રાજકોટ સેશન્સ કોર્ટનો કડક અભિગમ : 38 મહિનાનો વિલંબ માફ ન કરતાં અપીલો નામંજુર
આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ કરોડોની ઠગાઈ સંબંધિત અનેક કેસો નોંધાયા છે અને અનેક કોર્ટોમાં સજાઓ પણ થઈ ચૂકી છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચેક રિટર્નના ગંભીર કેસોમાં મુંબઈ સ્થિત ગ્લોબલ કોટન કોર્પોરેશન સાથે સંકળાયેલા વેપારી જીતેશ આર. ગજેરીયાને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટએ 38 મહિનાના વિલંબ સાથે દાખલ કરાયેલી ત્રણેય અપીલો રજીસ્ટર લેવા ઇનકાર કરી દીધો છે. અદાલતે સ્પષ્ટ નોંધ્યું હતું કે આરોપી તરફથી વિલંબ માટે પૂરતા અને વિશ્વસનીય કારણો રજૂ કરવામાં આવ્યા નથી. આ કેસોમાં અગાઉ રાજકોટના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને ત્રણેય કેસોમાં એક વર્ષની સજા ફટકારી હતી અને ફરીયાદીને કુલ રૂ. 60 લાખનું વળતર બે મહિનામાં ચૂકવવાનો હુકમ કર્યો હતો. સાથે જ જો વળતર ન ચૂકવાય તો વધુ છ મહિનાની સજાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.
કેસની વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામે શ્રી રામદેવ કોટન જીનિંગના નામે વેપાર કરતા સંજય વલ્લભભાઈ કપુરીયાએ મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત ગ્લોબલ કોટન કોર્પોરેશનના વેપારી જીતેશ આર. ગજેરીયા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. ફરીયાદ મુજબ આરોપીએ કુલ રૂ. 1.89 કરોડથી વધુની કપાસની ગાસડીઓ ખરીદી હતી. જેમાંથી બાકી રહેલી રકમ રૂ. 74.43 લાખમાંથી ભાગરૂપે ચુકવણી કરવા આરોપીએ રૂ. 25 લાખ, રૂ. 25 લાખ અને રૂ. 10 લાખના ત્રણ ચેક આપ્યા હતા. કુલ રૂ. 60 લાખના આ ચેકો પાસ થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ ચેકો બેંકમાં રીટર્ન થતા ફરિયાદીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્રણેય કેસોમાં ટ્રાયલ કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલો દાખલ કરી હતી. જોકે તેમાં 38 મહિનાનો વિલંબ થતાં આરોપીએ વિલંબ માફ કરવાની અરજી પણ કરી હતી.
ફરીયાદી પક્ષના એડવોકેટ સુરેશ ફળદુએ આ અરજીનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વિલંબ માટે ડે ટુ ડે કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. આરોપી સામે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કરોડોની ઠગાઈ સંબંધિત અનેક કેસો નોંધાયેલા છે અને અનેક કોર્ટોમાં સજાઓ પણ થઈ ચૂકી છે. દલીલ દરમિયાન એવું પણ જણાવાયું હતું કે આરોપી અગાઉ અમરેલી જેલમાં હતો અને તે દરમિયાન ટ્રાયલ કોર્ટમાં વકીલ સાથે હાજર પણ રહ્યો હતો. એટલે તેને કેસોની જાણ ન હતી તેવી દલીલ માન્ય રહી શકે નહીં. જેલમાંથી મુક્ત થયા બાદ પણ તેણે કોર્ટ કાર્યવાહી પ્રત્યે કોઈ ગંભીરતા દાખવી નહોતી.
સેશન્સ કોર્ટએ પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આરોપી તરફથી ગરીબી, મજૂરી અને નાણાકીય મુશ્કેલીઓ જેવા સામાન્ય કારણો રજૂ કરાયા હતા, પરંતુ 3 વર્ષ 1 મહિનો અને 19 દિવસ જેટલા લાંબા વિલંબ માટે કોઈ મજબૂત દસ્તાવેજી આધાર રજૂ કરવામાં આવ્યો નહોતો. કોર્ટએ વધુમાં અવલોકન કર્યું હતું કે અપીલ કરવાનો અધિકાર મહત્વપૂર્ણ છે, પરંતુ આરોપીએ પોતાના બચાવના અધિકારનો સમયસર ઉપયોગ કર્યો નહોતો. ટ્રાયલ એકતરફી આગળ વધતું રહ્યું અને સજાનો હુકમ થાય ત્યાં સુધી આરોપી નિષ્ક્રિય રહ્યો હતો. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજકોટના મહે. એડીશનલ સેશન્સ જજએ ત્રણેય અપીલોમાં વિલંબ માફ કરવાની અરજીઓ નામંજુર કરી દીધી હતી. આ સમગ્ર મામલામાં ફરીયાદી સંજય કપુરીયા તરફથી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટિયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા અને સાહીલ કંટારીયા હાજર રહ્યા હતા. જ્યારે નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુએ સહાયતા આપી હતી.



