જગદીશસિંહ વાઢેરને જિયોલોજિસ્ટ તરીકે મુકાતા વ્યાપક પ્રમાણમાં થતો ખનીજચોરીનો ધીકતો ધંધો હવે બંધ થશે
જે.એસ.વાઢેર રાજકોટ જિલ્લા ખાણ-ખનીજના અધિકારી તરીકે યથાવત રહેશે, મોરબી જિલ્લાનો વધારાનો ચાર્જ સોંપાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખનીજ સંપદાથી ભરપૂર મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ રાજકોટથી કડક અધિકારી એવા જે.એસ.વાઢેરને જિયોલોજિસ્ટ તરીકે મુકવામાં આવતા ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે. ખનીજ માફિયાઓએ મોરબી જિલ્લામાં માઝા મુકી છે. ખનીજચોરો રેતી, પથ્થર સહિતના ખનીજોનું બેફામ કાળા બજાર કરી રહ્યા છે તેવી ફરિયાદો સરકારમાં ઉઠી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા ખાણ ખનીજ અધિકારી જે.એસ.વાઢેરની મોરબીમાં નિમણૂંક કરતા ખનીજખોરોની હવે ખેર નથી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં રેતી, લાઇમ સ્ટોન, ચાઈના ક્લે અને પથ્થરોનો ખજાનો હોવાથી મોરબી જિલ્લો બન્યો ત્યાર પહેલાથી જ અહીં વ્યાપક પ્રમાણમાં ખનીજચોરીનો ધીકતોધંધો ચાલી રહ્યો છે તેવામાં લાંબા સમયથી મોરબીમાં કાયમી ભૂસ્તર શાસ્ત્રીની નિમણુંક થઈ ન હોય ખનીજચોરોને મોકલું મેદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જો કે હાલમાં સરકાર દ્વારા મોરબી જિલ્લામાં જીઓલોજીસ્ટ તરીકે કડક અધિકારીની છાપ ધરાવતા જે.એસ.વાઢેરની નિમણુંક કરવામાં આવતા ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.જગદીશસિંહ વાઢેરના અંગત જીવનનો જો વાત કરીએ તો મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ જિલ્લા ખાણ ખનીજ અધિકારી તરીકે પણ વધારાની કામગીરી સંભાળશે. જે.એસ.વાઢેર મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના વતની છે. તેઓ અગાઉ ગીર સોમનાથ, અમરેલી, અને પોરબંદર જેવા સંવેદનશીલ જિલ્લામાં પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. જ્યાં પણ અનેક ખનીજચોરી અટકાવી હતી. જે.એસ. વાઢેરે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી ભુસ્તરશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. તેમજ તેમણે ભુસ્તરશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ પણ મેળવેલું છે.