-કંપનીના વાર્ષિક રીપોર્ટમાં સ્પષ્ટ નિવેદન: અમેરિકન શોર્ટ સેલરનો ઉદેશ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો જ હતો
અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ પહેલી વખત અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ સામે પલટવાર કર્યો છે. અદાણીએ જણાવ્યું છે કે હિન્ડનબર્ગનો રિપોર્ટ એ અદાણી વિરુદ્ધ ટાર્ગેટેડ ગેરમાહિતી હતી. તેમણે એમ પણ કહ્યું કે અદાણી ગ્રૂપ વિશે નેગેટિવ રિપોર્ટ આપ્યો તેના પરિણામે અદાણી જૂથના શેરો ઘટ્યા જેમાંથી હિન્ડનબર્ગે ભારે નફો કર્યો છે. ગૌતમ અદાણીએ આજે તેમના શેરધારકોને એક મેસેજ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે અદાણી જૂથના શેરોને જાણી જોઈને નીચે પછાડીને તેમાંથી અમેરિકન શોર્ટ સેલરે કમાણી કરી છે.
- Advertisement -
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી જૂથ અંગે હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ એ ટાર્ગેટેડ મિસઈન્ફોર્મેશન હતો અને તેમાં જૂના અને બનાવટી આરોપો મમુકવામાં આવ્યા હતા જેનો હેતુ અદાણી ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો. અદાણીએ કંપનીના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “અમે ભારતના ઈતિહાસમાં સૌથી મોટી ફોલો ઓન ઓફર લાવવાની તૈયારીમાં હતા ત્યારે રિપબ્લિક ડેની પૂર્વ સંધ્યાએ અમેરિકા સ્થિત એક શોર્ટ સેલરે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં ખોટી રીતે ટાર્ગેટ કરાયેલી માહિતી અપાઈ હતી. આ રિપોર્ટનો હેતુ અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને તેમાં અમારા શેરોને પછાડીને નફો કરવાનો હતો.”
“અમારો સંપૂર્ણ છલકાઈ ગયો હોવા છતાં અમે આ ઓફર પાછી ખેંચી લેવાનો અને રોકાણકારોના હિત જાળવવા માટે તેમના નાણાં પરત આપી દેવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત શોર્ટ સેલિંગના કારણે કંપનીએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અમે તમામ આરોપોનો તરત રદીયો આપી દીધો હતો, છતાં કેટલાક સ્થાપિત હિતોએ હિન્ડનબર્ગના આરોપોનો ઉપયોગ કરીને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કર્યો હતો. તેમણે વિવિધ ન્યૂઝ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવી હતી.”ગૌતમ અદાણીએ જણાવ્યું કે આ બાબતની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે એક એક્સપર્ટ કમિટિની રચના કરી હતી જેને ગ્રૂપની વિરુદ્ધ કંઈ વાંધાજનક મળ્યું ન હતું.



