6 જૂને 3000થી વધુ કલાકના સઘન સંશોધન બાદ 50થી વધુ કલાકારો પાટીદાર સમાજની 15થી વધુ વિરલ વિભૂતિઓને સ્ટેજ પર જીવંત કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
- Advertisement -
ગુજરાતી મનોરંજન જગતમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ આખેઆખી સંસ્કૃતિને ઉજાગર કરતો એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. પાટીદાર સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંસ્કાર વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરતો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ‘બ્રોડવે’ મેગા સ્ટેજ શો ‘અસરદાર પાટીદાર’ આગામી છઠ્ઠી જૂના રોજ રાજકોટ ખાતે ભજવાશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર થયેલો ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત આ શો માત્ર એક નાટક નહીં, પરંતુ એક ભવ્ય વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે. જેમાં ગુજરાતના 50થી વધુ તેજસ્વી કલાકારો પાટીદાર સમાજની પંદરથી વધુ વિરલ વિભૂતીઓને સ્ટેજ પર જીવંત કરશે, જે સમાજના ભવ્ય ભૂતકાળને આજની જેન-ઝી (ૠયક્ષ-ણ) એટલે કે નવી પેઢી સાથે જોડવાનું કામ કરશે. આ ભવ્ય શોની પૃષ્ઠભૂમિમાં કોઈ પણ કાલ્પનિક વાતોનો આશરો લેવામાં આવ્યો નથી. ઐતિહાસિક તથ્યોની સચોટતા જળવાઈ રહે તે માટે છેલ્લા દોઢ વર્ષથી આ શો પર સંશોધન કાર્ય ચાલી રહ્યું હતું, જેમાં 3000થી વધુ માનવ કલાકો ખર્ચાયા છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને રિસર્ચ ટીમ તરીકે ખોડલધામ શિક્ષણ પાંખના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી છે. કાર્યક્રમની મુખ્ય સંકલન ટીમના જણાવ્યા અનુસાર, એકેક તથ્યનો મજબૂત આધાર લઈને આ શો ડિઝાઇન કરવામાં આવ્યો છે. શો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર સમાજના એ શૌર્ય અને પરંપરાની વાતોને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે, જે સમય જતાં ઇતિહાસના પાનાઓમાં ધરબાઈ ગઈ છે.
અત્યાધુનિક કઊઉ ટેકનોલોજી અને ઐતિહાસિક તથ્યોના અદભુત સમન્વય સાથે તૈયાર થયેલો આ શો પ્રેક્ષકોને 14મી સદીના અડાલજથી લઈ આજના આધુનિક ભારત સુધીની રોમાંચક સફર કરાવશે. સાથોસાથ ઓલ ઇન્ડિયા પરમિટ ધરાવતાં પાટીદારોના મૂળ અને કૂળ સુધી લઈ જઈને સમાજની નાનામાં નાની વાતોને પણ પ્રજા સમક્ષ મૂકશે. ‘અસરદાર પાટીદાર’ શોમાં પાટીદાર સમાજના પાળીયા તરીકે પૂજાતા શૂરવીરો, દેશ અને સમાજમાં શિરોમણી સમાન રાજા-રજવાડાંઓ, વિશ્વને અધ્યાત્મનો નવો રાહ ચીંધનારા સાધુ-સંતો, દેશના સ્વતંત્રતા સંગ્રામમાં જીવ રેડનારા લડવૈયાઓ, આદર્શ નારીઓ, ક્રાંતિકારી આગેવાનો અને સમસ્ત સમાજને એક છત નીચે જોનારા સ્વપ્નદ્રષ્ટાઓની ગૌરવગાથા વણી લેવામાં આવી છે. યુરોપ અને અમેરિકામાં થતાં આંતરરાષ્ટ્રીય સ્તરના બ્રોડવે શોનો ઊંડો અભ્યાસ કર્યા પછી આ શો તૈયાર કરવામાં આવ્યો છે. શોના ક્રીએટિવ ડિરેક્ટર જીતુ બાંધણિયાએ જણાવ્યું હતું કે, “સામાજિક સંદેશ અને સરદારની ગર્જના વ્યક્ત કરતાં ‘અસરદાર પાટીદાર’ શોમાં માત્ર ઈતિહાસ જ નહીં, પણ વર્તમાન સમયના સામાજિક મુદ્દાઓ અને સંસ્કાર સિંચન જેવા મહત્વના વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો એવા પાટીદારો દેશની આર્થિક જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કરોડરજ્જુ પણ છે તે આ શો દ્વારા પૂરવાર થાય છે. પાટીદારના ભવ્ય ઇતિહાસને લોકો સમક્ષ મૂકવા માટે ’રેસ-અગેઈન્સ્ટ-ધી ટાઈમ’ની ફોમ્ર્યુલા પર માત્ર દોઢ મહિનામાં આખો શો તૈયાર કરાયો છે.”
આ ભવ્ય શોના ગીતો અને લેખન જાણીતા લેખક રશ્મિન શાહ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે શોનું ડિરેકશન રંગભૂમિના નામાંકિત ડિરેક્ટર પરમેશ્વર સિરસીકરે સંભાળ્યું છે. સમગ્ર શોને એક તાંતણે બાંધીને મંચ પર પ્રસ્તુત કરવાની મહત્વની જવાબદારી જાણીતા લોકકલાકાર તેજસ પટેલે નિભાવી છે. ‘અસરદાર પાટીદાર’ એ ગુજરાતી રંગભૂમિને આંતરરાષ્ટ્રીય સ્તરના બ્રોડવે શોની હરોળમાં મૂકવાનો એક નમ્ર અને પ્રશંસનીય પ્રયાસ છે, જેનો રાજકોટમાં યોજાનારો પ્રિમિયર શો જોવો એ દરેક નાગરિક માટે જીવનનો એક અમૂલ્ય લહાવો બની રહેશે.



