મોરબી જિલ્લાના લોકો દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ મળીને ન્યાયની ગુહાર લગાવી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પોલીસ વડાએ લોકોની ફરિયાદો અને રજુઆતો સાંભળવા અને તેના યોગ્ય નિરાકરણ માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે જેમાં હવે મોરબી જિલ્લાના તમામ લોકોને ક્રાઈમને લગતી ફરિયાદ કે રજુઆત અથવા અરજીઓ હોય તો તેઓ સીધા જ એસપીને મળીને રજુઆત કરી શકે તેના માટે મોરબી જીલ્લાના લોકો હવે દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ ફરિયાદ કરી શકશે.
- Advertisement -
મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત પ્રવૃત્તિઓની ફરિયાદ નોંધાતી ન હોય લોકોમાં ભારે અસંતોષ ફેલાય છે. મોટાભાગે જાહેરમાં દારૂ, જુગાર, મારામારી, વાહન કે મોબાઈલ ચોરી અંગે ક્રાઈમ રેટ ઓછો દેખાડવા પોલીસ ફરિયાદ નોંધતી હોતી નથી. આથી મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ તેના નિરાકરણ માટે એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે જેમાં મોરબી જીલ્લાના નાગરિકોની કોઈપણ પ્રકારની ફરિયાદ માટે હવે એસપીને રૂબરૂ મળી શકાશે.
મોરબી જિલ્લાનાં નાગરીકો માટે દર મંગળવારે અને શુકવારે જિલ્લા પોલીસ વડાની કચેરીના દરવાજા ખુલ્લા રહેશે જેથી લોકો મોકળા મને એસપીની મુલાકાત લઈ ફરિયાદ કરી શકશે અને ન્યાયની ગુહાર લગાવી શકશે તેમજ તેમને કનડતી સમસ્યાનું રૂબરૂ જ નિરાકરણ મેળવી શકશે.