જામનગરમાં તાજીયા જુલૂસમાં વીજકરંટ લાગતા એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજીયા દરમ્યાન એક ચોંકાવનારી ઘટના ઘટી છે. ધરાનગરમાં તાજીયા દરમ્યાન 10 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે અને આ દુર્ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
સારવાર અર્થે ખસેડાય એ પહેલાં જ એકનું મોત
અત્યારે જે મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જામનગરના ઘરાનગર વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુલૂસમાં લોકો જોડાયા હતા. આ વિસ્તારના જાહેર ચોકની અંદર જે જુલૂસ નીકળતું હોય છે તે દરમ્યાન અચાનક જ ક્યાંકથી વીજવાયર તૂટવાના કારણે એકસાથે લગભગ 10 લોકોને વીજકરંટ લાગ્યો હતો. જેથી તમામ લોકોને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે એ પહેલા જ એકનું મોત નિપજ્યું હતું.
જો કે આ ઘટનાને લઇને હોસ્પિટલે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ તાજિયાનો સમગ્ર ઉત્સવ શોકમાં ફેરવાઇ ગયો હતો. જો કે આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ હવે એ મામલે તપાસ કરી રહી છે કે આખરે આ વીજવાયરનો કરંટ લાગવા પાછળનું મુખ્ય કારણ શું છે? આખરે કઇ રીતે એકસાથે 10 લોકો આ વીજકરંટની ઝપેટમાં આવી ચડ્યા. જેવી અનેક બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.