કરણસિંહજીમાં બાંધકામ વિવાદ: બાંધકામ પ્લાનમાં શૈક્ષણિક હેતુનું બિલ્ડિંગ બતાવ્યું, હવે મંદિર બનશે
ટ્રસ્ટે કહ્યું, પુરાવા છે: એ જ પુરાવામાં લખ્યું છે કે, ‘પૂર્વ મંજૂરી વિના બાંધકામ કરી શકાશે નહિ’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલના પ્રાંગણમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સંતોએ બાંધકામ શરૂ કરી દીધું છે. આ બાંધકામ કરવા માટે કોઇ મંજૂરી મળી નથી આમ છતાં કામ ચાલી રહ્યું છે જેની સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે.
આ સમગ્ર મામલે બાલાજી મંદિર ટ્રસ્ટે એક જ રટણ કર્યું હતું કે, કોઠારી વિવેકસાગર સ્વામી જ આ મામલે સ્પષ્ટતા કરી શકશે અને હાલ તેઓ હાજર નથી અને સંપર્ક પણ નથી. આ કારણે બાંધકામમાં ખરેખર શું બની રહ્યું છે તે મામલે અવઢવ હતી. વિવેકસાગર સ્વામીનો સંપર્ક કરતા તેઓએ આ મુદ્દે ખોટી કાગારોળ હોવાનો બચાવ કર્યો હતો અને પુરાવા આપ્યા હતા જોકે તે પુરાવામાં પણ ઘણો વિરોધાભાસ જોવા મળ્યો છે.
વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, ચબૂતરો તોડી નાખ્યો પણ તેની સામે તેના કરતા મોટો ચબૂતરો બનાવી આપ્યો છે. અન્નક્ષેત્ર બંધ ન થાય તે માટે તેને બદલે બે રૂમ આપ્યા છે આ બાબત છુપાવીને કાગારોળ થઈ રહી છે. બે મહિના પહેલાં મનપામાં પ્લાન મુક્યો ત્યારે સત્તાધિકારી તરીકે મનપા જ કહેવાય તેવું અધિકારીઓએ કહ્યું હતું. આમ છતાં કલેક્ટરની મંજૂરી માટે મળવા ગયા હતા અને મંજૂરી મળી જશે તેવું કહ્યું હતું ત્યાં અરૂણ મહેશ બાબુની બદલી થઈ ગઈ હતી.
હાલ જ્યાં બાંધકામ થઈ રહ્યું છે ત્યાં શું બની રહ્યું છે તે પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે, નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર મંદિર બની રહ્યું છે અને તેના ઉપરના માળે 200 વિદ્યાર્થીઓ માટે વૈદિક પાઠશાળા આકાર લેશે. તેઓએ કહ્યું હતું કે, સરકારે અને જિલ્લા કલેક્ટરે નિયમ મુજબ તેમને જગ્યા આપી છે અને તેના પુરાવા પણ તેમના પાસે છે. આ પુરાવાઓ સ્વામીએ મોકલતા તેમાં ઘણા મુદ્દા છે જે વિરોધાભાસ ઊભો કરે છે.
હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ટ્રસ્ટને કરણસિંહજી સ્કૂલનું જૂનું બિલ્ડિંગ અને તે પણ ફક્ત સંચાલન માટે સોંપાયું છે. તેમાં રિપેરીંગ કરવાનું છે. પણ માલિકી સરકારની જ રહેશે. બિલ્ડિંગનો ઉપયોગ માત્રને માત્ર શિક્ષણ હેતુ માટે થશે. આ તમામ શરતો પૈકી જિલ્લા કલેક્ટરે જમીન આપ્યાના તા. 3-8-2022ના હુકમમાં શરત નં. 6માં ઉલ્લેખ છે કે, ‘સરકારના સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના ખુલ્લી જગ્યામાં નવું બાંધકામ કરી શકાશે નહિ’ સરકારના સક્ષમ સત્તાધિકારી તરીકે જિલ્લામાં કલેક્ટર જ સૌથી સક્ષમ ગણાય આ મુદ્દાને લઈને જ ટી.પી. શાખાએ પણ પ્લાનની મંજૂરી અટકાવી છે. બાંધકામની કાયદેસરતા ચકાસવા માટે તેમજ હાઈકોર્ટમાં રિપોર્ટ મોકલવા માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ તપાસ સમિતિ બનાવી છે. ડીઆઈએલઆર અને પ્રાંત અધિકારીની સંયુક્ત તપાસ સમિતિ ટૂંક સમયમાં બંને પક્ષોને નોટિસ મોકલશે અને બોલાવીને આધાર પુરાવાઓ મેળવીને સ્થળનો માલિકી હક્ક, બાંધકામની સ્થિતિ, કાયદેસરતા સહિતના મુદ્દે રિપોર્ટ કરશે જેમાં એકાદ મહિનો થશે. આ રિપોર્ટના આધારે બાંધકામ અંગે નિર્ણય લેવાશે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે, હાલ જે બાંધકામ થઈ રહ્યું છે તેને મનપાએ પણ મંજૂરી નથી આપી.
બાલાજી મંદિર ટ્રસ્ટે પોતાના નામે મૂકેલો પ્લાન 2 મહિનાથી અટકેલો છે. ટી.પી. શાખાએ આ પ્લાનમાં ક્ષતિપૂર્તિ માટે નોટિસ આપી છે જેમાં બાંધકામના મુદ્દાઓ ઉપરાંત આ જગ્યાનો માલિકી હક્ક પુરવાર કરવા માટે કબજા સોંપણીનું રોજકામ માગ્યું છે. જોકે હુકમ મુજબ કરણસિંહજી સ્કૂલનું જૂનું બિલ્ડિંગ જ સોંપવામાં આવ્યું છે બીજી જગ્યાની માલિકી સરકારની જ રહેશે