તપાસ એજન્સીઓ દ્વારા દિવસભરની પુછપરછ બાદ મોડીરાત્રે કરાતી ધરપકડ પર બ્રેક લાગવાની શકયતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
દેશમાં મનીલોન્ડ્રીંગ સહિતના કેસોમાં કેન્દ્રીય એજન્સીઓ ગમે તે સમયે લોકોના દ્વાર ખટખટાવે છે અને લાંબા સમય સુધી પુછપરછ કરે છે તે સમયે મુંબઈ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં એન્ફોર્સમેન્ટ વિભાગને આ પ્રકારના સર્ચ અને પુછપરછમાં સમય નિશ્ર્ચિત કરવા આદેશ આપતા કહ્યું કે જે વ્યક્તિની પુછપરછ કરવાની હોય તેની ઉંઘ સહિતની કુદરતી પ્રક્રિયાને વિઘ્ન ન પડે તે રીતે પુછપરછ કરવાની રહેશે. હાઈકોર્ટે આ માટે બંધારણની કલમ 21માં દરેક વ્યક્તિને જે પ્રાથમીક અધિકાર
અપાયા છે.
તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિને ઉંઘનો કે ઝોકુ ખાઈ લેવાનો પણ અધિકાર છે. એક વ્યક્તિને મનીલોન્ડ્રીંગ એકટ હેઠળ સમન્સ પાઠવ્યુ છે અને તે હજુ આરોપી પણ જાહેર થયો ન હતો તે સમયે તેની લાંબી પુછપરછ અને આરામ લેવાનો પણ સમય ન અપાતો હોવાની હાઈકોર્ટ સમક્ષ થયેલી રજુઆત બાદ ડિવીઝન બેચના ન્યાયમૂર્તિ મંજુશા દેશપાંડેની ખંડપીઠે જણાવ્યું હતું કે ઉંઘવા દેવાનો ઈન્કાર તે વ્યક્તિના આરોગ્ય પર અસર કરી શકે છે.
તેની માનસીક સ્થિતિ પર પણ અસર કરે છે અને તેથી કોઈપણ વ્યક્તિના નિવેદન યોગ્ય સમયે જ લેવાવા જોઈએ. રાત્રીના સમયે નિવેદન લેવાથી તે વ્યક્તિ માનસિક રીતે થાકી ગયો હોય કે તેને ઉંઘની જરૂર હોય તે સમયે તેને નિવેદન આપવામાં પણ તકલીફ પડતી હોય છે અને તે તેની વિરુદ્ધ પણ જઈ શકે છે. હાઈકોર્ટનો આ ચૂકાદો દુરગામી અસર કરે તેવી શકયતા છે જે રીતે ઈડી સહિતની કેન્દ્રીય એજન્સીઓ વ્યક્તિને પુછપરછ માટે બોલાવીને મોડીરાત સુધી પુછપરછ કરી અને મધરાતે ધરપકડ કરે છે.
- Advertisement -
તે સામે હવે રક્ષણ મળી શકશે. આ કેસમાં સમન્સ મેળવનાર વ્યક્તિના ધારાશાસ્ત્રીએ કહ્યું હતું કે ઈડીના રાત્રીના 10થી વ્હેલી સવારે 3.30 સુધી પુછપરછ અને નિવેદન લીધુ હતું. જે વ્યક્તિ 64 વર્ષના છે અને તેને પોતાની આરોગ્યની પણ સમસ્યા છે. ઈડીએ તેના નિવેદન માટે બીજે દિવસે પણ બોલાવી શકતી હતી.
પુરો દિવસ પુછપરછ માટે રાહ જોવડાવ્યા બાદ મોડીરાત્રે તેને પુછપરછ શરુ કરવામાં આવી અને ઉંઘનો પણ ઈન્કાર કરાયો હતો. જેના પછી અદાલતે કહ્યું કે જે તે વ્યક્તિ સ્વૈચ્છીક રીતે જો નિવેદન આપવા માંગે તો અલગ બાબત છે પરંતુ મોડીરાત્રે કે તેવા સમયે નિવેદન લેવુ એ જે તે વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ છે.