પાંચ વર્ષની ઉજવણી નથી, સેવાયજ્ઞ છે.
Ø જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કર્તુત્વના પદચિન્હો પર રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
Ø પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દૂર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ
Ø રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો રહ્યા છે.
Ø બ્રોડબેન્ડ કનેકટીવિટી અને ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને રાજ્ય સરકારે ગામડાઓને વિકાસ સાથે જોડ્યા છે.
Ø તંત્રને સંવેદનશીલ બનાવીને લોકોનો વિશ્વાસ વધારવાની રાજ્ય સરકારની નેમ
મુખ્યમંત્રીના હસ્તે ” એક વાલી યોજના” અને ” ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના”નો શુભારંભ : કોરોનામા અનાથ બનેલા બાળકોને વાર્ષિક રૂપિયા ૫૦ હજારની સહાય કરનાર જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના એમ.ઓ.યુ. કરાયા
મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલનો શુભારંભ : “સેવા સેતુ કાર્યક્રમ”ના વિવિધ લાભાર્થીઓને રૂપિયા ૪.૭૫ કરોડની સાધન સહાયનું વિતરણ
- Advertisement -
રાજકોટ, તા. ૨, ઓગસ્ટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો મુખ્યમંત્રી એ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ કૃતજ્ઞ ભાવે જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજ્ય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે, જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે ૧૬,૦૦૦ કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે, તેમ મુખ્યમંત્રી એ સગૌરવ ઉમેર્યું હતું.
રાજ્યની પાંચ વર્ષની પ્રગતિનું આલેખન કરતા મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કતૃત્વના પદચિન્હો પર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે, અને નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું.
- Advertisement -
ભ્રષ્ટાચારને દૂર કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે, પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે.
રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા મુખ્યમંત્રી એ કહ્યું હતું કે રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે, એમ પણ મુખ્યમંત્રી એ આંકડાકીય વિગતો સાથે જણાવ્યું હતું.
રાજ્યના સમગ્ર વહીવટી તંત્ર પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારે વહીવટીતંત્રને સંવેદનશીલ તથા લોકાભિમુખ બનાવવાના પ્રયત્નોની પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છણાવટ કરી હતી અને નાગરિકોના સહકારની અપેક્ષા ઉચ્ચારી હતી.
વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ પ્રત્યે મુખ્યમંત્રી એ આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા ૫૦ હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રી એ બિરદાવ્યો હતો.
મુખ્યમંત્રી એ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘‘એક વાલી યોજના’’ તથા “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના”, રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ” અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ની ટૂંકી વિગતો આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજના આવતી કાલના નાગરિક સમા બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે સેવેલી ચિંતાનું પ્રતિબિંબ છે.

૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને રાજ્ય સરકારની સંવેદના, સાંસ્કૃતિક મૂલ્ય અને સ્વર્ણિમ ભવિષ્યની પ્રતીતિ થઈ છે. કોરોનાને લીધે વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના શિક્ષણની ફી સ્કૂલમાં જમા કરાવવાનો પ્રારંભ કરનાર જે.એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશનના સંચાલકોનો મંત્રી ઈશ્વરભાઈ પરમારે અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. અને કોરોના અસરગ્રસ્તો પ્રત્યે તેમણે દાખવેલી સંવેદના રાજ્યના વિકાસમાં આમૂલ પરિવર્તન આણનારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” , “એક વાલી યોજના” અને “ગંગાસ્વરૂપ મહિલા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” ની વિગતો રજૂ કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રી સહિતના આમંત્રીતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, અને પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટને પ્રદાન કરેલા વિકાસલક્ષી પ્રકલ્પો બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્રસચિવ કે. કૈલાશનાથન, સચિવ સુનયના તોમર અને કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ, અધિક કલેક્ટર એન.આર. ધાધલ, અને એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી અને વીરેન્દ્ર દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, અગ્રણી મતિ અંજલીબેન રૂપાણી, કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ, સેવા સેતુ કાર્યક્રમની વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



