વધુ પાંચ આરોપીઓની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં ચકચારી બનેલા અપહરણ અને ખંડણીના કેસમાં મહત્વપૂર્ણ કડીઓ સામે આવી છે. મહેર સમાજની મહિલા અગ્રણી તરીકે ઓળખાતી હિરલબા ભુરાભાઈ જાડેજાના પોરબંદર કોર્ટ દ્વારા વધુ રિમાન્ડ ના મંજૂર કરતાં તેમને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા છે.આ મામલામાં ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી મુખ્ય આરોપી તરીકે હિરલબા જાડેજાનું નામ સામે આવ્યું હતું. કોર્ટ દ્વારા હિરલબાના પહેલા મળેલા ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ પોલીસએ વધુ પાંચ દિવસના રિમાન્ડ માટે અદાલતમાં અરજી કરી હતી, પણ કોર્ટે અરજી ફગાવી દીધી. કેસની પૃષ્ઠભૂમિ પ્રમાણે, પોરબંદર જિલ્લાના કુછડી ગામે રહેતા ભનાભાઈ અરજણભાઈ ઓડેદરા તથા તેમના પરિવારના સભ્યોનું અપહરણ કરી ખંડણી વસુલવાની ઘટના બની હતી. ફરિયાદ મુજબ ભનાભાઈની દિકરી લીલુબેન, જે હાલમાં ઇઝરાઈલમાં રહે છે, તેણે હિરલબાથી રૂ. 70 લાખ ઉધાર લીધા હતા. આ રકમની વસુલાત માટે હિરલબા અને તેના સાગરીતો દ્વારા ભનાભાઈ, તેમના જમાઈ ભનુભાઈ, પુત્ર રણજીત તથા સાળી ગીગીબેનને ધાકધમકી આપી અપહરણ કરી મારમાર તેમજ કોરા ચેકમાં સહીઓ કરાવી દાગીના પડાવ્યા હતા. પોલીસે કેસમાં 100 થી વધુ શંકાસ્પદ દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો હાથ ધરતાં આર્થિક લેવડદેવડના મોટા ગેરકાયદેસર પ્રવાહની આશંકા વ્યક્ત કરી છે. હિરલબા જાડેજાને જૂનાગઢ ખાતે અને તેના બે સાગરીતો પોરબંદર જેલ હવાલે છે, જ્યારે અન્ય પાંચ અજાણ્યા આરોપીઓની શોધખોળ માટે પોલીસે તીવ્ર દોડધામ શરૂ કરી છે. પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં વધુ ધરપકડ થઈ શકે તેમ અનુમાન લગાવવામાં આવી
રહ્યું છે.