તેમને બે દિકરીઓ પંછી અને ભાવ્યાબેન છે. પંછીબેનના લગ્ન અમદાવાદ થયેલા છે. જે વારંવાર મહીનામાં બે ત્રણ વાર અમારા ઘરે આવે છે અને ભાવ્યાબેન રાજકોટ ખાતે નોકરી કરે છે અમારુ રાજકોટ ખાતેનુ ઘર બે માળ નુ છે. જેમાં નીચે હું તથા મારા પતિ રહીયે છીયે. અને મારા બંન્ને દિકરાઓ ના રૂમ ઉપર ના માળે છે. જેમાં એક રૂમમાં સંજયભાઈના પત્નિ કિન્નરીબેન તેમના દિકરી સાથે છે અને બીજા રૂમમાં રવીભાઈ રહે છે ગત 20 જુલાઈના રોજ સવારે હું તથા મારા પતિ તથા કિન્નરીબેન અને તેમની દિકરી સહિતના બધા અમારા ઘરે હતા ત્યારે આ ઉપરોક્ત ત્રણેયે આગળ આવીને કહ્યુ કે અમારી મિલકતનો અમારો ભાગ આપી દો, નહી તો તમને કોઈને કોઈ રીતે ઘરમાં અકસ્માત કરીને મારી નાંખીશુ જેથી મેં તેમને જણાવેલ કે તમે શાંતી રાખશો તો બધુ થશે.નહી તો કઈ નહી થાય. તેવી વાત કરેલી જેથી આ કિ ન્નરીબેન અને ભાવ્યાબેનમારા પતિ તથા મને નહી બોલવા જેવુ ગમે તેમ બોલવા લાગેલ. અને ઉશ્કેરવાની કોશીશ કરવા લાગેલી અને ઝગડો કરવાનો ચાલુ રાખેલ. અને આ ત્રણેયએ ઘણીવાર અમારી સાથે બોલાચાલી કરી હતી અને મને તથા મારા પતિ પ્રવિણચંદ્રને મા-બેન સમાણી ગાળૉ આપી હતી.અને અમોને કહેલ કે અગર જો તમે અમારા નામ પર મિલકત નહી કરો તો અમે ત્રણેય જણા તમને મારી નાંખીશુ. તેવી વાત કરી પોતાના રૂમમાં જતા રહ્યા હતા ત્રણેય માં-દીકરી અમારી ગેર હાજરીમાં અમારા બેડરૂમમાં આવે છે અને શોધખોળ કરતા હોય છે. અને અમારી મિલકત તેમના નામે કરાવવા સારૂ અમો મને દબાણ કરતા હોય છે તેઓ બધા જયારે ઘરની બહાર જાય ત્યારે અમારા ઘરના દરવાજા ખુલ્લા રાખે છે.અને ઘણી વાર અજાણ્યા માણસો મારા ઘરમાં ઘુસી આવે છે મારા પતિ હિંચકે બેઠા હોય ત્યારે આ મારા દિકરાની દિકરી પંછીબેન બાજુમાં આવીને બેસી જાય છે.અને હિંચકાની સ્પીડ અચાનક વધારી દે છે. અને તેમને હિંચકા ઉપરથી પાડી નાંખવાની કોશીશ કરે છે. તે સિવાય તેઓ રસોડામાં ઘણી વાર પાણી ઢોળી દે છે અથવા તો તેલ ઢૉળી દે છે. જેથી અમારા બંન્નેનો પગ લપસી જાય અને અમારી સાથે કોઈ અકસ્માત થઈ જાય તેવો પ્રયત્ન કરતા હોય છે. જેથી ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં પતિને વ્યાજે આપેલા ત્રણ લાખના બદલામાં પત્ની પર વ્યાજખોરનું દુષ્કર્મ : વ્યાજે પૈસા આપતા પહેલાં જ મહિલાને કહ્યું, તારે મારી સાથે પત્ની જેવા સંબંધ રાખવા પડશે
રાજકોટમાં વ્યાજખોરે વ્યાજે પૈસા આપતા પહેલા મહિલાને પોતાની સાથે પત્ની જેવો સંબંધ રાખવો પડશે તેમ કહીં દીધું હતું. એટલું જ નહીં વ્યાજે પૈસા આપ્યા બાદ તેણે મહિલા ઉપર બે વખત તેના ઘરે જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે મામલો થોરાળા પોલીસ પાસે પહોંચતા ગુનો નોંધી નરાધમ વ્યાજખોર હુસેન ગોપલાણીને સકંજામાં લીધો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર મહિલાના પતિને આરોપી સાથે બે વર્ષથી ઓળખાણ છે. આરોપી તેના ઘરે અવરજવર પણ કરતો હતો. રિક્ષા ચલાવતો હોવાથી તેની પત્નીને મજૂરી કામે મુકવા પણ જતો હતો ભોગ બનનાર મહિલાના પતિને મકાન રિપેરિંગ માટે પૈસાની જરૂર પડતાં આરોપીને વાત કરી હતી, જેથી આરોપીએ ૧૪ ટકા જેવા ચામડાતોડ વ્યાજે 3 લાખ આપવાનો વાયદો કર્યો હતો. તે પહેલા ભોગ બનનાર મહિલાને કહ્યું કે, હું તારા પતિને રૂપિયા આપીશ પરંતુ તારે મારી સાથે પત્ની જેવો સંબંધ રાખવો પડશે. ત્યારબાદ પાંચેક માસ પહેલા તેણે 3 લાખ વ્યાજે આપી દીધા હતા. આ પછી પોત પ્રકાશી વ્યાજ અને હપ્તામાં રાહત કરી આપીશ તેમ કહીં ભોગ બનનાર મહિલાની આર્થિક સ્થિતિનો અને મજબૂરીનો લાભઉઠાવી તેના ઘરે જઈ બે વખત તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું એટલું જ નહીં, આ વાત કોઈને કહીંશ તો તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આખરે ભોગ બનનાર મહિલાની પુત્રી અને બાદમાં પતિને હકીકતની જાણ થઈ જતાં તેણે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સાત લાખની ઉઘરાણીમાં યુવક પર સાત શખ્સનો હુમલો : ઊંચા અવાજે વાત કરીશ તો જાનથી મારી નાખીશું કહી ધમકી દીધી
રાજકોટના મોરબી રોડ ઉપ્પર સાગર પાર્કમાં રહેતા અને સોલાર ફિટિંગનું કોન્ટ્રાકટમાં કામ કરતા અજીમભાઈ ગનીભાઈ ઘોણીયા ઉ.35એ રાજો જુણેજા, અંકિત શાહ, કરણ ઉર્ફે ચોક્કો, જીતુ સુદાણી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.10ના રાત્રીના હુ મારી શેરીમા ગાડી પાર્ક કરતો હતો ત્યારે રાજો જુણેજા, અંકીત શાહ, કરણ ઉર્ફે ચોક્કો, જીતુ સુદાણી તથા ત્રણેક અજાણ્યા ઇસમો આઇ 20 કાર જેના રજી નં.જી.જે 03 એલ.જી. 0914 વાળી તથા કીયા કંપનીની સેલ્ટોસ કાર તથા બ્લેક કલરની મારુતી સ્વીફ્ટ કાર લઈને મારી શેરીમા આવી મારી પાસે આવેલ અને રાજો જુણેજા મને કહેવા લાગેલ કે તારો ભાઇ આવેશ ક્યા છે ? જેથી મે તેને કહેલ કે હુ હજુ કામેથી આવ્યો છું મારો ભાઇ આવેશ ક્યા છે તેની મને જાણ નથી તેમ કહેતા આ રાજો જુણેજા મને કહેવા લાગેલ કે તારા ભાઈ પાસે અમારે સાત લાખ રૂપિયા લેવાના છે જે બાકી રૂપિયા તુ આપી દે તેમ કહેતા મે તેને કહેલ કે હુ મારા ભાઈને ઘણા સમયથી બોલાવતો પણ નથી અને તેના પૈસા હુ શુકામ આપુ તેમ કહેતા આ સાતેય ઇસમોએ મને ભુંડાબોલી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરવા લાગેલ અને મને ઘેરી ઢીકા-પાટુનો માર મારવા લાગ્યા હતા જેથી મે બુમાબુમ કરતા આજુબાજુના માસણો ભેગા થઇ જતા આ રાજો જુણેજા જતા જતા મને કહેતો ગયેલ કે આ વખતે તો તને જીવતો જવા દઇએ છીએ હવે પછી અમારી સામે ઉંચા અવાજે વાત કરીશ તો જાનથી મારી નાખીશુ તેમ કહી આ સાતેય નાસી છૂટ્યા હતા બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ રહેતા કારખાનેદારની ત્રંબા રહેતા બનેવી સામે ફરિયાદ : તારી બહેનને ઘરમાં આવીને મારી નાખીશ કહી ધમકી દીધી
રાજકોટના મવડી કણકોટ રોડ ઉપર સહજાનંદ પાર્કમાં રહેતા અને મારૂતી ઇન્ડ.એરીયા ગોંડલ રોડ ખાતે આઇ શ્રી ખોડીયાર ફેબ્રીકેશનના નામે વેપાર કરતા દિપેનભાઈ મોહનભાઈ ઠુંમ્મર ઉ.36એ ત્રંબા ગામે રહેતા બનેવી ભાવેશ મનસુખભાઇ ત્રાપસીયા સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે બે ભાઇ બહેન છીએ જેમા હું મોટો છુ અને મારાથી નાની બહેન જલ્પાબેન છે જેના લગ્ન 2013માં ત્રંબા ખાતે રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ ત્રાપસીયા સાથે કર્યા છે મારા બનેવી ભાવેશભાઇ છેલ્લા ચારેક વર્ષથી કોઇ કામ ધંધો કરતા ન હોય અને મારી બહેન જલ્પા સાથે નાની નાની વાતમાં ઝઘડો કરતા હોય જેથી આશરે નવેક મહિના પહેલા મારી બહેનનો મારામાં ફોન આવેલ અને કહેલ કે, તારા બનેવીએ મને માર મારેલ છે મારે અહીં નથી રહેવુ મને તેડી જાવ જેથી હું મારી બહેનને ત્રંબાથી તેડીને મારી ઘરે આવતો રહ્યો હતો ત્યાર બાદ મારી બહેને તેના પતિ સામે ફેમીલી કોર્ટમાં છુટા-છેડાનો કેસ કરેલ છે કોર્ટમાં કેસ ચાલુ હોવાથી મારા બનેવી ભાવેશભાઈ મારી બહેનને અવાર-નવાર ફોન કરીને ધમકી આપે છે અને ગઈકાલે હું સાઇબાબા સર્કલ રોલેક્ષ રોડ કોઠારીયા ખાતે હતો ત્યારે મારા બનેવી ભાવેશભાઇનો મને ફોન આવેલ અને કહેવા લાગેલ કે, તારી બહેન જલ્પા ક્યા છે તેની સાથે મને વાત કરાવો જેથી મે કહેલ કે, તમે હવે મારી બહેનને ભુલી જાવ મારી બહેને કેસ કરેલ છે અને મારી બહેનને હવે તમારી સાથે રહેવુ નથી જેથી મારા બનેવી એકદમ ઉશ્કેરાઇને કહેવા લાગેલ કે તો હવે તારી બહેનને ઘરમાં આવીને મારી નાખીશ તમારાથી થાય તે કરી લેજો તેમ ધમકી આપેલ જેથી મે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ જિલ્લામાં મોબાઈલ ટાવર પરના નેટવર્ક માટેનાં ડીવાઈસની ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ
રાજકોટ જિલ્લામાં મોબાઈલ ટાવર પર નેટવર્ક માટે લગાડવામાં આવતા એઝેડએનએ તરીકે ઓળખાતા ડીવાઈસની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને શાપર પોલીસે ઝડપી લીધા છે. આ ટોળકીએ રાજકોટ અને અમદાવાદમાંથી આવા અનેક ડીવાઈસની ચોરી કરી વિદેશ મોકલી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. શાપરમાં એક કંપનીના મોબાઈલ ટાવર ઉપરથી આ પ્રકારના ડીવાઈસની ચોરી થઇ હતી. જે અંગે ફરિયાદ નોંધાતા શાપર પીઆઈ આર.બી. રાણા સહિતની ટીમે તપાસ હાથ ધરી ચોરી કરનાર ગેંગના ત્રણ સભ્યો રાજકોટના માનસરોવર પાર્કમાં રહેતા જયદીપ વલ્લભ બાવળીયા, ચોટીલાના રાહુલ સુરેશભાઈ સતવાણી અને નાની લાખાવડના ધર્મેશ ધીરુભાઈ મેવાશીયાને ઝડપી લીધા હતા.આ ગેંગ પાસેથી શાપરમાંથી ચોરી કરેલા 1.20 લાખની કિંમતના બે ડિવાઈસ ઉપરાંત ચોરીમાં ઉપયોગ કરેલી ટોયટો કાર, પાના, ડિસમિસ, કટ્ટર અને ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કરાયા હતા.પૂછપરછમાં આ ગેંગે અમદાવાદ રિંગ રોડ પરના બે ટાવર પરથી કુલ પાંચ,રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પાસે બે, આજી ડેમ, માનસરોવર સોસાયટી પાસેથી ત્રણ, કોઠારીયા નજીકથી બે, આજી ડેમ ચોકડી નજીકથી ત્રણ, રણુજા મંદિર પાસેથી બે, કાલાવડ રોડ પરથી એક અને ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી બે ડીવાઈસની ચોરી કર્યાની કબૂલાત આપી હતી આ એક ડીવાઈસની કિંમત પોલીસે 60 હજાર ગણી છે. તે જોતા અત્યાર સુધી લાખો રૂપિયાના ડીવાઇસની ચોરી કર્યાનું બહાર આવ્યું છે. તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું કે, આ ગેંગ ટાવર પર ચડી કાપી નાંખી, પાના-પક્કડ વડે ડીવાઈસને ટાવરથી અલગ કરી તેને લઈ નીચે ઉતરી જતી હતી.ત્યાર બાદ આ ડીવાઇસ કુરીયર મારફતે દિલ્હી મોકલાવી ત્યાંથી નિષ્ણાંત માણસોની મદદથી વિદેશમાં વેંચી દેતી હતી. છેલ્લા બે મહિનાથી આ ગેંગ ચોરી કરતી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાંથી ચોરેલા ડીવાઈસ અંગે ક્રાઈમ બ્રાંચે ગુના દાખલ કરાવવા તજવીજ શરૂ કરી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
જસદણના યુવક સાથે 6.31 લાખના સાયબર ફ્રોડમાં સૂત્રધાર આફ્રિકન દિલ્હીથી ઝડપાયો, મહિલા આરોપીના વિઝા એક્સપાયર થયાની આશંકા : અન્ય રાજ્યો અને દેશોમાં કાંડની તપાસ
રાજકોટ જિલ્લાના જસદણના શ્રમિક યુવકને જર્મનીની રિઅલ એસ્ટેટ કંપનીની સીઇઓ અને વિધવા તરીકે ઓળખ આપી, લગ્નની લાલચ અને ગિફ્ટ પાર્સલના નામે રૂ.6.31 લાખ ખંખેરી લેનાર આંતરરાષ્ટ્રીય સાયબર ગિરોહ સામે રાજકોટ રૂરલ સાયબર ક્રાઇમે મોટો સકંજો કસ્યો છે. ગ્રેટર નોઈડાથી પકડાયેલી મુખ્ય મહિલા આરોપી જોસેફાઈન સહિત ૩ આફ્રિકન ઠગ બાદ રાજકોટ રૂરલ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે દિલ્હીમાં દરોડો પાડી આંતરરાષ્ટ્રીય સ્કેમના વધુ એક આફ્રિકન મુખ્ય સૂત્રધારને ઉઠાવી લીધો છે. અગાઉ પકડાયેલા ત્રણેય આરોપીઓ જોસેફાઈન યા અંસાહ એન્જલ (ઘાના), મંગેગેલી ઈમાની (તાંઝાનિયા) અને ફિલિપ બટિસ્ટા (દક્ષિણ સુદાન)ને પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતમાં રજૂ કરાયા હતા. સાયબર ક્રાઈમે મજબૂત દલીલો સાથે વધુ રિમાન્ડની માગણી કરતાં અદાલતે તમામના વધુ 3 દિવસના એટલે કે તા.13 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તપાસમાં સામે આવ્યું છે કે, આ શાતિર ગેંગ AI (ચેટજીપીટી) અને ગૂગલ ટ્રાન્સલેટ જેવા ટૂલ્સનો ઉપયોગ કરી ગુજ્જુ યુવકોને જાળમાં ફસાવતી હતી. પકડાયેલા 3 પૈકી 2 આરોપીઓ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે અને તેમની પાસે નિયમાનુસાર વિઝા છે. જ્યારે જોસેફાઈન વર્ક વિઝા પર ભારત આવી હતી સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ હાલ દિલ્હી અને નોઈડામાં તૈનાત છે. પકડાયેલા ચોથા આરોપીની પૂછપરછમાં અને મ્યૂલ (ભાડૂતી) એકાઉન્ટ પૂરા પાડતા ઉત્તર-પૂર્વના વચેટીયાઓની ધરપકડ બાદ આગામી દિવસોમાં આ સાયબર કૌભાંડમાં વધુ સ્ફોટક ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
શાપરમાં સાઢુએ સાઢુભાઈને છત પરથી નીચે ફેંકી દીધો, સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો
શાપરમાં સાઢુને માર મારી છત પરથી ફેંકી હત્યા કરી દીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે તે મારા પુત્રને અહીં કેમ રાખેલ છે કહી સાઢુએ 40 વર્ષીય યુવાનને બેફામ માર મારી કારખાનાની છત પરથી નીચે ફેંકી દેતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જયારે સાળીને પણ માર મારી પછાડી દઈ માથું ફોડી નાખ્યું હતું આ ઘટના બાદ ઘવાયેલા દંપતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો ઘટનાને પગલે શાપર પોલીસે આરોપીને સકંજામાં લઇ હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. મૂળ ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના વતની અને હાલ શાપરમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રંગાણી કારખાના સામે કારખાનાની ઓરડીમાં રહેતા સંજુબેન બ્રિજવિહારીસિંગ ધૂપનારાયણસિંગએ અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સામે નોંધાવેલી ફરિયળમાં જણાવ્યું હતું કે, તેઓ ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ જનકભાઈના પુઠાના કારખાનામાં કામ કરે છે જયારે પતિ શ્રીરામ ફેબ્રીકેશન કારખાનમાં મજુરીકામ કરે છે સંતાનમાં બે દિકરા છે ગઈકાલે રાત્રીના તેણી તેના પતિ બ્રિજવિહારીસિંગ ઉ.40 તથા બાળકો સાથે ઓરડીએ હતા દરમ્યાન બહેન શિતલનો દિકરો હિતેશસિંગ ઓરડીએ આવી કહેલ કે, મારા પિતા અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ખીજાય છે દરમ્યાન તેની પાછળ અમરેન્દ્રસિંહ ઓરડીએ આવેલ અને મારા છોકરાને અહીં કેમ રાખેલ છે તેમ કહી દંપતી સાથે ઝગડો કરવા લાગ્યો હતો જેથી મારા પતિ બ્રિજવિહારીસિંગે ઝગડો કરવાની ના પાડતા અમરેન્દ્રસિંહ ખુબ જ ઉશ્કેરાઈ ગયેલ અને પતિને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો તેણી છોડાવવા વચ્ચે પડી તો અમરેન્દ્રસિંહે તેને પણ જોરથી ધક્કો મારી ત્યા ઘાબા પર પછાડી દીધી હતી દરમિયાન તેણીના પતિને આરોપી મારતો મારતો છતની દિવાલ પાસે લઇ ગયેલ અને છત પરથી નીચે જમીન પર ફેકી દીધો હતો જે બાદ અમરેન્દ્રસિંહ નાસી છૂટ્યો હતો બનાવને પગલે દેકારો થતા સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા જે બાદ પતિને નીચે જઈને જોતા તેના માથા અને કપાળના ભાગેથી લોહી નીકળતું હતું અને તે બેભાન હતો જયારે પરિણીતાને પણ માથામાંથી લોહી નીકળતું હોય પતિના મિત્રએ બંનેને સારવાર અર્થે શાપર સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જયા તબીબે તપાસી પરિણીતાના પતિને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોય વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ઘટનાની જાણ થતાં શાપર પોલીસની ટીમે હોસ્પિટલ ખાતે દોડી જઈ પરિણીતાની ફરીયાદ પરથી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન આજે સવારે બ્રિજવિહારીસિંગે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો જેથી શાપર પોલીસે આરોપીને સકંજામાં લઇ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.




